Dec 1, 2012

રામાયણ-૨૦

      PREVIOUS PAGE
     NEXT PAGE

અયોધ્યાના લોકોને રામના રાજ્યાભિષેક ની ખબર પડી છે,બધાને અતિ આનંદ થયો છે,
પણ દેવો ને દુઃખ થયું છે.
તેનું એક કારણ હતું-તેઓ ને થયું કે- જો રામ રાજગાદીએ વિરાજશે તો રાવણ ને કોણ મારશે ?
દેવો એ વિઘ્નેશ્વરી દેવીનુ  આહવાન કર્યું છે. દેવીને કહ્યું-કે-અયોધ્યા જઈ તું રાજ્યાભિષેક માં વિઘ્ન કર.
રામજી ને સુખ-દુઃખ થવાનું નથી.તે તો આનંદરૂપ છે.દશરથરાજા ને સદગતિ મળવાની છે.

મહાત્માઓ કહે છે-કે-કોઈ સર્વ રીતે સુખી થાય તે “કાળ” ને પણ ગમતું નથી.
દશરથજી બહુ સુખી છે-તો તેમને “કાળ” ની નજર લાગી.
સંસાર નો નિયમ છે-કે-સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ.
“કાળ” વિઘ્નેશ્વરી માં પ્રવેશ કરે છે.વિઘ્નેશ્વરી વિચાર કરે છે-કે “હું ક્યાં જાઉં ?કોના શરીર માં જાઉં ?”

વિચાર કરતાં તેની નજર મંથરા પર પડી છે. મંથરા કૈકેયી ની દાસી છે. મંથરા માં વિઘ્નેશ્વરી એ પ્રવેશ કર્યો. મંથરા અયોધ્યા ની સજાવટ જોઈને કોઈ ને પૂછે છે-આ શાની તૈયારી ચાલે છે ?
લોકો એ કહ્યું –તને ખબર નથી? આવતીકાલે રામ નો રાજ્યાભિષેક છે.

કોઈ મહાત્મા ઓ કહે છે-કે- કૌશલ્યા ની થોડી ભૂલ થઇ હતી તેથી રાજ્યાભિષેક માં વિઘ્ન આવ્યું.
કૌશલ્યા એ પોતાની દાસી જયારે –રામના રાજ્યાભિષેક ના સમાચાર  લાવે છે-ત્યારે તેનું સન્માન કર્યું.
અને મોતી ની માળા આપી. પણ તે કૈકેયી ની દાસીનું સન્માન કરવાનું ભૂલી ગયા છે.
કૌશલ્યા ની દાસી ને જયારે મંથરા મળે છે-ત્યારે તે પૂછે-છે-કેમ આટલી આનંદ માં છે ?
તો કૌશલ્યા ની દાસી કહે છે-કે-રામ રાજા થવાના છે-જો મને કેવી મોતીની માળા મળી છે !!
હું કૌશલ્યાની દાસી છું એટલે મને માન મળ્યું-પણ તને તો કંઈ મળ્યું નહિ,તું તો કૈકેયી ની દાસી છે.
અને આમ જયારે મંથરાને એમ ખબર પડે છે-કે પોતાનું  સન્માન થયું નથી-એટલે તે ઈર્ષા થી જલી ઉઠે છે.

વ્યવહાર માં સામાન્ય ભૂલ થાય તો સજા થાય છે,
પણ પરમાર્થ માં કદાચ મોટી ભૂલ થાય તો પણ પ્રભુ ક્ષમા કરે છે. પરમાર્થ સહેલો છે.વ્યવહાર કઠણ છે.
વ્યવહારમાં થોડી પણ ભૂલ થાય તો લોકો ક્ષમા આપતા નથી.વ્યવહાર માં બહુ સાવધાની ની જરૂર છે.
કૌશલ્યા એ મંથરાને બોલાવી તેનું સન્માન કર્યું હોત તો –કોઈ મોટું તોફાન થાત નહિ.
જેમ ગૃહસ્થાશ્રમી ઓ ને વ્યવહાર કરવો પડે છે-તેમ સાધુ મહાત્મા ને પણ મુઠી ચણા ની જરૂર છે-ત્યાં સુધી
વ્યવહાર કરવો પડે છે.શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવો પડે છે, પણ
વ્યવહાર કરતાં કરતાં તે વ્યવહાર માં મળી જવાનું નથી, જોડે જોડે આત્મ-સ્વ-રૂપ નુ અનુસંધાન રાખવાનું છે. મન ના સૂક્ષ્મ ભાગ ને પરમાત્મા માં પરોવી રાખવાનું છે.મન નો સ્થૂળ-ભાગ ભલે વ્યવહાર માં હોય....

પનિહારીઓ પાણી ભરીને પાછી વળે-ત્યારે તેમના માથા પર ત્રણ દેગડા,એક હાથમાં ઘડો અને બીજા હાથમાં દોરડું,હોય –ત્યારે એક બીજી સાથે અલકમલક ની વાતો કરતી હોય-તો પણ બેડું –માથેથી પડી જતું નથી,કારણ તેનું સ્થૂળ મન વાતો માં હોય છે-પણ સૂક્ષ્મ મન માથા પરના દેગડા માં હોય છે.
આવી જ રીતે વ્યવહાર કરતાં ભગવાન ને ભૂલવાના  નથી,તો જ વ્યવહારમાં સફળતા મળે.

કૌશલ્યા ની દાસીએ મહેણું માર્યું અને મંથરા ના હૃદય માં ઈર્ષાનો અગ્નિ પ્રગટ થયો.
મંથરા કૈકેયી પાસે આવી રડવા લાગી અને નાટક કર્યું છે. કંઈ બોલતી નથી અને નિસાસા નાખે છે.

શાસ્ત્ર માં એવું લખ્યું છે-કે-પતિવ્રતા સ્ત્રીને –પુત્ર કરતાં સો ગણો વધારે પ્રેમ પતિમાં હોવો જોઈએ.
પતિનું કુશળ પહેલા પૂછવું જોઈએ –પણ અહીં =
કૈકેયીને રામના ઉપર પતિ કરતાં પણ અધિક પ્રેમ છે,એટલે પૂછે છે-તું કેમ રડે છે ? રામ તો કુશળ છે ને ?

      PREVIOUS PAGE
     NEXT PAGE