Aug 29, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૧૩

(૧૯) બાલ્યાવસ્થા ની નિંદા

રામ બોલ્યા-મનુષ્ય-જન્મ માં આવતી બાલ્યાવસ્થા કેવળ દુઃખને જ દેનારી છે.
અશક્તિ,આપદાઓ,ખાવા આદિ ની તૃષ્ણા,મૂંગા-પણું,મૂઢપણું,લાલચુ-પણું,ચપળ-પણું,અને
જોઈતી વસ્તુ ના મળે તો દીન-પણું---એ સઘળું બાલ્યાવસ્થા માં થાય છે.

બાલ્યાવસ્થામાં જેવી ચિંતાઓ હૃદયને પીડે છે,તેવી ચિંતાઓ
મરણના સમયમાં,યૌવન કે વૃદ્ધાવસ્થામાં,રોગ કે આપત્કાલમાં –પણ-હૃદયને પીડતી નથી.


જે (બાલ્યાવસ્થામાં) ઘોર અજ્ઞાન હોવાને લીધે-,મન અવ્યવસ્થિત રહે છે ને ઘોર સંકલ્પો થવાને લીધે-
તુચ્છતાભર્યું છે-તેવું બાળક-પણું કોને સુખદાયી થાય?
હે,મુનિ,જે લોકો “બાલ્યાવસ્થા રમણીય છે” એવી કલ્પના કરે છે,તેમની બુદ્ધિ વ્યર્થ છે.

પ્રાણીઓ નું મન સઘળી અવસ્થાઓ કરતાં બાલ્યાવસ્થામાં દશ-ગણું ચંચળ હોય છે.
મન તો આમેય ચંચળ જ છે,ને બાલ્યાવસ્થા તો આમ મહા-ચંચળતા થી ભરેલી છે.
આવી, મન ની ચંચળતાથી અનર્થો ઉભા થાય તો તે અનર્થો માંથી રક્ષક કોણ થાય?

બાળક ને જો નિત્ય નવો પદાર્થ ના મળે તો,તે ઝેર જેવા અસહ્ય ચિત્તવિકારથી મૂર્છા પામી જાય છે.
કુતરાની પેઠે,બાળક બટકું મળ્યે વશ થઇ જાય છે,ને બટકું ના મળે તો ચિડાઈ જાય છે.
ગંદામાં પણ રમ્યા કરે છે,કાદવથી ખરડાઈ ને અંદર તો જડ જેવો જ રહે છે.

અનેક મનોરથો (ઇચ્છાઓ) થી ભરેલી-અને ખોટી વસ્તુઓમાં સાચાપણાની કલ્પના કરનારી –
તુચ્છ મનવાળી –બાલ્યાવસ્થા બહુ જ લાંબા દુઃખ સારું જ છે.
હે,મુનિ,અંદર દુઃખો ને (ટાઢ-તડકો વગેરે) જાણવા છતાં,બાળક તે ટાઢ-તડકા-વગેરેનું નિવારણ કરવા
અશક્ત છે,તો તે બાળક અને ઝાડ માં શું ફરક છે?

ભૂખમાં,ભયમાં તથા આહારમાં-નિરંતર તત્પર રહેનારાં-બાળકો પક્ષીઓ ની જેવી રીતભાતવાળાં છે,
ને પક્ષીઓ જેમ ઉડે છે તેમ તેઓ પોતાના હાથથી ઉડવાની ઈચ્છા કરે છે.

બાળકપણામાં, ગુરુની,માતા-પિતાની,લોકો ની અને પોતાનાથી મોટાઓની બીક રહે છે,
માટે –બાળકપણું એ ભયો નું જ ઘર છે.માટે,
હે,મુનિ,”દોષો” ની સઘળી દશાઓથી દૂષિત થયેલા-અંતઃકરણ વાળું,અને અવિવેકી-નિરંકુશ,
બાળકપણું –એ આ સંસારમાં કોઈને સુખ આપનારું નથી.



    INDEX PAGE
     NEXT PAGE