Jun 27, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1191

વસિષ્ઠ કહે છે કે-ધૈર્યવાન એવો મુમુક્ષુ પુરુષ,સાધન-સંપત્તિ,,સત્સંગ તથા સદશાસ્ત્રથી થયેલા તત્વ-સાક્ષાત્કાર
વડે,પ્રબોધ (જ્ઞાન) ને પ્રાપ્ત થઇ જઈ સંસાર-સાગરની પેલે પાર પહોંચી જઈ,એકાંત સ્થળમાં સુખથી સુઈ રહે છે.
આશ્ચર્ય એ છે કે-તે તત્વજ્ઞ પુરુષ,મહેલ,પલંગ-આદિ શય્યાના સાધન વિના અને પ્રાણની ચેષ્ટા વિના,
પોતાના સ્વરૂપથી ભિન્ન એવી 'નિંદ્રા' નામની વસ્તુથી પૃથક (જુદો) રહે છે.
આમ,તે પોતાના સ્વરૂપમાં જાગ્રત રહે છે ને (છતાં) સુખથી સુઈ રહે છે.

ધીર એવો તે જ્ઞાનવાન પુરુષ કોઈ પણ જાતનો અધ્યાસ રાખતો નથી,ને તે બોલવું,ખાવું,શ્વાસ લેવો -આદિ લૌકિક
ઉચિત વ્યવહાર કર્યા કરવા છતાં,જાણે મોટા જંગલમાં હોય,તેમ લોકોની વચ્ચે પણ આશ્ચર્યકારક રીતે સુઈ રહે છે.
તેની નિંદ્રા કંઇક અપૂર્વ છે કે જે મેઘોની ગર્જના કે તેના અંગના કંપાવાથી પણ નિવૃત થતી નથી.
સર્વ ઇન્દ્રિયોને અંતર્મુખ કરીને તેની આંખો ખુલ્લી હોવા છતાં તે જગતને દેખતો નથી.
આત્માના પ્રકાશ વિના તે બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રાખતો નથી,
ને અદ્વૈત પદમાં આરૂઢ થઇ,તે આશ્ચર્યકારક રીતે સુઈ રહે છે.

અવકાશ વિના અશક્ત એવું આકાશ,જાણે પોતાને જ અધિષ્ઠાનરૂપ કલ્પી લેતું હોય,તેમ,જીવનમુક્ત પુરુષ પણ
પોતાના સ્વરૂપમાં સ્થિતિને ધારણ કરે છે.જેમ નિંદ્રામાં અનુભવેલું સ્વપ્ન,પરમ પ્રયત્ન વડે અનુસંધાન થતાં સ્મરણમાં
આવે છે,તેમ,પરમ ઉત્કૃષ્ટ પ્રયત્ન કરીને ચિત્તને કંઇક બહિર્મુખ કરીને તે બાહ્ય વ્યવહારનું અનુસંધાન રાખે છે,
અને આભાસ-રૂપ-દેહ વડે વ્યવહાર કરે છે.આમ છતાં,તેને આકાશના જેવા પોતાના સ્વરૂપનું જ્ઞાન હોવાથી,
તે જગત આદિ-ધર્મો (કર્મો)ને આકાશના જેવા જ શૂન્ય સમજે છે.

આમ તત્વવેત્તા પુરુષ વ્યવહારિક વિષયમાં સદાકાળ સૂતેલા જેવો જ રહે છે,છતાં પોતે પ્રબુદ્ધ અને સુષુપ્ત રહે છે.
વિષમપણાને છોડી દઈને સમાન ચિત્તને ધારણ કરી રહેલો તથા શમ,દમ,તિતિક્ષા,જ્ઞાન,વૈરાગ્ય,સંતોષ -આદિ પોતાની
પ્રવૃત્તિઓને અનુસરવાથી,આ મધુરતાવાળા પોતાના મિત્ર (પ્રવૃત્તિઓ) સાથે આયુષ્યના બાકી રહેલા સર્વ દિવસોને
ગાળીને,તે જીવનમુક્ત પુરુષ,છેવટે પરમપદમાં અવશ્ય વિશ્રામ પામશે જ.

(૧૭૦) જીવનમુક્તના મિત્રનું વર્ણન

રામ કહે છે કે-હે મહારાજ,જીવનમુક્ત પુરુષનો મિત્ર કોણ છે? કે તેની સાથે તે રમે છે? તેનું રમવું તે પોતાના
આત્મ-સ્વરૂપમાં સ્થિતિ રાખવી તે જ છે કે પછી રમણીય વિષયોમાં પ્રીતિ રાખવી-તે છે?તે વિષે કહો.

વસિષ્ઠ કહે છે કે-(જીવનના પ્રવાહમાં થતું) સહજ-કર્મ,(લૌકિક-સંગ્રહ માટેનું) શાસ્ત્રીય કર્મ,અને
(શાસ્ત્ર-વિચાર,અભ્યાસ,સત્સંગ,શમ,દમ-આદિ દ્વારા) પોતાના પ્રયત્ન વડે મેળવેલું કર્મ,
આ સર્વ કર્મો ઉપાધિના યોગે જુદાજુદા નામવાળા છે,છતાં એક કર્મ રૂપ જ છે,
અને આ 'કર્મ' એ તે જીવનમુક્ત પુરુષનો એક જ ને સહજ મિત્ર છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE