Apr 4, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1115

આ બ્રહ્માંડના પાર્થિવ ભાગ (પૃથ્વી-તત્વ) ના પ્રમાણ કરતાં  દશ-ગણું જળ (જળ-તત્વ) તેને ફરતું રહ્યું છે,
અને પાર્થિવ ભાગની સ્વાભાવિક આકર્ષણ-શક્તિ (ચુંબક-શક્તિ ?) ને લીધે તે જળને નિરંતર ધારણ કરી રહે છે.
આ જળ-રૂપી આવરણની બહારના ભાગમાં તે જળથી દશ-ગણું તેજ (અગ્નિ તત્વ) રહેલું છે.
તે તેજ (અગ્નિ)નો કોઈ ઇંધણ-રૂપી (બળતણ-જેવો) આધાર નથી,અને તે આકાશના જેવું તે સ્વચ્છ છે.
તેજ (અગ્નિ) થી બહાર વળી તેનાથી દશ-ગણો વાયુ (વાયુ-તત્વ) રહેલો છે
અને તે વાયુની બહાર તેના કરતાં દશ-ગણું આકાશ રહેલું છે.ત્યાર પછી શાંત અને અનંત બ્રહ્માકાશ રહેલું છે.

આ અનંત બ્રહ્માકાશ,પ્રકાશ-રૂપ પણ નથી કે અંધકાર-રૂપ પણ નથી,પણ તે અવિનાશી-પ્રજ્ઞાનધન છે.
આદિ-મધ્ય-અંતથી રહિત,આ બ્રહ્મ-રૂપી મહાકાશ "મહા-ચૈતન્ય" નામને ધારણ કરીને રહેલ છે,
તે સર્વના આત્મા-રૂપ છે,છિદ્ર-રહિત છે અને કેવળ નિર્વાણમય છે.
કે જેની અંદર લાખો બ્રહ્માંડો એકબીજાથી ઘણે દૂર,એકબીજાને પરસ્પર જોવામાં ન આવે તે રીતે,
વારંવાર ઉત્પન્ન થતાં રહે છે અને પાછાં પ્રલયને પ્રાપ્ત થઇ જાય છે.

વસ્તુતઃ જોઈએ તો,સદા પોતાના (નિર્વિકલ્પ) સ્વરૂપની અંદર સમાન-રીતે રહેનારા,ચિદાકાશ (બ્રહ્માકાશ)ની અંદર
આવિર્ભાવ-તિરોભાવ-આદિ કશું થતું જ નથી.પણ તે ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર,
તેવા -રૂપે (બ્રહ્માંડ-જગત-આદિ રૂપે) અને તેવા આકારે વિવર્તભાવથી થઇ રહેલું છે.
આ રીતે દૃશ્ય (જગત)ના અનુભવ વિશેનો ક્રમ મેં તમને કહી બતાવ્યો.
હવે લોકાલોક પર્વતની અંદર વિપશ્ચિત રાજાનું શું થયું તે વિષે કહું છું તે તમે સાંભળો.

દિશાઓનો અંત જોવાના દૃઢ નિશ્ચયથી પ્રેરાયેલા એ વિપશ્ચિત રાજાએ લોકાલોક પર્વતના શિખર ઉપરથી
મોટી અંધારી ખાઈમાં પ્રવેશ કર્યો કે જ્યાં તેણે પક્ષીઓએ ફાડી ખાધેલ પોતાના દેહને જોયો.
પછી,પોતાના ઇચ્છિત-દિશાઓ જોવાના કાર્યમાં પ્રવૃત્ત,મન-રૂપી-દેહ (મનોદેહ) જ તેના જોવામાં આવ્યો.
તે મરણ-પ્રદેશની પવિત્રતાને લીધે (સ્થૂળ-દેહને ઉદબુદ્ધ કરનાર ચાર ભૂત ના હોવાથી)
ને તેવા મનોદેહને લીધે તેને પોતાના આધિભૌતિક (સ્થૂળ) દેહનું વિસ્મરણ થયું નહિ.

તેને સ્થૂળ (આધિભૌતિક) દેહથી રહિત,મનોમય (આતિવાહિક) દેહ-રૂપ આત્માનો બોધ થયો,
પણ (સ્થૂળ-સૂક્ષ્મ-કારણ-દેહથી જુદા શુદ્ધ ચિન્માત્ર-રૂપ આત્માનો-કે દિવ્ય-દેહનો) વિશેષ બોધ થયો નહિ,
એટલે દિશાઓના અંત જોવા-રૂપી પોતાનું કાર્ય સમાપ્ત ન થયેલું જોઇને,તેણે પાછું આગળ ચાલવા માંડ્યું.

રામ કહે છે કે-દેહ વિના આ ચિત્ત,કાર્યમાં શી રીતે પ્રવૃત્ત થાય છે? તથા સ્થૂળ દેહ અને દિવ્ય દેહ કરતાં,
મનોમય દેહમાં શી વિશેષતા રહી છે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE