Apr 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1128

વસિષ્ઠ કહે છે કે-દેવતાઓ ઉપર પ્રમાણે કહેતા હતા,તેટલામાં તો એ દેવીના ગણો (ભૂતો) એ પૃથ્વીને
મેદ(ચરબી)ના સમૂહ વડે લીંપી દીધી અને પોતે મત્ત બનીને આકાશની અંદર નૃત્ય કરવા લાગ્યા.
જયારે તેઓ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે દેવતાઓએ તે ભૂતોએ પી લીધા પછી બાકી રહેલ રુધિરનો,
પોતના સંકલ્પ વડે એક પ્રવાહ કરીને સાગરમાં નાખ્યો અને સંકલ્પથી જ તે સાગરને 'સુરા' (મદિરા)નો બનાવી દીધો.
ત્યારથી તે સાગર મદિરાનો થઇ રહ્યો છે કે જે મદિરાને તે ભૂતો પીએ છે અને આકાશમાં નૃત્ય કરે છે.

જાણે હજુ સુધી આ સ્થિતિ કાયમ હોય તેમ તે મદિરાના સમુદ્રમાંથી વર્તમાનમાં પણ તે ભૂતો તે મદિરાનું પાન કરે છે
અને આકાશની અંદર જોગણીઓ (નાગણો) સહિત નૃત્ય કરે છે.એ ભૂતોએ ખાઈ લીધા પછી અવશેષ રહેલા
મેદના સમૂહ પૃથ્વીમાં સુકાઈ ગયા,તેને લીધે પૃથ્વીએ 'મેદિની' નામ ધારણ કર્યું.
આ પ્રમાણે વર્ણવેલા ક્રમથી જયારે શબનો ક્ષય થઇ ગયો અને પાછો દિવસ-રાત્રિનો ક્રમ શરુ થયો,
ત્યારે પ્રજાપતિએ પાછી નવી પ્રજા સર્જી અને પૃથ્વીની અંદર પાછો પૂર્વ પ્રમાણેનો દેખાવ થઇ રહ્યો.

(૧૩૬) અગ્નિદેવે કહેલું શબનું વૃતાંત

ભાસ (વિપશ્ચિત) કહે છે કે-હું તે સમયે અગ્નિના વાહનરૂપ પોપટની પાંખના મૂળમાં એક ખૂણામાં રહ્યો હતો.
મેં તે સમયે અગ્નિદેવને પૂછ્યું કે-આ શબ પ્રથમ કોણ હતું? અને શી નિમિત્તથી તેની આવી દશા થઇ?

અગ્નિદેવ કહે છે કે-હે રાજા,ત્રૈલોક્યની અંદર પ્રકાશી રહેલા અનંત શબનું સર્વ વૃતાંત હું કહું છું તે તમે સાંભળો.
તે પણ,અનંત,નિરાકાર,એક,પરમ ચિદાકાશ જ છે અને તેની અંદર આ અસંખ્ય જગતો પરમાણુની જેમ રહેલાં છે.
એ શુદ્ધ ચિદાકાશ સર્વવ્યાપી છે,સર્વના આત્મારૂપ છે અને તેની અંદર પોતાની મેળે જ વિષયાકાર જ્ઞાનને રૂપે
સંકલ્પ-સ્ફૂર્તિ થઇ.પછી તેણે ભાવનાના બળથી પોતાના ચિન્મય સ્વભાવને લીધે પોતાને તેજના પરમાણુ-રૂપ (જીવ)ને
જોયો.અને પોતાની વૃદ્ધિ કરવાની ભાવનાથી તે ચક્ષુ-આદિ ઇન્દ્રિય-રૂપ થઇ ગયો.
અને તે ઇન્દ્રિયોના (દૃશ્ય-આદિ) વિષયો-રૂપ પંચભૌતિક જગતને,તેણે દીઠું.

એ જગતમાં કોઈ એક આસુરી-જાતિનો જીવ હતો કે જે પોતાના આસુરી સ્વભાવને કીધે બહુ અભિમાની હતો.
એ અસુરે જયારે પોતાના મદોન્મતપણાથી કોઈ મહામુનિના આશ્રમને ધૂળધાણી કરી નાખ્યો ત્યારે મુનિએ તેને શાપ
આપ્યો કે-તે તારા અતિસ્થૂળ (મોટા) શરીરને લીધે મારા આશ્રમનો નાશ કર્યો છે માટે તું મૃત્યુને પ્રાપ્ત થઈને
અધમ મછરા-રૂપ (નાના સ્વરૂપે) થઇ જા. તેમ,તે જ સમયે,તે મહામુનિના શાપથી,તે અસુર ભસ્મ થઇ ગયો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE