Aug 2, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-238


(૧૨૦) લવણ-રાજાના સંબંધમાં ચાંડાલી નો વિલાપ


વશિષ્ઠ કહે છે કે-જેનું સ્વરૂપ મેં તમને સુવર્ણ ની વીંટી ની પેઠે મિથ્યા કહ્યું છે તે અવિદ્યાનું નાશાત્મક
મહત્વ કેવું પ્રબળ છે તે તમે સાંભળો.
પહેલાં,વર્ણન કરેલ લવણ-રાજાને ઇન્દ્રજાળ કરનાર મનુષ્યે ચંડાળ-પણાનો ભ્રમ દેખાડ્યો,અને એ બધું
જાણે નજરે જોયા પછી બીજે દિવસે,તે રાજાએ પોતે જોયેલી પૃથ્વીમાં જવાનો વિચાર કર્યો-
રાજા વિચારે છે કે-જે અરણ્યમાં મેં દુઃખનો અનુભવ કર્યો,તે અરણ્ય “ચિત્ત-રૂપી-અરીસામાં“ આલેખાયેલું
હોય તેમ મને સ્મરણ માં છે.માટે તે અરણ્યમાં જવાથી તે અરણ્ય સાચે જ મને કદાચ દેખાઈ શકે,
આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને,તેને પોતાના કારભારી સહિત,દક્ષિણ દિશાના માર્ગે પ્રયાણ કર્યું.
ત્યારે એક પ્રદેશમાં તેને પરલોકની પૃથ્વી જેવું એક અરણ્ય જોયું.અને પોતાના પ્રથમના અનુભવનો
વૃતાંત કરીને ત્યાંના લોકો ને પ્રશ્ન પૂછવા લાગ્યો.અને લોકો પાસેથી પોતાની જ હકીકત જાણીને તે
વિસ્મય પામી ગયો.તેણે ત્યાં રહેલ પારધી અને ચંડાળ ને ઓળખ્યા અને આકુળ બુદ્ધિ થી-કુતુહલ પણે
ફરવા માંડ્યું.પછી તે એક મહાટવી,માં આવ્યો,ત્યારે તેણે ધુમાડા-વાળા એક ભાગમાં-પોતે જ્યાં
ચંડાળ બન્યો હતો તે ગામ જોયું.


ત્યાંના લોકો,બાળકો અને સ્ત્રીઓને પણ તેણે જોયાં.
ત્યાં એકદમ તેણે પોતાની ચંડાળ દશાની જે સાસુ (આંખે કાણી) હતી તેં જોઈ,તેની આંખમાંથી આંસુની
ધારા ચાલી જતી હતી.અંગ દુર્બળ થઇ ગઈ હતી,અને બીજી વૃદ્ધ સ્ત્રીઓ જોડે પુત્રીના શબ જોડે તે બેઠી હતી.
અને પોતાની પુત્રીને જાણે -  દુઃખભર્યા આર્તસ્વરથી વિલાપ કરીને કહેતી હતી કે-
“તારા શરીર ની પાસે પુત્રો બેઠેલા છે, ત્રણ દિવસથી ભોજન ના મળવાથી તેમનું અંગ જર્જરિત થયું છે,
હે મારી પુત્રી,તલવાર જેમ મ્યાનમાં પ્રવેશ કરે,તેવી રીતે તારા જીવનમાં રાજાએ પ્રવેશ કર્યો પછી,
તે તારા પતિએ  કયા સ્થળે તારો ત્યાગ કર્યો? પુત્રથી પણ અધિક પ્રિય એવા મારા જમાઈને હું ફરીથી ક્યારે જોઇશ? હે,પુત્રી હું તારા માટે ખેદ કરું છું.ચંદ્ર જેવી કાંતિ-વાળા અને શુદ્ધ અંતઃપુર માં વિલાસ કરનારા,
તે રાજા બીજી સ્ત્રીઓને ત્યાગીને તારી સાથે પ્રીતિ બાંધી -પણ તે સ્થિર રહી નહિ.અને તમે બંને એક જ
સમયે નાશ પામ્યાં. હવે ધણી અને પુત્રી વિનાની –દૂર દેશમાં આવેલી આ દુર્ગતિ ને પામીને દુષ્ટ
જાતિમાં ઉત્પન્ન થયેલી એવી હું,દુઃખ,ભય અને મહા આપત્તિ-રૂપ જ છું.ભૂખ થી હેરાન થતાં આ બાળકોની
ભૂખ પણ હું મટાડી શકતી  નથી.”
આ પ્રમાણે,તે વૃદ્ધ ચંડાળણી વિલાપ કરી રહી હતી ત્યારે રાજાએ ધીરજ આપીને પૂછ્યું કે-
આ સ્થળે શું થયું હતું?તારી પુત્રી કોણ હતી ? તારો જમાઈ કોણ હતો?
ત્યારે તેણે રાજાએ જે અનુભવ્યું હતું તે જ વાત કહી સંભળાવી.
(૧૨૧) લવણ-રાજાના મન નું સમાધાન
વશિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે ના તે ચંડાળણી નાં વચન સાંભળીને રાજા વિસ્મય પામ્યો,અને મંત્રીના મુખ સામે જોઈ રહ્યો,અને જાણે ચિત્રમાં આલેખાયેલો હોય તેમ સ્તબ્ધ થઇ ગયો.ફરીથી તે આશ્ચર્ય-કારક ઘટનાનો
વિચાર કરવા લાગ્યો અને ફરી ફરી પ્રશ્નો પૂછવા લાગ્યો.
ત્યાર પછી,તે રાજાએ દયા કરીને તે ચંડાળ ગામમાં રહેતા પોતાના (સ્વપ્ન ના) સંબંધીઓના દુઃખ નો નાશ કર્યો,
અને ત્યાં કેટલોક સમય રહ્યા પછી,પોતાના રાજ્યમાં પાછો ફર્યો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE