Sep 2, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૧૭

(૨૪) કાળ નું રાજકુમાર-રૂપે વર્ણન

રામ બોલ્યા- આ (મહા) કાળ (સમય) તે “પરમાત્મા-રૂપ” રાજાનો રાજકુમાર (પુત્ર) છે.
સઘળી આપત્તિઓ તેનાથી દૂર રહી છે,અને તેના પરાક્રમ અપાર છે.

લક્ષ્યો (નિશાનો એટલે કે જીવો) ફરતાં રહેતાં હોય, અને પોતે પણ ફરતો રહેતો હોય,
તેમ છતાં લક્ષ્યો ને તે (જાણે પોતે મૃગયા-વિહાર માં ચતુર હોય તેમ) આસાની થી વીંધી નાખે છે.

જગત-રૂપી વનમાં,ચપળતાથી અનેક પ્રવૃત્તિઓ કરતો,આ સર્વોત્તમ  (મહા) “કાળ-રૂપી” રાજકુમાર,
અહીં (આ જગતમાં) ઘણી ચાલાકીથી પ્રાણીઓને (જીવોને) માર્યા કરે છે.

(૨૫) દૈવ અને ક્રિયા-રૂપ કાળ નું વર્ણન

રામ બોલ્યા- ઉપર કહેલા (મહા) કાળ થી જુદા બીજા બે પ્રકારના કાળ છે.(દૈવ અને ક્રિયારૂપ)
આ જગતમાં જે કાળ “ફળ ને ભોગવાવે”  છે,તે-   “દૈવ” કહેવાય છે,અને
જે કાળ “ફળ ને ઉત્પન્ન કરનારી ક્રિયા કરાવે” છે તે- “ક્રિયાકાળ” કહેવાય છે.

માત્ર પોતાના “ચલન-રૂપ એવી ક્રિયા” વિના “ક્રિયાકાળ” નું બીજું કોઈ રૂપ કે કામ જાણવામાં આવતું નથી.
જેમ,ગરમી,હિમ (બરફ) ના સમૂહ ને ગાળી નાખે છે,
તેમ આ ક્રિયાકાળ,સઘળાં “કૂણાં પ્રાણીઓ”ને (ફળ ઉત્પન્ન થતી ક્રિયાઓ કરાવી) બહુ જ ગાળી નાખે છે.

બીજો જે “દૈવ” નામનો કાળ છે-તેનું “કૃતાંત” એવું પણ નામ છે.
આ “દૈવ કે કૃતાંત” કાળ,કાપાલિક ની જેમ ઉન્મત્તપણા થી જગતમાં (સૃષ્ટિના-સમયમાં) નાચ્યા કરે છે.
અને “પ્રલયમાં”  તે પોતાના તાંડવવાળા નાચ ને --ઘણા કાળ સુધી બંધ પાડી વિશ્રાંતિ લે છે.
પાછા ફરી બ્રહ્મા-રુદ્ર ને ઉત્પન્ન કરી,
“જેમાં ઘણા દેખાવો કરવામાં આવે છે”-તેવી –અને “શોક,દુઃખ અને પરાભવ થી”
શોભતી આ “સૃષ્ટિ-રૂપ નાચ” ની “લીલા”  કરવા માંડે છે.
એટલે કે-જુદા જુદા બ્રહ્માંડો,જળ,વન અને પ્રાણીઓના સમૂહ ને –તે સમય (કાળ) ને અનુસરતી-
“સ્થિર અને ચંચળ-બન્ને જાતની નવી નવી રીતભાતો ને” કરાવ્યા કરે છે.ને ફળ ભોગવાવ્યા કરે છે.

(૨૬) સંસાર દુર્દશા

રામ બોલ્યા-હે,મહામુનિ,કાળ- આદિનું ચરિત્ર આ (ઉપર) પ્રમાણે છે,
તો પછી,”સંસાર” નામના પદાર્થમાં મારા જેવા ને તો શું વિશ્વાસ રહે?
હે.મુનિ,”વિષયોની રચના”  થી અમે “મોહ” પામ્યા છીએ.
અને “દૈવ” (ભાગ્ય) આદિના હાથે,જાણે વેચાયેલા હોઈએ તેમ રહ્યા છીએ.
ને “કાળ” નામનો ધૂતારો,જગતમાં સર્વ લોકો ને નિરંતર આપદામાં (મુશ્કેલીઓમાં) પાડ્યા કરે છે.



    INDEX PAGE
     NEXT PAGE