Apr 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1121

તે વખતે  તે ભાસ ત્યાં જ બેસી ધ્યાનાવસ્થ થઇ ગયો અને પોતાના શરીર પર વીતેલા
પોતાના આગળના સર્વ વૃતાંતનું સ્મરણ કરવા લાગ્યો.સ્મરણ કરીને તે વ્યુત્થિત દિશાને પ્રાપ્ત થઇ ગયો.
પછી તે ધ્યાન-રૂપી પ્રકાશમય સ્થિતિમાંથી જાગ્રત થયો અને ત્યાંથી ઉઠીને તેણે ક્રમ-પૂર્વક સભા તરફ જોયું.
ત્યાર બાદ,વસિષ્ઠ ઋષિ પાસે આવીને તેણે,હર્ષ વડે પ્રણામ કર્યા,ત્યારે વસિષ્ઠે તેને મસ્તક પર પોતાના હાથ વડે
સ્પર્શ કરી કહ્યું કે-હે રાજન,ઘણા લાંબા સમયથી રહેલી તારી અવિદ્યાનો આજે ક્ષય થઇ જાઓ.

એ પછી તે ભાસે (વિપશ્ચિતે) રામચંદ્રજીને નમન કરી સ્પષ્ટપણે કહ્યું કે 'તમારો જય થાઓ'
ત્યારે દશરથરાજાએ જરા આસન પરથી ઉભા થઇ,ભાસને કહ્યું કે-તમે ભલે આવ્યા.આ આસન પર આપ બેસો.
અનેક સંસારમાં ભટકવા રૂપી વિસ્તીર્ણ ભાર વડે થાકી ગયેલ હે રાજન,તમે અહી વિશ્રામ લો.
દશરથ રાજાના આમ કહેવાથી એ ભાસ,સભામાં બેઠેલ સર્વને પ્રણામ કરીને પોતાના આસન પર બેઠો.

દશરથ રાજા કહે છે કે-અહો,આ કેવા ખેદની વાત છે ! જેમ વનનો હાથી બંધનમાં આવી જતાં દુઃખનો અનુભવ
કરે છે,તેમ આ વિપશ્ચિત રાજાએ અવિદ્યાને લીધે લાંબા કાળ સુધી દુઃખનો અનુભવ કર્યો છે.
ખરે,આ અવિદ્યા-રૂપી-દુષ્ટ-દૃષ્ટિવાળા પુરુષની ગતિ અતિ વિષમ છે,કેમ કે તે શૂન્ય આકાશની અંદર જ,સૃષ્ટિના
આડંબરની ભ્રાંતિ દેખાડે છે.આશ્ચર્ય એ છે કે-વિશાળ આત્મા-રૂપી-ચિદાકાશની અંદર અનંત જગતો રહેલાં છે.
અને ઘણા લાંબા કાળ સુધી આ વિપશ્ચિત રાજાએ તેમાં ભ્રમણ કરેલું છે.
અહો,માયાના સ્વભાવ-રૂપી આ દૃશ્યનો વૈભવ વસ્તુતઃ જોતાં સાવ શૂન્ય જ છે,છતાં આકાશના
જેવા અસંગ ચિદાકાશના એક-સ્વરૂપની અંદર તે (માયા) અનેક જગતના આકારે અનુભવમાં આવે છે.

(૧૩૧) વટધાના નામના રાજપુત્રોની કથા

દશરથ રાજા કહે છે કે-આ વિપશ્ચિત રાજા,દિશાઓના અંત જોવા-રૂપી,અવિદ્યાના ઉદ્દેશથી કલેશ પામ્યો હતો.
તે આત્મજ્ઞાનથી રહિત હતો,તેથી તેની આ સર્વ ચેષ્ટા,એ વૃથા ભ્રાંતિ-રૂપ જ હતી,
કેમકે,એવી મિથ્યા વસ્તુમાં દુરાગ્રહ રાખવો એ કલેશ આપનાર જ થાય છે.

(રાજસભામાં રાજાની પાસે બેઠેલા) વિશ્વામિત્ર કહે છે કે-હે મહારાજ,ઉત્તમ બોધ નહિ પામેલા અનેક પુરુષોને
આવાં (વિપશ્ચિત રાજાના જેવાં) વિલક્ષણ પ્રકારનાં અનેક ભ્રાંતિ-રૂપી જ્ઞાનો હોય છે અને તેથી વાસના વડે ખડાં થઇ
ગયેલાં તેવા જ પ્રકારનાં અનેક જગતો પણ હોય છે.વિપશ્ચિતના જેમ જ વટધાના નામના રાજપુત્રો,આજ સત્તર લાખ વર્ષ
સુધી,પોતાનો બંધાયેલો નિશ્ચય ક્ષીણ કર્યા વગર,ભૂમિનો અંત જોવા ઉદ્વેગ-રહિત થઈને મંડી રહ્યા છે.
વહ્યા જતા નદીના પ્રવાહની જેમ તેઓ આજ સુધી નિવૃત્ત થતા નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE