Aug 12, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-248


ખરું જોતાં.મોટી શિલામાં સ્થિર થઈને રહેલી રેખાની પેઠે,
આ જગતનો ઉદય નથી,નાશ નથી,જતું નથી ને આવતું પણ નથી.
એક નિરાકાર આકાશમાં જેવી રીતે જુદા નિરાકાર આકાશના ભાગ દેખાય છે,
તેવી રીતે નિર્મળ આત્મા (પરમાત્મા) માં પોતાની મેળે જ સર્ગ સ્ફૂરે છે.
જેવી રીતે જળમાં દ્રવ-પણું છે,વાયુમાં સ્પંદ છે,સમુદ્રમાં ઘુમરી છે,અને
ગુણવાન મનુષ્યમાં ગુણ રહેલા છે,તેવી રીતે,ઉદય તથા અસ્તના આરંભ-રૂપે રહેલું,
આ જગત એક વિજ્ઞાનઘન,શાંત,"બ્રહ્મ-રૂપે" જ વિસ્તાર પામેલું છે.
“સહકારી કારણ વિના શૂન્ય વસ્તુમાંથી પોતાની મેળે આ જગત ઉત્પન્ન થયું છે” એમ કહેવું,
તે ઉન્મત (પાગલ) મનુષ્યના બોલાવા જેવું છે.
આથી જેના વિકલ્પના સમૂહ નો નાશ થયો છે-એવા તમે જાગ્રત થાઓ.અને પછી,
રાજા જેવી રીતે પોતાની સભાના સ્થાનક ને શોભાવે,તેવી રીતે,
તમે બ્રહ્મ-બોધ થવાથી અભય પદવીને પામીને બ્રહ્મવેતાઓ ની સભાને શોભાવો.
(નોંધ-અહીં,આ બીજા સર્ગ માં "તર્ક" થી કે  “સ્વ-રૂપ-ભેદ” થી,"જગતની સ્થિતિ નું ખંડન"કર્યું છે,
અને "પરમાનંદ-સત્ય-સ્વરૂપ ની સ્થિતિ નું મંડન" કર્યું છે-
ખંડન-મંડન ના આ વાદ-વિવાદો એ અત્યંત મહાજ્ઞાનીઓ અને પંડિતો માટે રાખીને
આપણા જેવા સામાન્ય માનવીએ -એ ભાંજગડમાં બહુ પડવા જેવું નથી,એમ મહાત્માઓ કહે છે.
(કારણકે આગળ જઈને તો સર્વ એક જ થાય છે) એટલે,
અહીં,ટૂંકમાં એક-ચૈતન્ય-આત્મા-પરમાત્મા-છે અને જગત પણ બ્રહ્મ છે- એટલું સમજાય એટલે ઘણું.....)
(૩) જગત નું અનંત-પણું

રામ કહે છે કે-હે,બ્રહ્મન,"મહા-કલ્પ" ના પ્રલય પછી,સૃષ્ટિના આરંભમાં પ્રથમ આ પ્રજાપતિ,
સ્મૃતિ-રૂપે ઉત્પન્ન થાય છે,અને તેનાથી જગત ઉત્પન્ન  થાય છે તેમ હું માનુ છું.
વશિષ્ઠ કહે છે કે-હે,રામચંદ્રજી,તમે કહો છો તેમ,મહા-પ્રલય ના અંતે સૃષ્ટિના આરંભમાં “સ્મૃતિ-રૂપે” જ
પ્રથમ પ્રજાપતિ (બ્રહ્મા) ઉત્પન્ન થાય છે.બ્રહ્મા ના સંકલ્પ-રૂપ આ જગત, એ ”સ્મૃતિ-રૂપ” છે.
અને  પ્રજાપતિ (બ્રહ્મા) નું પ્રથમ સંકલ્પિત જે નગર છે તે જ આ જગત છે.
પણ,જેવી રીતે,આકાશમાં જેવી રીતે વૃક્ષ નો સંભવ નથી,
તેવી રીતે, સૃષ્ટિના આરંભમાં “જન્મ-ના-હોવાથી” તે પરમાત્માને “સ્મૃતિ” નો સંભવ નથી.
રામ કહે છે કે-હે,બ્રહ્મન.સૃષ્ટિ ના આરંભમાં પૂર્વ-જન્મ ની સ્મૃતિ નો સંભવ કેમ નથી?
તથા મહાપ્રલય ના મોહ વડે પૂર્વ-કલ્પ ની સ્મૃતિ નો કેમ નાશ થાય?
વશિષ્ઠ કહે છે કે-પૂર્વે જે –બ્રહ્મા-વગેરે દેવતાઓનો મહા-પ્રલયમાં નાશ થયો,
તે અવશ્ય “બ્રહ્મ-પદવી” ને પામી ગયા છે.તો પછી પૂર્વ-જન્મ નો કર્તા કોણ? તે તમે કહો!!
એટલેકે “સ્મરણ કરનાર”ની જ મુક્તિ થવાથી-તે “સ્મૃતિ” એ નિર્મળ-પણાને પામી ગઈ.
આમ સ્મરણ કરનારનો જ જો અભાવ હોય તો સ્મૃતિ કેમ ઉત્પન્ન થાય?

વળી,મહા-કલ્પ માં સર્વે નો મોક્ષ થાય છે.”ચૈતન્ય-રૂપી-આકાશ”માં -અનુભવ થવાથી કે ના થવાથી,
જે સ્મૃતિ છે,તે જ આ જગતનું સ્થાનક છે.અને તેથી જ આ "ચૈતન્ય-પ્રભા" એ દૃશ્ય (જગત) રૂપે દેખાય છે.

આ પ્રમાણે આદિ અને અંત વિના પ્રકાશ પામતી "ચૈતન્ય-પ્રભા" એ જ "જગત" છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE