May 5, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-151


આકાશમાં જેવી રીતે ઝાડ ની કલ્પના થાય,તેવી રીતે અનાદિ થી -મધ્ય-પર્યંત-બ્રહ્મ કે જે
અચળ હોવા છતાં ચળ જણાય છે,તેનાથી વ્યાપીને "અજ્ઞાન ની દૃષ્ટિ " થી "સૃષ્ટિ" રહેલી છે.
જેમ સ્ફટિક માં વન-સમૂહ નું પ્રતિબિંબ પડે છે,અને
જેમ સૂતેલો મનુષ્ય,સ્વપ્નમાં સંકલ્પ ના આશ્રય-રૂપ આકાશને જુએ છે,
તેમ "માયા-સબળ બ્રહ્મ" માં રહેનાર "બ્રહ્મા" (બ્રહ્મ-દેવ) એ "નિયતિ-રૂપ સૃષ્ટિ" દીઠી.

જેમ હાથ-પગ વગેરે અંગ દેહધારીના અંગ થી દેખાય છે,તેમ બ્રહ્માએ નિયતિ-વગેરે સૃષ્ટિ -એ
પોતાનું જ અંગ છે તેમ જોયું. આ પ્રમાણે  રહેલી નિયતિ ને જ "દૈવ" કહે છે.
તે "દૈવ" સર્વ ઠેકાણે સર્વ કાળમાં તથા સર્વ પદાર્થમાં "જગતની વ્યવસ્થા-રૂપે "રહેલું છે.

અમુક પદાર્થે-"આવી રીતે સ્ફુરણા કરવી" તો અમુકે "આવી રીતે રહેવું" અને
અમુકે "અમુક પદાર્થ અમુક વખત સુધી ભોગવવો"- આ બધું દૈવાધીન છે.
સર્વ-ભૂત,જગત,કાળ અને ક્રિયા-વગેરે સર્વ "પુરુષ-રૂપ" જ છે.એ નિયતિ થી પૌરુષી સત્તા છે,અને
પૌરુષ થી નિયતિ ની સત્તા છે.આ પ્રમાણે જ્યાં સુધી જગત છે ત્યાં સુધી એકબીજાની સત્તા છે.
પણ પછી પૌરુષ અને નિયતિ એક જ છે.બંને એકબીજામાં રહેલાં છે.

હે,રામ હવે તમારે દૈવ અને પૌરુષ નો નિર્ણય મને પૂછવાનો રહ્યો.આ પ્રમાણે શિષ્ય-ભાવથી તમે મને
જે પ્રશ્ન કરો છે અને હું જે ઉપદેશ કરું છું તે પ્રમાણે તમે વર્તો છો તે નિયતિને લીધે જ બને છે.
"આજ મને દૈવ ભોજન આપશે તો જ હું જમીશ" આ પ્રમાણે દૈવ-પરાયણ થઈને,
કંઈ પણ કર્યા વિના મૂંગું રહેવું તે પણ નિયતિનો નિશ્ચય છે.

જો કોઈ મનુષ્ય કંઈ પણ કાર્ય ના કરે તો તેને બુદ્ધિ,કર્મ,વિકાર તથા આકૃતિ વગેરે કંઈ પણ થાય નહિ.
આ પ્રમાણે પ્રલય થતા સુધી સર્વ પદાર્થ ની વ્યવસ્થા છે.
"અમુક આ પ્રકારે અવશ્ય થાય" એવી સ્થિતિ "નિયતિ" કહેવાય છે.અને એવી નિયતિ નું
બ્રહ્મા-રુદ્ર (દેવો) વગેરે પણ ઉલ્લંઘન કરી શકતા નથી.

તેમ છતાં પણ બુદ્ધિમાન પુરુષે આ નિયતિ ના આધારથી પુરુષાર્થ નો ત્યાગ કદી કરવો જોઈએ નહિ.
કારણ કે પુરુષાર્થ વગર નિયતિ કંઈ પણ ફળ આપતી નથી.
પુરુષાર્થ કર્યા વિનાની નિયતિ નિષ્ફળ છે અને પુરુષાર્થ રૂપી નિયતિ સફળ છે.

કદાપિ-એમ કહો કે-જે મનુષ્ય કોઈ પણ પુરુષાર્થ કર્યા વિઅના અજગરનું વ્રત ધારણ કરીને રહે છે -
તેને પણ આહાર મળે છે અને તૃપ્તિ થાય છે-માટે પુરુષાર્થ વિના પણ નિયતિ ફળ આપે છે-
તો તેના જવાબ માં એ કહેવાનું  કે-ઉપર પ્રમાણે અજગર-વૃત્તિ (વ્રત) ધારણ કરનાર ને પણ આહાર મળ્યા પછી -ખાવું,ચાવવું વગેરે પુરુષાર્થ વગર તૃપ્તિ થતી નથી.
તેમ,તેવા મનુષ્ય નો જે દેહ રહે છે-તે પણ તેનો પ્રાણવાયુ -હાલેચાલે-તેના માટે હલન-ચલન -વગેરે
પુરુષાર્થ કરે છે-તેનાથી જ (તેનો દેહ) રહે છે અન્યથા નહિ.

જેઓ યોગી છે અને તે ઉપર પ્રમાણે અજગરનું વ્રત ધારણ કરીને સમાધિથી જો-કદાપિ પોતાના પ્રાણવાયુને રોકે તો તે "રોકવાની પ્રક્રિયા" પણ એક પુરુષાર્થ જ થયો કહેવાય.અને તેથી તેમને મુક્તિ-રૂપી ફળ મળે છે.
માટે આ પ્રમાણે પુરુષાર્થ વિના ફળ-સિદ્ધિ નથી એ નિશ્ચય છે.
શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પુરુષાર્થમાં પરાયણ રહેવું તેને "સાધન-રૂપ કલ્યાણ" કહે છે.પછી કર્મ માં અત્યંત વિરામ
પામવાથી જે કલ્યાણ-રૂપી ફળ થાય તેને મોક્ષ કહે છે.અને તે સાધન થી જ સાધ્ય છે.
જ્ઞાની ને નિયતિ પણ દુઃખ-રૂપ નથી,દુઃખ-રહિત નિયતિ ને "બ્રહ્મ-સત્તા" કહે છે -અને તે બ્રહ્મ-રૂપી
સત્તા ની કાંતિમાં યત્ન થી સ્થિતિ થાય તો પરમ-ગતિ-રૂપ પરમ શુદ્ધ-પદ ની પ્રાપ્તિ થાય છે.

આ રીતે-બ્રહ્મ ની સત્તા નિયતિ ના મહા-વિલાસ થી સર્વ ઠેકાણે જોવામાં આવે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE