Oct 20, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-317



'જગત -એ-બ્રહ્મ-રૂપ-નિમિત્ત થી અને બ્રહ્મ-રૂપ-ઉપાદાન થી થયું છે'
વગેરે વચનો ની રચના શાસ્ત્રના વ્યવહાર માટે જ છે,પણ વાસ્તવિક રીતે નથી.
વિકારી-પણું,અવયવી-પણું,દિશાઓ તથા એક પ્રદેશ -વગેરે પ્રકારો પ્રત્યક્ષ જોવામાં આવે છે,
તો પણ આત્મ-રૂપ માં તે સંભવતા નથી.

પરમાત્મા માં 'ચૈતન્ય ના પ્રકાશ' વિના બીજી કોઈ કલ્પના છે નહિ અને થશે પણ નહિ.
અને આમ છે તો-પછી-કાર્ય (ક્રિયા કે કર્મ) શબ્દ નો અર્થ અને બીજી વ્યવહાર સંબંધી વાતો તથા કલ્પનાઓ તેમાં ક્યાંથી આવે? અહીં જે જે કલ્પના,જે જે શબ્દ,જે જે અર્થ અને જે જે વાક્યો છે,તે સઘળાં બ્રહ્મ થી થયાં છે અને બ્રહ્મ-મય જ છે.માટે બ્રહ્મ થી અતિરિક્ત (શૂન્ય કે ભિન્ન) કશું છે જ નહિ એમ સમજવું.

જેમ અગ્નિ થી ઉત્પન્ન થયેલો અગ્નિ એ અગ્નિ જ છે,તેમ જે પદાર્થ જેમાંથી ઉત્પન્ન થયો હોય તે,તે જ હોય છે,
'આ ઉત્પન્ન કરનાર છે અને આ ઉત્પન્ન થયેલો છે' એ બધું કેવળ ભેદ(દ્વૈત) ની કલ્પના કરીને કહેવામાં આવે છે.જગતમાં 'અમુક પદાર્થ -એ અમુક પદાર્થમાંથી ઉત્પન્ન થયેલો છે' એમ જે વ્યવહાર ચાલે છે,
તે તો એક પદાર્થમાં પોતાનાં અનેક રૂપ બતાવવાની જે 'ક્રિયા-શક્તિ' છે-તેનો જ એક જાતનો ચમત્કાર છે.
માટે જ જે એક પદાર્થ છે,તે જ 'ઉત્પન્ન કરનાર અને ઉત્પન્ન થયેલો' એમ ભાસે છે.

'આ પદાર્થ જુદો  છે અને એ પદાર્થ જુદો છે'
એ રીત નો 'નામ-રૂપ-નો-વ્યવહાર-રૂપ-શ્રમ' કેવળ "બોલવા માત્ર"માં છે.પણ પરમાત્મામાં નથી.
જો તે-પરમાત્મામાં હોય તો પરમાત્માનું અખંડ-પણું તૂટી જાય છે!!
મન એ 'ક્રિયા-શક્તિ' થી ઉત્પન્ન થયેલું છે,અને મન ની 'શક્તિ' થી નામ-રૂપ નો વ્યવહાર ચાલે છે.
કે જે વ્યવહાર દૃઢ થવાથી-જ-બીજો જોઈતો વ્યવહાર ઉત્પન્ન થાય છે.

જેમ,અગ્નિ ની એક શિખા (જ્વાળા) માંથી બીજી શિખા ઉત્પન્ન થઇ' એવું બોલવું,
એ એક જાતની 'બોલવાની વિચિત્રતા' જ છે,
તેમ,'પરમાત્મા માંથી અમુક ઉત્પન્ન થયું કે પરમાત્માએ અમુક ઉત્પન્ન કર્યું' વગેરે -જે-કહેવામાં આવે છે,
તે પણ એક જાતની,'બોલવાની વિચિત્રતા' જ છે,પણ તેના અર્થમાં કંઈ સત્યતા નથી.
પરમાત્મા 'એક' જ છે,અને 'પૂર્ણ' છે,તો તે કયા પદાર્થને ઉત્પન્ન કરે કે કેમ ઉત્પન્ન કરે?
એકમાંથી બીજાની અને બીજામાંથી ત્રીજાની ઉત્પત્તિ થવાનું કહેવાનું એ એક જાતનો વાણી નો સ્વભાવ જ છે,પણ આમ કહેવાથી,મૂળ તત્વ (એક-કે અદ્વૈત) માં કોઈ ભેદ (બે-કે-દ્વૈત) વગેરે પ્રાપ્ત કરી શકાય નહિ.

પર-બ્રહ્મ માં જે નામ-રૂપો જોવામાં આવે છે તે સર્વ 'બ્રહ્મ' જ છે એમ વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે.
જીવ બ્રહ્મ છે,મન બ્રહ્મ છે,મન ની વૃત્તિઓ બ્રહ્મ છે,સઘળા પદાર્થો  બ્રહ્મ છે,તે તે 'પદાર્થો ના નામો' બ્રહ્મ છે,
ઈશ્વર (પરમાત્મા) બ્રહ્મ છે અને અહંકાર તથા પંચમહાભૂતો વગેરે તત્વો પણ બ્રહ્મ છે.
ટૂંકમાં આ સઘળું જગત બ્રહ્મ છે,અને તેમ છતાં જેમ દોરડીથી સર્પ ન્યારો (જુદો) છે,તેમ જગત થી બ્રહ્મ ન્યારું છે.એટલે,વાસ્તવિક રીતે જગત છે જ નહિ,પણ જે કંઈ છે તે બ્રહ્મ જ છે.

પરમાત્મામાં 'આ પદાર્થ જુદો છે ને તે પદાર્થ જુદો છે'એવી રીતના વિભાગો કરીને બોલવું,
એ એક જાતની અજ્ઞાન-રૂપ ભ્રાંતિ જ છે.વાસ્તવમાં તો તે બોલવામાં પણ શું સત્યતા છે?
જેમ અગ્નિમાં અને શિખા માં ભેદ નથી તેમ બ્રહ્મ અને જગતમાં ભેદ નથી.તે છતાં જે ભિન્ન ભિન્ન કલ્પનાઓ થઇ છે,તે સઘળી મનની ચપળતાથી જ થઇ છે.બ્રહ્મ નિત્ય-સિદ્ધ અને કૂટસ્થ (એક) છે તેમાં કોઈ પ્રકારનો ભેદ (દ્વૈત) સિદ્ધ થતો નથી.અજ્ઞાન-રૂપી દોષથી આત્મા માં પદાર્થો ના 'ભેદ નું જ્ઞાન' થાય છે,અને
તે (ભેદ ના જ્ઞાન) થી 'પદાર્થો જુદાજુદા છે' એમ કહેવામાં આવે છે.પણ એ સઘળું મિથ્યા જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE