Oct 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1285

જે સત્ય એવું ચિદાકાશ છે,તે જ સૃષ્ટિ-પ્રલય-રૂપ છે,તેનું વાસ્તવિક સ્વરૂપ ન ઓળખાય,ત્યાં સુધી
તે દુઃખ આપે છે પણ જયારે તેનું વાસ્તવિક સ્વરૂપ ઓળખવામાં આવે છે ત્યારે પરમ શાંતિનો લાભ થાય છે.
એ ચિદાકાશ જ દેવઘટરૂપ છે,પટરૂપ છે,શૈલરૂપ છે,સ્ફોટરૂપ છે,તટરૂપ છે ને વટરૂપ પણ છે,
તૃણ,અગ્નિ,સ્થાવર અને જંગમ એ સર્વરૂપ તે પોતે જ છે.ચિદાકાશરૂપ ના હોય એવું કશું પણ અહીં નથી.
એ એક જ વસ્તુ નિત્ય છે,ને બહાર પણ તે જ છે.આદિ-મધ્ય-અંત-રૂપ પણ તે છે અને ત્રિકાળ-રૂપ પણ તે જ છે.
એ ચિદાકાશમાં સર્વ વસ્તુ 'બ્રહ્મ-રૂપે' જોતાં તે સર્વ પ્રકારે છે અને 'દૃશ્ય-રૂપે' જોતાં તે સર્વ પ્રકારે સદૈવ નથી જ.

હવે જો ચિદાકાશ જ સર્વરૂપ છે તો પછી સ્વપ્નસાક્ષીમાં કલ્પાયેલા નગરની જેમ,સર્વ બ્રહ્મરૂપ હોવાથી
સર્વ વસ્તુ (જગત) સર્વદા છે જ.બ્રહ્મ-દૃષ્ટિથી જોતાં તૃણ પણ  કર્તા-રૂપ છે,ભોક્તા-રૂપ છે અને તે ઈશ્વર પણ છે.
બ્રહ્મ-દૃષ્ટિથી જોતાં,દૃષ્ટા -એ કર્તા છે,ભોકતા છે અને સર્વ દેવોનો પણ તે અધિશ્વર (ઈશ્વર) છે.
સર્વ વસ્તુઓમાં,પ્રત્યેકની અંદર 'એક' જ વસ્તુ પરથી પણ પર છે,અનાદિ છે,અનંત છે.
તે જગતને ધારણ કરનાર હોવાથી ધાતા પણ કહેવાય છે,તે કર્તા-ભોક્તા છે,કેમ કે સર્વ બ્રહ્માત્મક છે.

જે વિજ્ઞાનવાદીઓ 'સર્વ માત્ર વિજ્ઞાન જ છે' એમ માનનારા છે,તેમના વિચારમાં એ વિજ્ઞાન જ કર્તા-ભોક્તા છે.
શૂન્યવાદીઓ માને છે કે-કોઈ કર્તા પણ નથી કે કોઈ ભોક્તા પણ નથી.
ઈશ્વરવાદીઓનું એવું માનવું છે કે-અહીં એક ઈશ્વર જ કર્તા-ભોક્તા છે.(તો અહીં અદ્વૈત-સિદ્ધાંત મુજબ)
એ સર્વ-શક્તિમાન-પરમપદની અંદર સર્વ વિકલ્પો સંભવે છે.એ અધિષ્ઠાન-ચૈતન્યની અંદર વસ્તુતઃ તો
વિધિ-નિષેધની સ્થિતિ ક્યાંથી હોય? અને અધ્યારોપ દૃષ્ટિથી જોતાં સર્વ વિધિ-નિષેધની સ્થિતિ પણ છે !!
વસ્તુતઃ તો તે ચિદાકાશ (બ્રહ્મ કે ચૈતન્ય) પોતે નિર્વિકાર (નિરાકાર) દશામાં રહેવા શક્તિમાન છે.

સર્વ જીવોની સર્વ (પોતપોતાના અનુભવથી સિદ્ધ એવી પદાર્થ-આદિ) દૃષ્ટિઓ તથા સર્વ વિધિ-નિષેધ-સંબંધી
દૃષ્ટિઓ,પોતપોતાના સંકલ્પો,અનુભવો અને વાસનાઓના શેષ સાથે-કામ-કર્મ ઉત્પન્ન થયા પછી જ થાય છે.
તે, તે સમયે નિરંતર ક્રિયા કરી આપવામાં સમર્થ હોય છે તેથી વ્યવહારમાં તે સત્ય છે,પણ વસ્તુતઃ અસત્ય છે.
કેમ કે ચૈતન્યનું સ્વરૂપ જ પોતપોતાના અનુભવ પ્રમાણે જગતના રૂપને ધારણ કરે છે.

વસિષ્ઠ : હે રામચંદ્રજી,તમે પૂર્વ યુગમાં શિષ્ય-રૂપ બન્યા હતા અને હું ગુરૂ-રૂપ બન્યો હતો,ને આ પ્રમાણે
તમે મારી પાસથી ઉપદેશ સાંભળ્યો હતો,પણ તે સમયે તમને બોધ થયો નહોતો એટલે તમે બીજા જગતનો
અનુભવ કરી હમણાં દશરથરાજાને ત્યાં અવતર્યા છો અને પૂર્વયુગમાં જેવું પૂછ્યું હતું તેવું જ અત્યારે તમે
મને પૂછ્યું અને મેં એ વિષે,પરમાર્થનો બોધ કરનાર ઉપદેશ કર્યો.તમે તે સાંભળી અભ્યુદયને (બોધને) પ્રાપ્ત થયા છો,
માટે મોહને દુર કરી કર્મને સુખથી કરતા રહો. નિર્વાણને પ્રાપ્ત થયેલી શાંત બુદ્ધિને ધારણ કરીને,
નિર્વિકાર બની,તૃષ્ણાને છોડી દઈને ધર્મ વડે રાજ્યની રક્ષા કરો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE