May 31, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1169

આ જગતનો ભાસ એક સ્વપ્ન જેવો  છે,અને તેની અંદર તે (હિરણ્યગર્ભ) પોતે જ સંકલ્પ-રૂપ બની જાય છે.
તેમ જ પોતે જુદીજુદી સંજ્ઞાઓ-રૂપ થઇ જઈ તે વડે વ્યવહાર કરે છે.હે રાજા,તેમાં પ્રથમ તમારા ઉદ્દેશથી,
તે હિરણ્યગર્ભના સંકલ્પમાં 'આ જીવ મહાતામસ જાતિનો છે'એવું સ્ફુરણ ઉઠ્યું.એટલે આતિવાહિક
સૂક્ષ્મદેહના આકારે રહેલી તમારી જાતિને 'તામસ-તામસી'નામથી કહેવામાં આવી છે.
એવી જ રીતે જુદીજુદી સંજ્ઞાઓ વાળી જાતિઓ 'કલ્પવામાં' આવી છે.

જેઓ જ્ઞાન-વૈરાગ્ય-ઐશ્વર્ય-આદિ વડે યુક્ત બુદ્ધિથી સાક્ષી-રૂપે ભોક્તા બને છે તેઓ તે જ જન્મમાં મુક્ત થઇ જાય છે
અને તેમની જાતિ 'સાત્વિક-સાત્વિકી' કહેવાય છે.
જેઓ અનેક જન્મોમાં ભોગ અને મોક્ષ-એ બંને ક્રમપૂર્વક ભોગવે છે-તેમની જાતિ 'રાજસ-રાજસી' કહેવાય છે.
હે મહારાજા,તમારા અનેક જન્મો વ્યતીત થઇ ગયા છે અને તે જન્મો વિવિધ તથા વિચિત્ર છે,તે સર્વને હું જાણું છું
પણ તમે જાણતા નથી.અત્યારે (આ જન્મમાં) તમે તામસ-તામસી જાતિ વડે ઉત્પન્ન થયા છે.અને સામાન્ય રીતે
આ જાતિવાળા લોકો અનેક જન્મ પછી મોક્ષને પ્રાપ્ત થાય છે,એટલે આ જન્મમાં તમારો મોક્ષ થવો દુર્લભ લાગે છે.

સિંધુરાજા કહેશે કે-હે મંત્રી,આ તામસ-તામસી જાતિ કયા ઉપાયથી જીતાય?
જો એવો કોઈ ઉપાય હોય તો.જ્યાં સુધી આ દેહ રહે ત્યાં સુધી હું તેવા ઉપાય મુજબનું વર્તન રાખું.

મંત્રી કહેશે કે-હે રાજા,આ ત્રણે લોકમાં એવું કશું પણ નથી કે જે ઉદ્વેગ રાખ્યા વગર કરેલા અસ્ખલિત પ્રયત્ન વડે પ્રાપ્ત ના
થાય.જેમ આજે કરેલાં સત્કર્મથી ગઈકાલનાં દુષ્કર્મ ઢંકાઈ જઈ શુભરૂપ પકડે છે,તેમ તમે પણ આ જન્મમાં પુરુષ-પ્રયત્ન
વડે આ જાતિને જીતી લઇ સત્કાર્યમાં જોડાઈ જાઓ.જે મનુષ્ય જે અર્થના માટે પ્રાર્થના કરે છે,
તથા યત્ન કરે છે તે અવશ્ય મેળવે છે.સિવાય કે વચમાં થાકી જઈ પોતાનો પુરુષાર્થ મૂકી દે.

મુનિ (વ્યાધને) કહે છે કે-હે વ્યાધ,સિંધુરાજાનો મંત્રી આ પ્રમાણે કહેશે,એટલે તે રાજા,રાજ્યભારને છોડી રહેલી પોતાની
બુદ્ધિથી ત્યાં તે જ સમયે પોતાનું પ્રસિદ્ધ રાજ્ય છોડી દેશે.પછી તે દૂર વનમાં ચાલ્યો જશે અને મંત્રીઓની પ્રાર્થના છતાં
પોતાના રાજ્યને પાછો સ્વીકારશે નહિ.મહાત્માઓની મધ્યમાં નિવાસ કરનાર એ રાજાને વિવેકની કથાઓ સાંભળીને
વિવેકનો ઉદય થશે.જીવન અને જન્મો-વિષેના વિચારના અભ્યાસથી તે જીવનમુક્તતાને
પ્રાપ્ત થશે અને એમ સત્સંગતિના બળથી મોક્ષને પ્રાપ્ત થશે.

(૧૫૮) વ્યાધ આકાશમાં ઉડી,શબરૂપે નીચે પડશે

મુનિ કહે છે કે-હે વ્યાધ,હવે પછી તમારું જે કંઈ થવાનું છે,તે સર્વ તમને કેમ જાણે થઇ ગયું હોય તેમ કહી બતાવ્યું છે.
હવે તમારી ઈચ્છા હોય તે પ્રમાણે તમને સારું લાગે તેમ કરો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE