Mar 30, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1114

જુદાજુદા અનેક વાદીઓના અનેક વિકલ્પો (કલ્પનાઓ) તેમના વિચારને અનુસરનારાઓને સત્ય ભાસે છે,
બાકી વસ્તુતઃ તો ચેતન (ચૈતન્ય) સિવાય બીજું કશું સત્ય નથી.ચિત્ત-સત્તા જ તે તે વાદીઓના,તેવા તેવા ભાવ અનુસાર
અનેક-રૂપે (સ્થિર-કે પ્રકાશમય-વગેરે-રૂપે) થઇ રહેલી છે.સર્વ ભાવો તે સર્વના પોતાના આત્માની અંદર રહેલા છે.
એક ચિદાત્માના ભાવને અનુસરીને નક્ષત્રો-પૃથ્વી-આદિ,અવિદ્યાને લીધે અખંડિત રીતે ભાસ્યા કરે છે.

આ પૃથ્વી લોકાલોક પર્વત (પર્વતના શિખર) સુધી વ્યાપ્ત છે !! ત્યાર પછી (તેની ઉપરની બાજુ) આકાશ-રૂપી એક મોટી
ખાઈ રહેલી છે,અને તેની અંદર ભરપુર અંધકાર છે,કોઈ કોઈ જગ્યાએ કંઇક પ્રકાશ પણ રહેલો છે.
પણ,નક્ષત્રોના અતિ દૂરપણાને લીધે અને લોકાલોક પર્વતની વિશાળતાને લીધે અંધકાર જ પથરાઈ રહેલો લાગે છે.
લોકાલોક પર્વતના શિખરના ભાગમાં તેજ રહેલું છે તેથી તેને લોકાલોક-પર્વત એવું નામ (સંજ્ઞા) મળ્યું છે.
લોકાલોક પર્વતની પેલે પાર રહેલા,પૃથ્વી કરતાં બમણા એવા આકાશમંડળથી ઘણે દૂર
દશેય દિશાઓમાં નક્ષત્ર-ચક્ર ફર્યા કરે છે,એક ધ્રુવ જ માત્ર સ્થિર રહે છે.

એ આકાશનો વિસ્તાર સેંકડો અને કરોડો યોજન સુધી છે,તે વજ્રના જેવું દૃઢ છે તો પરમ-અર્થથી જોતાં કેવળ કલ્પના-માત્ર છે,
વળી ચિદાકાશની અંદર વિકાર-રૂપે કલ્પાયેલા,પંચીકૃત પંચમહાભૂતના 'કાર્ય-રૂપ' હોવાથી તે
આકાશ ચિદાકાશથી જુદું નથી-પણ ચિદાકાશ-રૂપ જ છે અને ચિદાકાશની અંદર જ રહેલ છે.
મહા-ગોળ આકારે થઇ રહેલા આકાશની અંદર,બધી દિશાઓમાં સૂર્ય-તારા-આદિ નક્ષત્ર-ચક્ર રહેલું છે.
વસ્તુતઃ સર્વ ચિદાત્માનો પ્રતિભાસ માત્ર છે.અને પદાર્થો અને પદાર્થોની ગતિ-એવું કશું તેમાં નથી.

(૧૨૮) વિપશ્ચિત રાજાનું અવિદ્યામાં ભ્રમણ

વસિષ્ઠ કહે છે કે-મેં આજે ભૂગોળ અને નક્ષત્રચક્ર વગેરનું પરિમાણ કહ્યું તે યોગીજનને પ્રત્યક્ષ છે,અને તે
અનુમાન-સિદ્ધ છે-તેવું નથી.યોગ અને જ્ઞાનના અભ્યાસથી સિદ્ધ થયેલા તત્વ-સાક્ષાત્કારવાળા આતિવાહિક (સૂક્ષ્મ) દેહ
વડે જ તે (પરિમાણ) દેખાય છે.ઉપર જે વિષે મેં કહ્યું તે આપણા 'આ જગત'રૂપી સ્વપ્નનું છે.
બીજા જગતો-રૂપી સ્વપ્નોમાં પણ એવી જ જાતની સ્થિતિ રહેલી છે,તો કોઈ ઠેકાણે માયાની અનિર્વચનીયતાને લીધે
બીજી જાતની સ્થિતિ પણ છે.અહીં ચાલુ પ્રસંગમાં,બીજા જગતો-રૂપી સ્વપ્ન વિષે કહેવાનું શું પ્રયોજન છે?

એટલે આપણા આ જગત પ્રમાણે જોતાં,સર્વ બ્રહ્માંડોના મધ્યમાં આવેલા સર્વ દ્વીપો અને સમુદ્રોના,ઉત્તર ભાગમાં મેરુ
તથા દક્ષિણ ભાગમાં લોકાલોક પર્વત રહેલો છે,માટે સર્વ પ્રાણીઓના સમૂહ વડે ભરેલાં,બીજાં બ્રહ્માંડોના સંબંધમાં પણ
આવું અનુમાન જેને થતું હોય તો ભલે એવું અનુમાન બાંધે.આ બ્રહ્માંડની બહાર વસનાર,બીજાઓને જે કંઈ
બીજા જગત-રૂપી જુદાજુદા ભ્રમો ભાસતા હશે તે તેઓને જ પ્રત્યક્ષ હશે.
પણ આપણને આ જગતમાં તેમનો (તે જગતનો) તેવો આકાર જોવામાં આવી શકતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE