Sep 25, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-292



એવામાં એક વાર,મોટાં નરકો સંબંધી કામકાજોનો યમદૂતો ની સાથે વિચાર કરવા માટે
પ્રારબ્ધ યોગે "યમરાજા" ત્યાં (સાતમા પાતાળમાં) આવી પહોંચ્યા.
ત્યારે યમરાજા, ત્યાં છત્ર-ચામર વગેરે ચિહ્નો સાથે આવ્યા નહોતા એટલે
તે ત્રણ દૈત્યો તેમને જાણી શક્યા નહિ અને તેમને એક સામાન્ય ચાકર સમજીને તેમને વંદન પણ કર્યા નહિ.
આથી કોપે ભરાયેલા યમરાજાએ માત્ર ભ્રમર નો ઈશારો કરીને તે દૈત્યોને અંગારાઓથી ધગધગતી નરકની
ભૂમિઓમાં નખાવ્યા.ત્યારે  તે ત્રણે દૈત્યો દુઃખ થી બરાડા પાડવા લાગ્યા.અને બળી ગયા.

લાંબા કાળ સુધી યમદૂતો ના સંસર્ગ થી પ્રાપ્ત થયેલી,ક્રૂર વાસનાને લીધે,તેઓ ભીલ થયા.
તે જન્મ ને અંતે તેઓ જુદા જુદા અવતારો જેવાકે-કાગડા,ગીધ,પોપટ,સુવર,ઘેટાં,કીડા વગેરે યોનિઓનો
અનુભવ લઈને હજી કાશ્મીર પ્રદેશના એક ખાબોચિયામાં માછલાં થઈને રહ્યા છે.
જેમ,સમુદ્રમાં તરંગો ઉત્પન્ન થઈને પાછા નષ્ટ થાય છે,તેમ વિચિત્ર અવતારોના અનુભવ કરીકરીને વારંવાર મરણ પામેલા,એ લોકો,માછલાં ના અવતારમાં દાવાનળ થી ઉક્ળેલું,કાદવ જેવું થોડુંથોડું પાણી પીને,
કાદવ જેવા શિથિલ થઇ ગયા છે ,અને મરતા પણ નથી  કે જીવી પણ શકતા નથી.

હે,રામ,સંસાર-રૂપી-સમુદ્રમાં પડેલા,વાસના-રૂપી-તંતુઓથી પ્રેરાયેલા,અને શરીર-રૂપી તરંગોએ,
લાંબા કાળ સુધી અનેક પ્રદેશોમાં પહોંચાડેલા,એ ત્રણ જીવો (દૈત્યો) અવિનાશી ફળ આપનારા ઉપશમ (મુક્તિ) ને પ્રાપ્ત થયા નથી,માટે વાસનાઓની પ્રબળતા કેવી દારુણ છે તેનો તમે વિચાર કરો.

(૩૧) અર્થની હાનિ અને અનર્થ-પ્રાપ્તિ અહંકારથી જ પ્રાપ્ત થાય છે

હે,મહાબુદ્ધિમાન રામ,એટલા માટે તમને સાવચેત કરવા માટે,હું તમને હસતાં હસતાં કહું છું કે-
દામ-વ્યાલ-કટ ને જે થયું તે પ્રમાણે તમારું ના થવું જોઈએ.
વિવેક નું અનુસંધાન નહિ કરવાને લીધે,ચિત્ત આવી "અભિમાન-રૂપ-આપત્તિ" ને ગ્રહણ કરે છે.અને સહજમાં જ અનંત જન્મોનાં દુઃખો પ્રાપ્ત થાય છે.દેવતાઓ ને પીડનાર શંબરાસુરના સૈન્ય ના સેનાપતિઓ ક્યાં અને ક્યાં આ ગરમીથી તપેલા કાદવ ના જળનાં માછલાંઓ? દેહાધિક અહંકાર ને લીધે જ તે આ સ્થિતિ પામ્યા છે.માટે,હે,રામ સતત પ્રયત્ન કરીને અંદરથી અહંકાર ને જ ટાળી નાખો.અને "જે કંઈ દેહાધિક છે તે-હું નથી"
એવી ભાવના કરીને સુખી થાઓ.

એ દામ-વ્યાલ-કટ નામના ત્રણ "માયિક દૈત્યો" (માયાથી બનેલા દૈત્યો) ,મુદ્દલ તો હતા જ નહિ,છતાં અસ્તિત્વ પામ્યા.અને અહંકાર-રૂપી-પિશાચ ના વળગાડ ને લીધે માછલાં થઈને શેવાળના ટુકડાઓ માટે ઝૂરી રહ્યા છે.

રામ પૂછે છે કે-જે પદાર્થ મુદ્દલ હોય જ નહિ-તેનું હોવું સંભવતું નથી,અને જે હોય તેનું ના હોવું સંભવતું નથી,
આવો નિયમ છે,તો હવે તે ત્રણ દૈત્યો મુદ્દલ હતા જ નહિ-
તો તેઓ જન્મ-મરણ ના પ્રવાહમાં સ્થિતિને પાત્ર કેમ થયા? તે મને સમજાવો.

વસિષ્ઠ કહે છે કે-હે મહાબાહુ,તમે કહો છો તેમ જ છે.
જે પદાર્થ કોઈ પણ વખતે,કંઈ પણ હોય જ નહિ તે પદાર્થ સંસારના પ્રવાહમાં સ્થિતિને પામતો જ નથી,
પણ પ્રથમ -જે-સૂક્ષ્મ હોય તે આવિર્ભાવ થી મોટો થાય છે.
હવે તમે જ કહો કે કયો પદાર્થ સત્ય છે અને કયો અસત્ય છે?
તમારી વાત સાંભળીને પછી યોગ્ય દૃષ્ટાંત થી હું તમને આગળ સમજાવીશ.

રામ કહે છે કે-હે,બ્રહ્મન,આ જે આપણે છીએ તે સાચા જ છીએ તેથી સંસારના પ્રવાહમાં રહ્યા છીએ.પણ
દામ -વગેરે ત્રણે દૈત્યો તો તમે કહો છો તેમ ખોટા જ છે- છતાં સંસારના પ્રવાહમાં સ્થિતિ પામ્યા છે. એમ કેમ?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE