Nov 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-982

ચિદાત્મા પોતે આકાશના જેવો અસંગ,નિર્વિકાર અને સર્વના અધિષ્ઠાન-રૂપ છે.મન જેમ સ્વપ્નના આકારે પરિણામ પામી જઈ,સ્વપ્નના પદાર્થો-રૂપે જોવામાં આવે છે તેમ,સર્વ પદાર્થોનું તત્વ ચિદાકાશ જ છે,છતાં તે પદાર્થોને આકારે પરિણામ પામતું નથી."બહારના જડ-પદાર્થો જ ચિદાત્માની સત્તાથી અંદર ચિદાકાશ-રૂપે (ચેતન-રૂપે) પરિણામ પામી જઈ જોવામાં આવે છે" એમ કહી શકાતું નથી,કેમ કે જડ પદાર્થ એ ચેતનથી સાવ ઉલટો છે અને તે કદી પણ ચેતન થઇ શકતો નથી.

Nov 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-981

તે પરબ્રહ્મની અંદર જુદાજુદા પ્રકારના ભેદોની કલ્પના મુદ્દલે છે જ નહિ,તેથી સૃષ્ટિઓ છે જ નહિ.
અને જો સૃષ્ટિઓ ના હોય તો તેના નાશનું (પ્રલયનું) પણ અસ્તિત્વ નથી.માત્ર આકાર વિનાનો કલ્પના-રૂપી-સૂર્યના કિરણોનો સમૂહ,જ ઘટ્ટ થઇ આ સર્વત્ર (જગતના) આકારે ભાસ્યા કરે છે,
બાકી શૂન્યતા વિના તેનું બીજું કોઈ રૂપ નથી.આ શૂન્યતા એ પોતે જ અવસ્તુ-રૂપ છે
(શૂન્યતામાં કશું પણ સંભવી શકે નહિ-કેમ કે કશું નથી એટલે શૂન્યતા છે)
તો પછી તેમાં અહંતા-મમતા,રાગ-દ્વેષ-આદિ ભાવની કલ્પના તો ક્યાંથી સંભવે?

Nov 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-980

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ઈશ્વર કાંઇ દૂર પણ નથી અને કાંઇ બહુ દુર્લભ પણ નથી.
મહા-જ્ઞાનમય એવો પોતાનો આત્મા જ "ઈશ્વર" (પરમેશ્વર-પરમાત્મા-બ્રહ્મ-ચૈતન્ય) છે.
આ સર્વ તે ચિદ્રુપ આત્માને અર્થે જ છે,તેનાથી જ થયેલું છે.એ પોતે સર્વ-રૂપ છે અને સર્વત્ર ભરપુર છે.સર્વની અંદર પણ તે રહેલ છે અને તે જ સર્વમય છે.સર્વના આત્મા-રૂપ એ ચૈતન્યને નમસ્કાર હો.જેમ,પવનમાંથી ગતિ ઉત્પન્ન થાય છે,તેમ સર્વના કારણ-રૂપ તે ચિદાત્મામાંથી સ્વભાવિક રીતે જ આ સર્વ સૃષ્ટિ-પ્રલય-આદિ વિકારો ઉત્પન્ન થાય છે.