Aug 21, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-257



જેમ,સમુદ્રના તે સર્વ તરંગ નું એક જળ એ જ સામાન્ય રૂપ છે.
તેમ, આદિ-અંત થી રહિત,સર્વ-શક્તિમાન,બ્રહ્મમાં વિચિત્ર આચારથી ચંચળ એવું આ જગત,
અભિન્ન છતાં ભિન્ન દેખાય છે.
બ્રહ્મ વિના જગત ના નામની કલ્પના છે જ નહિ,થઇ નથી અને થશે પણ નહિ.
ખરું જોતાં બ્રહ્મ અને જગત માં કોઈ ભેદ નથી,
માટે આ જગત સંપૂર્ણ બ્રહ્મ-રૂપ જ છે,એમ યત્ન થી નિશ્ચય કરો.અને અન્ય સર્વ પદાર્થ નો ત્યાગ કરો.
અનેક પ્રકારના આકારવાળી,એક આકારવાળી કે નિયત આકારવાળી-
“નિયતિ” (પદાર્થ ની સત્તા) એ પદાર્થ માં રહેલી છે.
જડ પદાર્થમાં જડ-રૂપ સત્તા અને ચૈતન્ય પદાર્થમાં ચૈતન્ય-રૂપ સત્તા રહેલી છે.

એ જ  પ્રમાણે “વાસના-રૂપી-શક્તિ” પણ આત્મા ના પોતાના સ્વરૂપમાં રહેલી છે.
આ આત્મા અનેક પ્રકારના આકારો કરીને,તેમાં વિહાર કરવાથી,અનેક-પણાનો અંગીકાર કરે છે,
પણ જળ થી જેમ તરંગો જુદા નથી,તેમ જગત-રૂપી સમગ્ર કલ્પના પરમાત્મા થી જુદી નથી.

જેમ,આકરા તડકામાં વિચિત્ર રંગ(વર્ણ)-પણું રહેલું છે (આકરો તડકો એ સામાન્ય તડકાથી જુદો દેખાય છે)
તેમ,સત્-અસત્-રૂપ વિચિત્ર "શક્તિ" પરમાત્મા માં રહેલી છે.
જેમ,એક જ રંગ (વર્ણ) વાળા મેઘમાંથી,વિચિત્ર (કે વધારે) વર્ણ-વાળું મેઘ-ધનુષ્ય ઉત્પન્ન થાય છે,
તેમ,વિચિત્રતાથી રહિત એક પવિત્ર પદમાંથી,વિચિત્ર-રૂપ વાળી,આ દૃશ્ય(જગત) સ્થિતિ ઉત્પન્ન થયેલી છે.

જેમ,કરોળિયો અજડ છે,પણ તેમાંથી જડ-તંતુ નો ઉદય થાય છે (જેનાથી તે જાળાં બનાવે છે)તથા,
જેમ,અજડ પુરુષમાંથી,જેમ,સ્વપ્ન ના રથ-વગેરે જડ વસ્તુની ઉત્પત્તિ થાય છે,
તેમ,અજડ વસ્તુમાંથી,"જડ-પણાના હેતુ રૂપ જડતા" ઉત્પન્ન થાય છે.
હે,બ્રહ્મન,જેમ,કોશેટો કરનાર કીડો,પોતાની ઇચ્છાથી જ પોતાનું જ બંધન થાય તેવી ક્રિયા કરે છે,
તેમ,આત્મા પોતાની ઇચ્છાથી જ વિસ્મૃતિની ભાવના કરીને,કઠિન બંધન કરે છે.અને
પોતાની ઇચ્છાથી જ પોતાના સ્વ-રૂપ નો સાક્ષાત્કાર કરીને,સંસારના બંધનથી મુક્ત થાય છે.

આત્મા પોતે જેવી ઈચ્છા કરેછે તેવી,તરત જ "પોતાની મહાન શક્તિ" વડે તે પરિપૂર્ણ કરે છે.
જેથી,ઘણા વખતની ભાવના વડે,દૃઢ થયેલી “વાસના-શક્તિ”પોતાના યોગ-સ્વ-રૂપ ને પામે છે.

જેમ ઋતુ ને અનુસરીને વૃક્ષ ની સ્થિતિ (પાનખર-વગેરે) તે ઋતુ પ્રમાણે જ થાય છે,
તેમ,જે "શક્તિ" ઉદય પામે છે,તે, જ "શક્તિમય આત્મા" થાય છે
તેમ,છતાં તે આત્માને મોક્ષ કે બંધન નથી.

આમ,બંધન-કે મોક્ષ એ કશું છે જ નહિ,તે છતાં મનુષ્યો,બંધન અને મોક્ષના વિકાર-વાળાઓ જણાય છે,
કારણકે,તેનું “નિત્ય-સ્વ-રૂપ” એ અવિદ્યા-રૂપી વાસનાથી ભોગ ભોગવવાના ભાવ થી ઢંકાયેલું છે.
અને તે જ માયા-મય જગત છે.
જયારે આત્મા પોતાના ચિત્તમાં વિચાર કરે છે-ત્યારે અવિદ્યા (અજ્ઞાન કે માયા) થી તેને બંધન થાય છે-
અને તેમાંથી,અન્યોન્ય-રૂપ "વિકલ્પિત શરીરવાળા" કરોડો મન ની ઉત્પત્તિ થાય છે.
આ રીતે,આત્મામાંથી ઉત્પન્ન થયેલું આ જગત છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE