Jul 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1216

દેવી કહે છે કે-હે બાલિકા,પતિ માટે કે પોતાના માટે,જે વરદાન માંગવું હોય તે તમે માગો.
દેવીનું વચન સાંભળી,ચિરંટીકા (નામની એક પત્નીએ) દેવીના ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરી,
પોતાની ભાવના પ્રમાણે દેવીની સ્તુતિ કરી,આનંદથી વ્યાપ્ત થઈને આકાશમાં રહેલાં દેવીને કહેવા લાગી કે-
'જેમ મહાદેવજી સાથેનો આપનો પ્રેમ અવિચળ છે તેમ મારો પ્રેમ પણ મારા પતિ સાથે અવિચળ રહો.
વળી મારો ભર્તા (પતિ) અમર થાઓ.'

દેવી કહે છે કે-હે સુવ્રતિની,સૃષ્ટિના આરંભથી માંડીને,પ્રવૃત્ત થયેલા ઈશ્વરી-નિયમની દૃઢતાને લીધે,
કોઈ પણ તપ-દાન વડે અમરપણું મળી શકતું નથી માટે તમે કોઈ બીજું જ વરદાન માગો.

ચિરંટીકા કહે છે કે-હે દેવી,જો એ અમરપણું અલભ્ય હોય તો,મારો ભર્તા મરી ગયા પછી,
તેનો જીવ ક્ષણવાર પણ ઘરમાંથી બહાર ના જાઓ.જયારે મારા પતિનું જયારે મરણ થાય
ત્યારે આ વરદાનનો અમલ થાઓ.આવું વરદાન મને આપો.
દેવી કહે છે કે-'ભલે તેમ થાઓ.હે પુત્રી,દેહનો અંત થતાં તારો પતિ,સપ્તદ્વીપ-પૃથ્વીનો પતિ થશે
ત્યારે તું તેની ભાર્યા થશે,આમાં કંઈ સંશય નથી'

વૃદ્ધ (કદંબ) તપસ્વી કહે છે કે- આમ વરદાન આપી દેવી ત્યાંથી અંતર્ધાન થઇ ગયાં.ત્યાર બાદ તે સર્વેના
પતિઓ વરદાન મેળવીને ઘેર આવ્યા.આજે તમે પણ ઘેર જાઓ તેથી બાકીના બાંધવો સાથે સમાગમ થશે.
વળી બીજું પણ એક આશ્ચર્યકારક વૃત્તાંત બન્યું છે કે જે આકુળતા ઉત્પન્ન કરનાર છે
તેમજ અયોગ્ય અને સત્કર્મનાં ફળનો પ્રતિબંધ કારણરૂપ છે,તે તમે સાંભળો.

તમે સર્વ આઠેય ભાઈઓ તપમાં હતા,ત્યારે તમારાં દુઃખ-યુક્ત મા-બાપ પોતાની પુત્રવધૂઓને લઈને,
પુત્રોના હિતની ઇચ્છાથી કલાપગ્રામ નામના તીર્થ તરફ જવા નીકળ્યાં હતાં ત્યારે રસ્તામાં,અંગોમાં ભસ્મ લગાવેલ
એક પુરુષ તેમણે જોયો,પણ 'તે તો કોઈ પથિક હશે' એવી શંકા કરી તેનો અનાદર કરી ચાલ્યાં ગયાં.
ત્યારે તે મુનિએ ક્રોધમાં આવી જઈ પિતાને કહ્યું કે-

'હે પુત્રવધૂઓ સાથેના મહામૂર્ખ,તું તારી પત્ની અને પુત્રવધૂઓને લઈને તીર્થયાત્રાએ નીકળ્યો છે,પણ મને,
દુર્વાસાને નમસ્કાર-આદિ શુશ્રુષા કાર્ય વિના જ અપમાન આપીને ચાલ્યો જાય છે,માટે તારા પુત્રોએ તથા
તેમની સ્ત્રીઓએ.તપ વડે જે મોટાં વરદાન મેળવ્યા છે,તે પણ વિપરીત ફળ આપનારાં થશે.'
પિતા પાછો વળી મુનિનું સન્માન કરવા અને માફી માગવા પાછો વળે તે પહેલાં તે ઋષિ ત્યાંથી અદૃશ્ય થઇ ગયા.
ત્યારે,સર્વ દુઃખી થઇ ગયા અને દુર્બળ થઇ જઈ નિરાશ બની પોતાને ઘેર પાછા આવ્યા.

માટે જ કહું છું કે -તમારા સર્વેનું,આશ્ચર્યકારક એવું એક જ અઘટિત વૃત્તાંત નથી.
ચિદાકાશના સંકલ્પ વડે રચાયેલા આ જગત-રૂપી મહાનગરમાં,શૂન્ય છતાં
આવાં લાખો,વિચિત્ર તથા અઘટિત વૃત્તાંતો સંભવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE