Showing posts with label ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર. Show all posts
Showing posts with label ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર. Show all posts

Mar 1, 2013

Changdev Pasashti-by Sant Gnanesvar-ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર

જ્ઞાનેશ્વરે ચાંગદેવ પર ૬૫ ઓવીઓ નો એક પત્ર લખ્યો હતો.
તે પત્ર “ચાંગદેવ પાસષ્ટિ” તરીકે પ્રસિદ્ધ છે.

આં ૬૫ ઓવીઓમાં જ્ઞાનેશ્વરે ચાંગદેવ ને “તત્વમસિ” એ મહાવાક્ય નો જે બોધ કર્યો છે.
તેનો ભાવાર્થ એ છે-કે-
જેની (પરમાત્માની) ગેરહાજરીમાં (અદર્શનમાં) જગત દેખાય છે (ભાસે છે) અને
જેના હાજરીમાં (દર્શનમાં)  જગતનો લય (નાશ) થાય છે,તે શિવ (પરમાત્મા) નો નિત્ય વિજય થાઓ.

આત્મ-જ્ઞાન નો જેમ જેમ ઉદય થાય છે,તેમ જગત (નામ-રૂપ વાળા જગત) નો લય થાય છે.
અને તે-જ- જ્ઞાન (આત્મ-જ્ઞાન) જેમ જેમ આવૃત (માયાથી આવૃત્) થાય છે,
તેમ તેમ આં જગત (નામ-રૂપાત્મક પ્રપંચ) સત્ય ભાસે છે,

જો કે-આત્મ-સ્વરૂપ પ્રગટ પણ થતું નથી અને લય પણ પામતું નથી.
પ્રગટ થવાનો અને લય થવાના “ધર્મ” નો તેણે સ્પર્શ પણ થતો નથી.-કેમકે-
આત્મ-સ્વરૂપ “અપરિણામી” (પરિણામ વગરનું) અને “સ્વયં સિદ્ધ” છે.

બુદ્ધિમાં “અહંકાર” (શરીર નો અહંકાર) વગેરે નો ઉદય થવાથી “સ્વ-રૂપ જ્ઞાન” આચ્છાદિત થાય છે,
અને તે જ બુદ્ધિ માં –
“સ્વ-રૂપ બોધ” થવાથી, “અહંકાર” વગેરે નો લય થાય છે. (આટલો –જ બોધ અહીં ગ્રહણ કરવાનો છે.)

આં પ્રમાણે “આત્મ-સ્વ-રૂપ” અને “જગત”—એ બંનેના પ્રગટ થવાના અને લય થવાના –
ખેલ ઉપરથી એ બંને એક બીજાથી જુદા છે –એમ દેખાવા નો સંભવ છે,
પરંતુ હકીકત માં તેમ નથી.

જગત (નામ-રૂપાત્મક જગત) એ “બ્રહ્મ” (પરમાત્મા) થી જુદું નથી. પરંતુ એક જ છે.
જે પ્રમાણે સોના ના અલંકારો બનાવવા થી અલંકારો માં રહેલું સોનું નાશ પામતું નથી,
તે પ્રમાણે “બ્રહ્મ” (પરમાત્મા) સર્વ જગત રૂપે થવા છતાં –તેનું “પૂર્ણત્વ” નાશ પામતું નથી.

સમુદ્ર અને તેના તરંગો –એ બે જે પ્રમાણે “એક” જ છે,તેમ,જગત અને પરમાત્મા-એ -પરમાત્મા જ છે.

દૃશ્ય ને લીધે જ દ્રષ્ટા (જોનાર) ને દર્શન (જોવાનું જ્ઞાન) છે.
દૃશ્ય (દ્રશ્યતત્વ) નો લોપ (નાશ) થતાં દ્રષ્ટા અને દર્શન રહેતું નથી.
એટલે વિવેકદૃષ્ટિ થી જોવામાં આવે તો-
“એક” આત્મા (પરમાત્મા) જ ત્રિપુટી રૂપે (દૃશ્ય-દ્રષ્ટા-દર્શન) દેખાતો હોઈ-
એ ત્રિપુટી ભ્રમ રૂપ છે.-જયારે એક આત્મા (પરમાત્મા) જ સત્ય છે.

જેમ-અરીસા માં મુખ દર્શન કર્યા પૂર્વે –કે મુખ દર્શન કર્યા પછી,પણ મુખ તો તેની સ્થાને જ હોય છે.
જો કે તેનું (મુખ નું-બિંબનું) પ્રતિબિંબ જુદું દેખાય છે,પણ તે મુખ (બિંબ) સિવાય બીજું કાંઈજ નથી,
તેમ જગતની ઉત્પત્તિ પૂર્વે અને જગતના લય થાય પછી પણ-આત્મા (પરમાત્મા) જ રહે છે.
તો જયારે જગત દેખાય છે –ત્યારે પણ આત્મા (પરમાત્મા) સિવાય બીજું શું હોઈ શકે ??

ત્રિપુટી (દૃશ્ય-દ્રષ્ટા-દર્શન) ના ભાવ સિવાય પણ તે આત્મા (પરમાત્મા) સ્વયં-સિદ્ધ રહેલો છે-જ.
આ આત્માને (પરમાત્માને) કોઇ નામ આપી શકાતું નથી,કે-
તે કોઈ પણ સાધનથી જાણી શકાતો નથી....માત્ર જે છે-તે છે-જ.......

માટે હે ચાંગદેવ,તે વટેશ (શિવ-પરમાત્મા) ની સાથે તો “મૌન” થી જ “બોલવું” જોઈએ.અને
“કાંઇ નહિ થઈને”-“સર્વ” થવું જોઈએ.
તથા વિશેષતા (હું કંઈક છું તેમ) થી નહિ પણ સહજતા થી રહેવું જોઈએ.

તે (પરમાત્મા)-આત્મજ્ઞાન નો આશ્રય છે,નિરુપાધિક (ઉપાધિ-માયા- વગરનો) છે,અને કેવળ એક જ છે,
અને તે પરમાત્મા નો જ તું પુત્ર છે,અને - તેનો અંશ પણ છે.

હવે,હે ચાંગદેવ, તારી અને મારી વચ્ચે જે આત્મ-ઐક્ય છે, તે તું સાંભળ.

તારો અને મારો સંવાદ –ડાબા હાથની હથેળી ,જમણા હાથમાં મળે તે સમાન છે.
પ્રકાશ વડે પ્રકાશ જોવો –તેના જેવો તારો અને મારો સંવાદ છે.
તને મળવા મારું મન ઉત્સુક થયું હતું, પરંતુ-
આત્મ-સ્વ-રૂપ –માં-તું-અને હું-એક-જ-હોવાથી આપણો મેળાપ તો થઇ જ ગયો છે (સહજસિદ્ધ છે) –
અને હવે જો હકીકત માં (ક્રિયાથી) આપણા મળવાનું થાય તો-
જે આત્મ-સ્વ-રૂપે આપણે મળ્યા છીએ-તેમાં વિક્ષેપ થાય તેવો મને ભય લાગે છે.

જે મન તારાં દર્શનની આશા ધરે છે-તે-જ-મન જયારે -આત્મ-સ્વ-રૂપ તરફ વળે છે,ત્યારે-
આ દર્શન નો વ્યવહાર અટકી જાય છે.
જેમ મીઠું સાગર નું ઊંડાણ માપવા ગયું કે તે પોતે જ નાશ પામ્યું,
તેમ –જે-આત્મ-સ્વ-રૂપ –તું –કે જેને જોવા જતાં હું જ નાશ પામું છું !!!!
હું નાશ પામ્યો પછી-તું ક્યાંથી રહ્યો ??

હે ચાંગદેવ,હું અને તું –ના ભેદ વગર નો જે આત્મ-ભાવ છે-તે આત્મ-ભાવે તારો અને મારો મેળાપ છે જ.
ઉપર જણાવેલા વિચારો ને દૃઢતાપૂર્વક મનમાં ઠરાવ, અને પોતે જ પોતાના સ્વ-રૂપ ને જો.
તારું “સત્ય-સ્વ-રૂપ” –“નામ-રુપાતીત” (નામ-રૂપ વગરનું) છે.
તે “સ્વ”-ના “આનંદ”-ના “અમૃત” નું સેવન કરી ને તું સુખી થા.

હું તને ફરી ફરી કહું છું કે-આત્મ-જ્ઞાન રૂપી –ઐશ્વર્ય તારે ત્યાં આવ્યું છે, માટે
વેધ (જાણવાનો વિષય-જ્ઞેય) અને વેત્તા (જાણનાર-જ્ઞાતા) એ બંનેનાથી પર (જુદું)  જે-
“આત્મ-પદ” છે તેના પર તું વિરાજમાન થા.

આટલો બોધ પત્ર માં આપ્યા પછી-ઉપસંહારમાં જ્ઞાનેશ્વર જણાવે છે-કે-
આવી આત્માનુભવ રૂપી મીઠાઈ મારી નિવૃત્તિ માતા (નિવૃત્તિનાથ-ગુરૂ) એ મને આપી છે.
.............................................................................................................................
જ્ઞાનેશ્વરના પહેલા પુસ્તક-
ચાંગદેવ પાસષ્ટિ-ની વધુ માહિતી માટે -બુક ની નીચેની લીંક પર ક્લિક કરો 
...............................................................................................................................
જ્ઞાનેશ્વર ના બીજા પુસ્તક “હરિપાઠ ના -28-અભંગ”  છે.

જ્ઞાનેશ્વર ના ત્રીજા પુસ્તક “અમૃતાનુભવ” માં 
(૧) જગતની ઉત્પતિ નો ક્રમ (૨) જીવ અને આત્મા ના ભેદ નું કારણ (૩) ચાર પ્રકાર ની વાણી ની ઉત્પત્તિ
(૪) ત્રણ પ્રકાર ના અહંકાર નું નિરૂપણ અને તેમાંથી ઇન્દ્રિયો ને વિષયો ની ઉત્પત્તિ.
(૫) શરીર માં ના છ ચક્ર અને દશ વાયુ નું વર્ણન (૬) ઈડા ,પિંગલા અને સુષુમણા નું વર્ણન
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
................................................................................................................................
અને ચોથું “જ્ઞાનેશ્વરી ગીતા”-અથવા “ભાવાર્થ દીપિકા” વિષે આ બ્લોગ માં વિસ્તાર થી લખેલું છે.
નીચેની લીંક પર ક્લિક કરો
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય

જ્ઞાનેશ્વરી ગીતા-મૂળ રૂપે

અનિલ શુકલ
માર્ચ-૨૦૧૩