Dec 2, 2012

રામાયણ-૫૪

      PREVIOUS PAGE
     NEXT PAGE


સીતાજી તે વખતે બોલ્યા છે-તુ આ શું માગે છે ? તુ આવું વરદાન માગે તે યોગ્ય નથી,
વેરનો બદલો તુ વેરથી આપવા માગે છે ? વેરનો બદલો તો પ્રેમથી આપવાનો હોય.
અપકાર નો બદલો ઉપકારથી આપે તે સંત. અપમાન નો બદલો માનથી આપે તે સંત.
ચારિત્ર્ય એ જ સંતો નું ભૂષણ છે. શ્રેષ્ઠ પુરુષો નો ધર્મ છે-કે- કોઈ પાપી હોય કે પુણ્યાત્મા હોય-
અથવા તો તે વધને યોગ્ય અપરાધવાળો કેમ ના હોય-પણ તે સર્વ ઉપર દયા કરે.
કારણકે-એવું કોઈ પણ પ્રાણી નથી,કે જેનાથી કોઈ અપરાધ થતો જ ના હોય.

એક પારધી જંગલ માં ગયો.ત્યાં પારધી પાછળ એક વાઘ પડ્યો,જીવ બચાવવા પારધી ઝાડ પર ચડી ગયો.
પારધી એ ઉપર જોયું તો ઉપરની ડાળ પર એક રીંછ બેઠું હતું.
નીચેથી વાઘ,રીંછ સાથે પશુ ની ભાષામાં વાત કરે છે,માનવ તારો શત્રુ છે,તને એ કોઈ દિવસ મારી નાખશે,
તેને ધક્કો મારી નીચે પાડ.
રીંછ કહે છે-કે આ માનવ મારા નિવાસસ્થાન પર આવ્યો છે,તેથી એક પ્રકારે મારી શરણ માં આવ્યો છે,તેને નીચે પાડું તો –ધર્મ નો ભંગ થાય.હું તેને ધક્કો નહિ મારું.
મોડી રાત્રે રીંછ ને નિંદ્રા આવી છે. હવે વાઘે માનવ ને કહ્યું-કે-આ રીંછ ભયંકર છે તે-તને ખાઈ જશે.
તુ રીંછ ને ધક્કો માર તો હું તેને ખાઈ જઈશ અને તુ નિર્ભય બનીશ.
માનવ કૃતઘ્ની હતો,,તેને ઊંઘતા રીંછ ને ધક્કો માર્યો, પરંતુ પરમાત્મા જેનું રક્ષણ કરે તેને કોણ મારી શકે છે? રીંછ નિંદ્રા માંથી પડ્યો પણ પ્રભુનું કરવું એવું કે એક ડાળી તેના હાથ માં આવી ગઈ અને રીંછ નીચે
પડ્યું નહિ. વાઘ હવે રીંછ ને કહે છે-કે-તેં જેનું રક્ષણ કર્યું-તેને તારી સાથે કપટ કર્યું,તુ હજુ સમજતો નથી?
તુ હજુ તેં પર વિશ્વાસ કરે છે?તુ એને ધક્કો માર.
રીંછે તે વખતે પણ ના પાડી છે.”એ ભલે તેનો ધર્મ છોડે પણ મારે મારો ધર્મ છોડવો નથી”

એક સાધારણ પશુ પણ ધર્મ નું પાલન કરે છે.
મનુષ્ય જો સ્વ-ધર્મ નું પાલન ના કરે તો તે પશુ થી પણ અધમ છે.

સીતાજી કહે છે-કે-તુ તારો ધર્મ છોડવા કેમ તૈયાર થાય છે ? વળી રાક્ષસીઓ નો કોઈ દોષ નથી,તેઓ રાવણના કહેવાથી મને ત્રાસ આપતી હતી. તેઓ રાવણ ની આજ્ઞા માં હતી.
આ દુઃખ મારા કર્મ નું ફળ છે.મેં લક્ષ્મણજી નું વિના કારણ અપમાન કર્યું હતું,તેનું આ ફળ છે.  
ઘણા દિવસ હું રાક્ષસીઓ સાથે રહી.અયોધ્યા જતાં પહેલાં રાક્ષસીઓ જે વરદાન માગશે તે હું આપીશ.
બેટા,તુ માગે છે-તેવો આશીર્વાદ હું તને નહિ આપું.

હનુમાનજી કહે છે-મા,હું સાચું કહું છું,આવી દયા તો મેં રામજી માં પણ જોઈ નથી. જયારે રામજી –રાક્ષસો ને
મારે છે-ત્યારે તે દયા ને દૂર બેસવા કહે છે.મા.તમારાં સિવાય આવી દયા કોઈ બતાવી શકે નહિ.

જે રાક્ષસીઓ સીતાજી ને ત્રાસ આપ્યો છે,તે રાક્ષસીઓ માટે પણ સીતાજી ના હૃદય માં દયા છે.તેમને વરદાન આપ્યું છે. સીતાજી પ્રેમ ની –દયાની-મૂર્તિ છે.

રામાયણ માં લખ્યું છે,કે-રામજી ને કોઈ વાર ક્રોધ આવ્યો છે,રાક્ષસો સાથે યુદ્ધ કરતાં કોઈ વખત તેમની આંખ લાલ થઇ છે.પણ જીવન માં સીતાજી ને કોઈ વખત ક્રોધ આવ્યો નથી. તેમને દુનિયા માં સર્વ જીવો ની દયા આવે છે. માતાજી ના ગુણો જો યાદ કરીએ તો ઘણી વખત રામ કરતાં પણ સીતાજી શ્રેષ્ઠ જણાય છે.

સીતાજી ના સ્મરણ માત્ર થી હૃદય પવિત્ર થાય છે,તેમણે અગ્નિપરીક્ષા આપેલી,દેવોએ પણ કહ્યું કે-
સીતાજી મહાન પતિવ્રતા છે.છતાં એક અધમ ધોબીએ સીતાજી ની નિંદા કરી.
પ્રભુ એ લક્ષ્મણ ને કહ્યું કે-અયોધ્યા ના લોકો મારા માટે-સીતાજી ને માટે ગમે તે કહે છે,મારા પર કલંક આવ્યું છે.મારી પ્રજા ને મારા વર્તન માં શંકા હોય તો મારે સીતાજી નો ત્યાગ કરવો છે.
રાજાની ગાદી રાણી ને રાજી કરવા માટે નહિ પણ પ્રજાને રાજી કરવા માટે છે.
હું સીતાજી નો ત્યાગ કરું તો આ પ્રજા સુખી થશે, ભલે અમે બંને દુઃખી થઈશું પણ પ્રજા સુખી થશે.
મારે જગત ને બોધ આપવો છે,કે રાજાનું વર્તન કેવું હોવું જોઈએ.

      PREVIOUS PAGE
     NEXT PAGE