Sep 2, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-269


આત્મા એ નિર્મળ,સ્વયંપ્રકાશ અને વ્યાપક છે,છતાં પણ તે જોવામાં આવતો નથી (જોઈ શકાતો નથી)
માટે બહિર્મુખ લોકો ની ભ્રાંતિ ભારે પ્રબળ  છે !!
જેમ,નેત્ર બીજા પદાર્થો (દ્રશ્ય) ને જુએ છે,પણ પોતાના "દ્રષ્ટા-રૂપ"  સ્વરૂપને જોતું નથી,
તેમ,બહિર્મુખ લોકો દૃશ્ય ને જુએ છે,પણ પોતાના "આત્મા" (દ્રષ્ટા) ને જોતા નથી.

જો કે બ્રહ્મ એ આકાશની પેઠે,વ્યાપક છે,તો પણ યત્ન કરવા છતાં પણ ભાગ્યે જ જોવા મળે છે,
પરંતુ (તો પછી-એમ હોવા છતાંયે)
જે દૃશ્ય (જગત) છે તેને જો દૃશ્ય-રૂપે (જગત-રૂપે) જ જોવામાં આવે તો બ્રહ્મ ની પ્રાપ્તિ બહુ જ  દૂર છે.
એટલે-
દૃશ્ય-જગતમાં થી દૃશ્ય-પણાને દૂર કરીને જો "બ્રહ્મ-બુદ્ધિ" કરવામાં આવે તો-જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે.
આમ,જ્યાં સુધી જગતને બ્રહ્મ-રૂપે નહિ પણ જગત-રૂપે જ જોવામાં આવે તો -બ્રહ્મ નું જ્ઞાન થવું ઘણું દૂર છે.
બહિર્મુખ લોકો દૃશ્ય ને જુએ છે દ્રષ્ટા ને નહિ-પરંતુ,હે,રામ,દૃશ્ય એ કંઈ -છે જ નહિ,કેવળ દ્રષ્ટા જ છે.

જો એમ "માનીએ" કે-જેમ,સર્વ-શક્તિમાન રાજા સઘળું બનાવીને તેનો અનુભવ કરે છે,
તો,પછી-રાજાને જેમ બીજાં સાધનો ની જરૂર પડે છે,તેમ,આત્મા ને પણ બીજાં સાધનો ની જરૂર પડે છે-
એમ સ્વીકારવું પડે (કે જે સાચું નથી)
એટલા માટે વાસ્તવિક સિદ્ધાંત એ છે કે-નિર્વિકાર આત્મા જ તે તે પદાર્થો-રૂપે ઉદય પામે છે.
તેથી આત્મા માં "લૌકિક-રીતનું-દ્રષ્ટા-કે દૃશ્ય-પણું" એ કંઈ નથી.
જે "દ્રષ્ટા" (આત્મા) છે તે જ "સર્વાત્મક" હોવાથી "દૃશ્ય-રૂપ" (જગત-રૂપ) છે.

જેમ,શેરડી નો રસ ખાંડ-રૂપ થાય છે,તેમ બ્રહ્મ જીવ-રૂપ થયેલ છે,અને તે ચૈતન્ય -એ પોતાના
"ચૈતન્ય-પણાને" છોડતો નથી અને દ્રષ્ટા-તથા દૃશ્ય (જગત) રૂપ થાય છે.
"અનુભવ-રૂપ" જે આત્મા છે તે જ પોતાની અંદર "જગત-રૂપી-સ્વપ્ન" ને જુએ છે.

જેમ,શેરડી પૃથ્વી માંથી પેદા થઇ હોવાથી તેનો રસ,તેનું ખાંડ-કે ગોળ-પણું,એ પૃથ્વીમાં છે જ,
તેમ,આત્મા માં જ -ચિત્તપણું,અહંકારપણું તથા પંચમહાભૂતપણું -વગેરે છે.
જેમ,પૃથ્વી નો રસ જ પોતાનાથી અભિન્ન એવા - અનેક વન-ખંડો-રૂપે ઉદય પામે છે-એ વાત નિઃસંશય છે,
તેમ આત્મા જ પોતાનાથી અભિન્ન અનેક દ્વૈત-ખંડો-રૂપે ઉદય પામે છે,એ વાત નિઃસંશય છે.

આત્મા થી જ આત્મામાં પ્રકાશ પામતાં,આત્મા ના જ "વિલાસ-રૂપી" ચિત્ત,દેહ,વૃક્ષો-વગેરે "દૃશ્ય-રૂપ"
સેંકડો શાખાઓ (જગતો) થી સંપન્ન છે.અને તેમનો "આત્મ-જ્ઞાન" થયા વિના અંત જોવામાં આવતો નથી.

જે જે જીવનો જે જે સંસ્કાર જે જે રીતે ઉદય પામે છે, તે તે જીવના તે તે સંસ્કાર અને
તે તે રીતે સંસાર-રૂપ થઇને,તે ચૈતન્ય (બ્રહ્મ) અનુસરે છે.
અને એવા અનેક સંસારોમાં કેટલાએક જીવોના સંસાર પરસ્પર મળે છે,
અને તેઓમાં જીવો પોતાની મેળે વિહાર કરીને,ઘણે કાળે શાંત થઇ જાય છે.

હે,રામ, તમે પરમ-સૂક્ષ્મ દૃષ્ટિ-રૂપ-જ્ઞાનચક્ષુ વડે જુઓ તો -
પરમાણુ ના મધ્યમાં પણ હજારો સંસારો ના સમૂહો રહે છે.
જેમ તલમાં તેલ રહ્યું છે,તેમ ચિત્ત,આકાશ,પથ્થર,અગ્નિ,વાયુ અને જળમાં લાખો સંસારો રહ્યા છે.
આ સઘળા એ ચિત્તના વિકારો છે.
એટલા માટે જ જયારે ચિત્ત શુદ્ધ થાય છે,ત્યારે જીવ બ્રહ્મ-રૂપ થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE