Apr 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-799

જેમ  ગતિ વિનાનો વાયુ,પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે,
જેમ આકાશમાં દીવા વગેરેના આકાર વિના પણ પ્રકાશ રહે છે,
તેમ આ જગત,પોતાના નામ-રૂપ વિના,બ્રહ્મમાં એકરૂપ થઈને રહે છે.
જ્ઞાન થતાં બ્રહ્મ-રૂપ થયેલા,આ જગતના બાહ્ય (રૂપ-આદિ) વિષયો અને અંદરના (સંકલ્પ-આદિ) વિષયો,નિઃસાર છે,અને તે અસત્ય હોવા છતાં મિથ્યા-રૂપ જ ભાસી રહ્યા છે.
આમ,સૃષ્ટિનાં નામ-રૂપ બાદ કરતા,સર્વ સૃષ્ટિ પરબ્રહ્મ-રૂપ જ છે અને પરબ્રહ્મ સર્વ સૃષ્ટિ-રૂપ છે.(એ જ "સર્વ ખલ્વિદમ બ્રહ્મ" વગેરે ઉપનિષદનાં વચનોનો ખરો અર્થ છે)

Apr 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-798

આ પ્રમાણે,આ સઘળું જે કંઈ છે-તે શાંત બ્રહ્મ-રૂપ છે,અને અહંકાર જગત આદિ -નામરૂપનું સ્વરૂપ તો આકાશની જેમ શૂન્ય છે.
જે સર્વ સંસારના નામે દેખાય છે-તે આદિ-મધ્ય-અંત રહિત,
એવું "ચૈતન્ય-આકાશ" જ (માયાના સંબંધ વડે) ચમત્કાર-વાળું થઈને,પોતાના ચકમકાટથી દીપી રહ્યું છે.

જેમ,સોનાના દાગીનાઓમાં,તેના આકારની દ્રષ્ટિ મટી જતાં,તે સઘળું સોના-રૂપ જ દેખાય છે,
તેમ,જગત-આદિ પદાર્થોમાં,તેના નામરૂપની દ્રષ્ટિ મટી જતાં,આ સઘળું બ્રહ્મ-રૂપ જ દેખાય છે.
"હું છું" એવો સંકલ્પ જ માત્ર અનેક અનર્થો ઉત્પન્ન કરનારા બંધનમાં નાખે છે,અને "હું નથી" એવો સંકલ્પ નિર્મળ સુખ-રૂપ મોક્ષ આપનાર છે.