Jun 12, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-189


સૂર્ય-દેવતા (બ્રહ્માને) કહે છે કે-હે,પ્રભુ,તમે ચેષ્ટા રહિત છો,તથા ઈચ્છા રહિત છો,
તમારે સૃષ્ટિથી શું પ્રયોજન છે? આ સૃષ્ટિ તો માત્ર તમારો વિનોદ છે.
જેમ,સૂર્યથી જળમાં સૂર્ય-રૂપી પ્રતિબિંબ પડે છે,
તેવી રીતે નિષ્કામ એવા તમારાથી સૃષ્ટિની ઉત્પત્તિ પ્રતિબિંબ-રૂપે થાય છે.
હે,ભગવન,તમને શરીરની પ્રાપ્તિમાં કે શરીરના ત્યાગમાં –રાગ કે દ્વેષ નથી.
પણ તમે તો વિનોદને માટે આ જગત ઉત્પન્ન કરો છો.
જેવી રીતે સૂર્ય રાત્રિ સમયે દિવસનો સંહારકરીને,પ્રાતઃકાળે જેમ ફરીથી દિવસનો ઉદય કરે છે-
તેવી રીતે,તમે જગતનો સંહાર કરીને ફરીથી આ જગતને ઉત્પન્ન કરો છે.

તમે જે સૃષ્ટિ ઉત્પન્ન કરો છે,તે આસક્તિ રાખ્યા વિના,માત્ર વિનોદને માટે જ કરો છો.
તમે એ કર્તવ્ય છે એમ સમજીને કરો છો.અને તેમાંથી સ્વાર્થ સાધવાની તમારી ઈચ્છા નથી.
સૃષ્ટિ કરવાનું એ તમારું નિત્ય-કર્મ છે,
માટે તમે જો સૃષ્ટિ ઉત્પન્ન નહિ કરો,તો નિત્ય-કર્મ નો ત્યાગ થવાથી તમને બીજું શું ફળ પ્રાપ્ત થશે?

નિર્મળ અરીસો જેમ પ્રતિબિંબની ક્રિયા કરે છે,તેવી રીતે સત્પુરુષ પોતાનું કર્તવ્ય-કર્મ
તેમાં આશક્ત થયા વિના કરવું જોઈએ,બુદ્ધિમાન મનુષ્યને કર્મ  કરવામાં જેમ કામના હોતી નથી,
તેમ,કર્મનો ત્યાગ કરવામાં પણ કામના હોતી નથી.
માટે “પરમાર્થ (પરમ અર્થ) થી તો સુષુપ્તિ જેવી” અને “પ્રતીતિ થી તો સ્વપ્ન જેવી”
"નિષ્કામ બુદ્ધિ" થી,યથા-પ્રાપ્ત કર્મ – કરવું જોઈએ.
હે પ્રભુ,જો બ્રાહ્મણ ના દશ પુત્રોએ કરેલી,સૃષ્ટિ થી જ તમે સંતોષ પામશો,
તો હવે પછી પણ તેઓ,પોતાની,સૃષ્ટિ થી જ તમને સંતોષ પમાડશે.
વળી,જે આ સૃષ્ટિ થયેલી છે,તેને તમે ચિત્ત-રૂપી નેત્રથી જોઈ શકો છો,
પણ સાક્ષાત ચક્ષુ-ઇન્દ્રિય થી જોઈ શકતા નથી.માટે ચક્ષુ(આંખ) થી દેખાય તેવી સૃષ્ટિ તમે કરો.

જે મનુષ્યે પોતાના મનથી સૃષ્ટિ ઉત્પન્ન કરી હોય,તે જ મનુષ્ય તે સૃષ્ટિને પોતાનાં નેત્રથી જોઈ શકે છે,
પણ બીજો તે જોઈ શકતો નથી.માટે બ્રાહ્મણ ની કરેલી સૃષ્ટિ ને તમે તમારાં નેત્ર થી જોઈ શકશો નહિ.
વળી તે બ્રાહ્મણની કરેલી સૃષ્ટિનો કદી નાશ થઇ શકે તેમ નથી
કારણકે,તેણે તે પોતાના ચિત્તના દૃઢ-પણા થી (મન થી ) તે સૃષ્ટિ કરેલી છે.(હકીકત ની નહિ)
હે,બ્રહ્મન,કર્મેન્દ્રિયો વડે કરેલા પદાર્થ નો નાશ થઇ શકે છે,
પણ મન-કલ્પિતનો (મન થી કલ્પેલાનો) કદી નાશ કેવી રીતે થઇ શકે?
જે મનુષ્યના મનમાં કોઈ જાતનો દૃઢ નિશ્ચય બંધાય,છે,તે નિશ્ચય પોતાને ફેરવવો  હોય તો ફેરવી શકે છે.
પણ બીજા મનુષ્ય થી તેના મનના નિશ્ચય નું નિવારણ થતું નથી.

દેહનો નાશ થાય તો પણ ઘણા કાળના અભ્યાસ થી મનમાં જે નિશ્ચય થયો હોય તેનો નાશ થતો નથી.
જે મનુષ્યના મનમાં જેવો દૃઢ નિશ્ચય બંધાય છે,તે નિશ્ચય-રૂપ જ તે પુરુષ છે.
માટે તેનો નિશ્ચય ફેરવવા સારૂ એક માત્ર જ્ઞાન જ ઉપાય છે.
જેમ.પથ્થર માંથી ફણગો ફૂટવા માટે તેના પર પાણી રેડવું વ્યર્થ છે,
તે પ્રમાણે તે સિવાયના (જ્ઞાન સિવાયના) બીજા ઉપાયો પણ વ્યર્થ જ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE