Apr 6, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-131



જ્ઞાની લીલા પૂછે  છે કે-હે,દેવી,હવે મારો આ પતિ પ્રાણ-ત્યાગ કરવા તત્પર થયો છે તે વખતે મારું
કર્તવ્ય શું છે? દેહધારી મનુષ્યો ના જીવનમાં તથા સુખ ના ભાવ અને દુઃખ ના અભાવ માં પ્રથમ
કેવો નિશ્ચય હતો? અને પછી થી જન્મ-મરણ થી જણાતો અનિશ્ચય કેવી રીતે થયો?
અગ્નિમાં ઉષ્ણતા કેવી રીતે છે?હિમ માં શીતળતા કેમ છે?કાળ તથા આકાશ-વગેરેમાં કેવી સત્તા રહેલી છે?

ઘણી બાબતો-જેવીકે-સાચી ચાંદી નો સંગ્રહ કરવો અને છીપ માં દેખાતી ચાંદીનો ત્યાગ કરવો-કે પછી-
પૃથ્વી સ્થૂળ પદાર્થ છે અને મન અને ઇન્દ્રિયો વગેરે સૂક્ષ્મ છે-આવી બાબતો કેવી રીતે જાણવામાં આવે છે?
તાડનાં ઝાડ ઊંચાં થાય છે તો -પૃથ્વી-પાણી એ સઘળું એ જ હોવા છતાં ઘાસ કેમ નાનું રહે છે ?

દેવી કહે છે કે-હે પ્રબુદ્ધ,લીલા,મહાપ્રલયમાં જયારે સર્વ પદાર્થો અસ્ત પામે છે,ત્યારે ચારે દિશાઓમાં -
આકાશ-એ સત્ય-બ્રહ્મ-રૂપે જ રહે છે.
જેમ સ્વપ્નાવસ્થા માં જાગ્રત કે આકાશમાં ઉડવાનો અનુભવ થાય છે,
અને જાગ્રત અવસ્થામાં જેમ,દોરીમાં સર્પ નો અનુભવ થાય છે-
તેમ,"બ્રહ્મ" એ "સૂક્ષ્મ ચૈતન્ય થી વ્યાપ્ત" હોવાથી,
"હું સૂક્ષ્મ-ભૂત છું" એવો અનુભવ કરે છે.એથી તે "સૂક્ષ્મ-ભૂત-રૂપી-આત્મા" પોતાની મેળે "સ્થૂળ-પણા" ને
પામે છે.આ રીતે તે "સ્થૂળ-પણું" એ અસત્ય હોવા છતાં,સત્ય-રૂપે જણાય છે.અને તેને "બ્રહ્માંડ" કહે છે.  

તે બ્રહ્માંડ માં રહેલા "બ્રહ્મા" (દેવ) એ "હું બ્રહ્મ છું" એમ જાણે છે-
અને -તે જે મનોરાજ્ય (મનથી રાજ્ય) કરે છે-તેને "જગત" કહેવામાં આવે છે.
તે જગતમાં પ્રથમ ની સૃષ્ટિમાં જે સ્થળે જેવીજેવી સંકલ્પની વૃત્તિઓ થઇ છે,તે આજ સુધી નિશ્ચળ રહેલી છે.

જે જે વિચારો ચિત્તમાં (મનમાં) સ્ફુરિત થાય છે તે તે બધું "આત્મા નું ચૈતન્ય" છે.માટે,
કોઈ પણ "સ્વ-ભાવ" પોતાની મેળે આ જગતમાં અનિયમિત રીતે ઉત્પન્ન થતો નથી.
જેમ,સોનાનાં કુંડળ -તેના આકારનો ત્યાગ કરે તો -કુંડળ રહેતું નથી,સોનું જ રહે છે.તેમ છતાં તે સોનામાં
કુંડળ  નો આકાર -તો રહેલો છે. (સોના માંથી પાછું કુંડળ બની શકે છે)
તેમ,"વિશ્વ-રૂપી-બ્રહ્મ" માં પણ સર્વ વસ્તુઓ પ્રલય વખતે હોય છે તેમ માનવું જોઈએ.
એટલે કે-તેમાં (બ્રહ્મમાં) કંઈ પણ હોતું નથી એમ માની શકાય નહિ.

સૃષ્ટિના આદિમાં હિમમાં શીતળતા તથા "અગ્નિ"માં ઉષ્ણતા-જેવા "સ્વભાવ" નો આવિર્ભાવ કરેલ છે.
અને તેવા "સ્વભાવ" આજ સુધી રહેલા છે.માટે સત્ પદાર્થમાંથી તેમની સત્તાનો ત્યાગ થતો નથી,અને
ચૈતન્ય છે (ચૈતન્ય માંથી આવિર્ભાવ થયેલો હોવાથી) તેથી તેમની "નિયતિ"નો પણ નાશ થતો નથી.

સર્ગ થવાના આદિમાં (શરૂઆતમાં) "આકાશ"નો "પાર્થિવ-રૂપે" જે જે સ્થળે (સર્વ-સ્થળે) આવિર્ભાવ થયો છે-
તે આજ સુધી જેવી ને તેવી સ્થિતિમાં જ રહ્યો છે.
અને જે સ્થળે -જે ચૈતન્ય નો આવિર્ભાવ (આકાશ-અગ્નિ વગેરે) થયેલો છે તે સ્થાન "ચૈતન્ય ના જ્ઞાન"
વિના ચલાયમાન થતું નથી.(જ્ઞાન થી જ  આ વસ્તુ -આકાશ વગેરે નું અસ્તિત્વ જાણી શકાય છે)

આ જે પ્રત્યક્ષ "જગત" નો અનુભવ થાય છે તે-"જગત" ઉત્પન્ન થયેલું નથી પણ,
સ્વપ્નમાં થયેલા સ્ત્રીના સંગ ની પેઠે "ચૈતન્ય-રૂપી-આકાશ" નો આવિર્ભાવ જ છે.
આમ, પ્રકાશ પામતું જગત અસત્ય છે,છતાં સત્યની પેઠે જણાય છે.અને તે જ પ્રમાણે,
સ્વભાવ,સંપત્તિ,જીવન,મરણ નો અનુભવ ખોટો છે છતાં સાચો જણાય છે.
સૃષ્ટિના આરંભમાં-સૃષ્ટિ ના અવિર્ભાવ ની જે જે સંતતિ થયેલી,તે આજ સુધી તેવી ને તેવી રીતે
રહેલી છે -તેને "નિયતિ" કહે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE