Aug 31, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૧૫

(૨૧) સ્ત્રી-ના શરીર ની નિંદા

રામ કહે છે કે-લોહી ની નસો અને હાડકાં ની ગૂંથણી થી શોભનારી,માંસની બનેલી પૂતળી-રૂપ,
અને યંત્રની પેઠે હાલ્યા કરતાં સ્ત્રીના શરીર-રૂપી “પાંજરા”માં તે એવું શું સોહામણું છે ?
ચામડીથી સોહાતા શરીર ની ચામડી કાઢી નાખવામાં આવે તો તે શરીર શું સોહામણું લાગશે?
અને છતાં તે સ્ત્રી શરીર પર આપણે શા માટે ફોગટનો મોહ કરીએ છીએ?
બહાર વાળ થી અને અંદર લોહી-માંસ થી ભરેલા એ અત્યંત બીભત્સ શરીરનું વિવેકી ને શું પ્રયોજન?

સ્ત્રીનું અંગ કેવળ- ઉપરથી જોતાં –“તે સ્ત્રી શરીર રમણીય છે” એમ કલ્પવામાં આવે છે,પણ,મને તો લાગે છે કે-“તે શરીર ઉપરથી પણ રમણીય નથી” કેવળ “મોહ” ને લીધે તે રમણીય લાગે છે.
ઘોડાર (ઘોડા ને રાખવાની જાગ્યા) જેમ ઘોડાને બંધન કારક છે તેમ સ્ત્રી, એ પુરુષો ને બંધન આપનારી છે.હે,મુનિ,અનેક રસોવાળી આ વિચિત્ર ભૂમિ,પણ અહીં સ્ત્રીના આશ્રયથી જ ભારે દૃઢ સ્થિતિ પામી છે.

સધળા “દોષો-રૂપી” –“રત્નો” ના –“ડાબલા-રૂપ” (રત્નો ને ડાબલા માં પુરી રાખવામાં આવે છે!!) અને
“દુઃખો ની સાંકળ-રૂપ” (સાંકળ થી પ્રાણીઓ ને ખીલે બાંધવામાં આવે છે)-એ સ્ત્રીનું મારે કશું પ્રયોજન નથી.
સ્ત્રીનાં નેત્ર,સ્તન, નિતંબ અને ભ્રમણ-એ બધાં તુચ્છ –માંસ-રૂપી સાર-વાળાં છે,તેમને હું સ્વીકારીને શું કરું? માંસ,લોહી અને હાડકાંના બનેલી તે પ્રિયાઓને ને સ્થૂળ-બુદ્ધિવાળા પુરુષો,બહુ લાડ લડાવે છે,પણ,
ગણ્યા દહાડામાં જ એ પ્રિયાઓનાં અંગે-અંગ વીંખાઈ જઈને સ્મશાનમાં જઈ સુએ છે.

સ્ત્રીઓના શરીરની આ જે સ્થિતિ મેં તમને કહી સંભળાવી,તેમ છતાં બુદ્ધિમાન પુરુષ,ભ્રાંતિથી,એને કેમ
અનુસર્યા કરે છે? અને “તે સ્ત્રી શરીર માં રસ પડે છે” એવી ભૂલ કરી શા માટે તે તરફ દોડે છે?

જેને સ્ત્રી હોય છે તેને ભોગ ની ઈચ્છા રહે છે,પણ સ્ત્રી વગરના ને ભોગ નું સ્થળ ક્યાંથી હોય?
માટે સ્ત્રી નો ત્યાગ કરવાથી, જગતનો ત્યાગ થાય છે,અને જગતનો ત્યાગ થવાથી સુખ સાંપડે છે.
જગતના ભોગો, તો માત્ર ઉપર ઉપરથી જ રમણીય લાગે છે,પણ તેઓ બહુ દુઃખ-દાયી અને ચંચળ છે.
હે,મુનિ,મરણ,રોગ અને ઘડપણ-આદિ ની બીક ને લીધે-હું તેમને વિષે (સ્ત્રી-વિષે) આસક્ત થતો નથી,
હું શાંત રહું છું,અને પ્રયત્ન-પૂર્વક પરમ-પદ પામવા માટે મનમાં ઉત્કંઠા રાખું છું.

(૨૨) વૃદ્ધપણા ની નિંદા

રામ બોલ્યા-
બાલ્યાવસ્થા ના રમત-આદિ ના અભિલાષ હજી તો પુરા થયા નથી,ત્યાં યૌવન તેને ગળી જાય છે,
પછી યૌવન ના પણ ભોગ ભોગવવાના અભિલાષ પુરા થયા ના હોય ત્યાં જરાવસ્થા તેને ગળી જાય છે.
જુઓ તો ખરા ! જીવન ની આ અવસ્થાઓ પણ પરસ્પર કેવી ક્રૂરતા રાખે છે?
વૃદ્ધાવસ્થા દેહ ના રૂપને બગાડી નાંખી,જર્જરિત કરી ને તે દેહનો નાશ કરે છે,
વૃદ્ધાવસ્થા થી જેનાં શરીર જીર્ણ થઇ,જેના સઘળાં અંગો શિથિલ ને લાંબા થઇ ગયા હોય છે,
તેવા પુરુષને સ્ત્રીઓ ઉંટ જેવો ગણે છે.
સહજ માં દીનતા આપનારી વૃદ્ધાવસ્થા,જયારે મનુષ્યને પકડે છે,ત્યારે બુદ્ધિ તેને છોડી ભાગી જાય છે.
નોકરો,પુત્રો,સ્ત્રીઓ,ભાઈ-ભાંડુઓ,તથા સંબંધીઓ,જેમ ગાંડા-ઘેલાની હાંસી કરે છે,તેમ તે વૃદ્ધ ની પણ
(તેને ગાંડો સમજી) હાંસી કરે છે.

દીનતા-જેવા બીજા ઘણા દોષોમાં તૃષ્ણા નો ઉમેરો થાય છે.તે વૃદ્ધ ને ખાવાનું પચતું નથી,ને
કફ-ઉધરસથી ડામાડોળ થયેલો હોય –પણ સારું સારું ખાવાની તૃષ્ણા વધે છે.પણ રોગોને લીધે કોઈ
તેને તેવું ખાવાનું આપતું નથી,એટલે મનમાં ને મનમાં ચિડાયા કરે છે અને ઉદ્વેગો તેને ઘેરી વળે છે.

હે,મુનિ,ભલે કોઈ,પર્વતની ગુફામાં ભરાઈ ગયો હોય (સન્યાસી) કે ભલે કોઈ,તેની આખી જિંદગીમાં
કોઈ શત્રુ થી જીતાયો ના હોય,પણ જરા (વૃદ્ધાવસ્થા) રૂપી રાક્ષસી થી તે થોડીવારમાં જ જીતાઈ જાય છે.
અને અશક્તિ,પીડા,દીનતા ને આપદાઓ થી ઘેરાઈ જાય છે.

હે ઋષિ,ઘડપણ આવ્યા છતાં પણ –“વધુ જીવવું છે” એવો દુરાગ્રહ વ્યર્થ જ છે.કારણકે-કોઈથી પણ નહિ જીતાયેલી,એ વૃદ્ધાવસ્થા,મનુષ્ય ના સઘળા મનોરથો ને ધૂળ-ધાણી કરી નાખે છે.



    INDEX PAGE
     NEXT PAGE