Apr 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1139


(૧૪૦) હૃદયની કલ્પનાનું વર્ણન
સાધુ બનેલ વ્યાધ (પારધી) મુનિને પૂછે છે કે-હે મહારાજ,આપ જેવો જ્ઞાન અને યોગ વડે સિદ્ધ થયેલ પુરુષ,
આપે વર્ણવેલી અવસ્થાને કેમ પ્રાપ્ત થયો? અને તે સમયે ધ્યાનના પ્રયોગ વડે ઉપશમને પ્રાપ્ત કેમ ના થયો?

મુનિ કહે છે કે-જગત ભ્રાંતિ-રૂપ છે,ને તે આકાશની અંદર આભાસ-રૂપે પ્રતીતિમાં આવે છે.
તે આભાસ-રૂપ પ્રલયમાં નાશ પામી જાય છે.પ્રલય વખતે તે કોઈ વખતે ક્રમમાં તો કોઈ વખતે,
અણધારી રીતે,દિશાઓમાં કોઈ તોફાન આવતાં,સાતે સમુદ્રો,એક જ વખતે ભેગા થઇ,તરત પ્રલય પામે છે.
વળી હે વ્યાધ,આ કાળ (સમય) સર્વની કસોટી કરનાર અને સર્વને ગળી જનારો છે.
જે સમયમાં જે 'અવશ્ય-ભાવિ'(લખાયેલ) હોય છે તે અવશ્ય થાય જ છે.
જયારે ક્ષય-કાળ (મૃત્યુ સમય) નજીક આવે છે,ત્યારે  મહાપુરુષોનાં પણ તેજ-બળબુદ્ધિ બદલાઈ જાય છે.
મેં જે તને ઉપર વર્ણવી બતાવ્યું,તે સ્વપ્નની અંદર જોયેલું છે.ને સ્વપ્નમાં શું સંભવતું નથી?

વ્યાધ (પારધી) કહે છે કે-હે મહારાજ,આપે જે આ સર્વ કહ્યું,તે જો સાવ મિથ્યા હોય અને કેવળ સ્વપ્નના
સંભ્રમ-માત્ર-રૂપ હોય તો પછી તેનું અહી વર્ણન કરી બતાવવાનો શો અર્થ (ફળ) છે?

મુનિ કહે છે કે-હે વ્યાધ,અહીં અત્યારે (આ સમયે)તમને બોધ (જ્ઞાન) કરવારૂપી એક મોટું કાર્ય કરવાનું છે.
તને,જયારે સ્વપ્ન-પ્રપંચ અને દૃશ્ય-પ્રપંચની સમાનતા અનુભવમાં આવી હતી,ત્યારે તમે આ દૃશ્ય(જગત) ને સ્વપ્નના
જેવું ભ્રમાત્મક સમજો  તથા તમારા સત્ય આત્મ-સ્વરૂપનો બોધ ઉદય થાય,તે માટે મેં તે વિષે આગળ વિસ્તારથી
કહી બતાવ્યું.તમને પોતાના આત્મસ્વરૂપનો અનુભવ થાય-એ જ મારો ઉદ્દેશ છે.હવે હું આગળ કહું છું.

હું ત્યારે તે (મનુષ્યના) પ્રાણના ઓજ (તેજ) ની અંદર રહ્યો હતો અને સ્વપ્નની અંદર ભ્રાંતિને લીધે
દૃશ્ય-પ્રપંચ (જગત) માં ભ્રમણ કરતો હતો.ને તેના પ્રવાહમાં જાણે ખેંચાતો જતો હતો.
વચમાં હું કિનારા પરના કોઈ શિખરે આવેલા કોઈ મુનિના આશ્રમમાં વિશ્રાંત થઈને રહ્યો,કે જ્યાં મને ગાઢ
નિંદ્રા આવી ગઈ.હું ત્યારે પૂર્વની પોતાની (મુનિની) વાસના વડે યુક્ત (પોતાના ઓજમાં) હતો.અને એમ
પોતાના ઓજની અંદર રહીને પણ સુષુપ્તિ અવસ્થા પછી મને પ્રાપ્ત થયેલી નિંદ્રાની અંદર મેં પ્રથમના જેવો
(તે મનુષ્યના ઓજની અંદર દેખાયેલા પ્રલયના જેવો જ ) પ્રલય જોયો,કે જે જોઇને મને બમણું દુઃખ થવા માંડ્યું.

હું ઘણા સમય સુધી આકુળ થઇ રહ્યો.પછી જાગી જતાં,મેં  જોવા માંડ્યું તો-તે મનુષ્યના હૃદયના ઓજની અંદર રહેલું,
તે જ મુનિના આશ્રમ-વાળું પ્રથમનું જ શિખર મારા જોવામાં આવ્યું.ને જગત પણ દેખાણું.
જેમ વૃક્ષની શાખામાંથી પાંદડાં-આદિ ઉત્પન્ન થાય છે,તેમ મારા (પોતાના) ચિત્તમાંથી જ,હવે,પૃથ્વી,વાયુ,આકાશ,
પર્વતો નદીઓ અને દિશાઓ ઉત્પન્ન થઇ ગયાં.ને પદાર્થો સાથેની પૃથ્વી મારા જોવામાં આવી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE