Nov 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-659

વસિષ્ઠ કહે છે કે-જો અંદર વાસના નહિ હોય -અને ઇન્દ્રિયોની ક્રિયાઓ કર્યા કરશો-
તો સેંકડો આઘાતો થયા છતાં-આકાશની જેમ વિકાર-વશ થશો નહિ.
જ્ઞાતા-જ્ઞાન-તથા જ્ઞેય -ઇત્યાદિ-ત્રિપુટીઓને તથા દુઃખને પણ આત્માની સાથે એક કરી દઈને-તેમને શાંત-પણાથી અનુભવશો-તો તમને ફરીવાર સંસારનો ફેરો થશે નહિ.

સંસારનો ઉદય ચિત્તની ગતિ છે અને ચિત્તની ગતિ રોકાતાં સંસારનો નાશ છે,
એટલા માટે વાસના તથા પ્રાણને રોકી-મનને ગતિ વગરનું કરી નાખો.
પ્રાણ અને ચિત્તની ગતિ રોકાતાં -સંસારનો નાશ છે-એટલા માટે-
પ્રાણને અભ્યાસથી અને પ્રયોગથી ગતિ-રહિત કરો.

અજ્ઞાન આવવાથી કર્મોનો આરંભ થાય છે અને અજ્ઞાનનો નાશ થવાથી કર્મો મટી જાય છે-
એટલા માટે બળ કરીને (પુરુષાર્થ કરીને) ગુરુથી,શાસ્ત્રાર્થ થી તથા સંયમથી અજ્ઞાનને દૂર કરો.

વાસનાના (કે ચિત્તના) નિરોધથી -ચિત્ત પોતાનો સ્વ-ભાવ ભૂલી જાય છે અને
ચિત્તનો-પોતાનો સ્વ-ભાવ ભૂલી જવો-તે જ પરમ-પદ છે.
"વિષયોનો તથા ઇન્દ્રિયોનો સંબંધ થતાં  જે સુખ પ્રાપ્ત થાય છે-તે વાસ્તવિક રીતે જોતાં "બ્રહ્મ-સુખ" જ છે "
એવી બ્રહ્મ-દૃષ્ટિથી જો સંપૂર્ણ-જ્ઞાન થાય-તો મનનો નાશ થયા વિના રહે જ નહિ.

જેમાં ચિત્ત નો ઉદય થતું નથી-એવું અકૃત્રિમ બ્રહ્મ-સુખ-
જેમ-નિર્જળ દેશમાં સરોવર મળવું સંભવતું નથી,તેમ,સ્વર્ગ-આદિમાં પણ મળવું સંભવતું નથી.
હાનિ-લાભથી રહિત,બ્રહ્માનંદ-રૂપી-અપાર-સુખ, ચિત્ત શાંત થવાથી થાય છે-તે સુખનું વર્ણન કરી શકાતું નથી.જો કે-વાસ્તવમાં-તો-તે સુખ ઉદય પણ પામતું નથી ને અસ્ત પણ પામતું નથી.

બોધથી ચિત્તનો નાશ થાય છે-અને ભ્રાંતિથી ચિત્તની પ્રતીતિ થાય છે.
ખોટી સમજણથી આપણી આગળ આ સંસાર-રૂપ મોહ ખડો થયો છે.
જેમ તાંબા પર સોનાનો પટ દેવામાં આવે તો-તે ત્રાંબુ દેખાતું નથી,
તેમ,જ્ઞાનીઓનું ચિત્ત વિદ્યમાન હોવા છતાં પણ,બોધ-રૂપ-પટ દેતાંની સાથે જ તે-નહિ જેવું થઇ જાય છે.

જ્ઞાનીઓનું જે ચિત્ત છે તે-ચિત્ત કહેવાતું નથી-પણ સત્વ કહેવાય છે.
તેમનું ચિત્ત બોધને લીધે-બીજા નામ-વાળું અને બીજી સ્થિતિ-વાળું થઇ જાય છે.
બોધથી ચિત્તનું ભ્રાંતિ-રહિત-પણું થાય એ જ ચિત્તનો નાશ છે.
ચિત્ત-આદિ સઘળા પદાર્થો આત્મા માં જ વિવર્ત છે-માટે તે આત્માના બોધથી લીન થઇ જાય છે.

"સર્વ-પણા" ને પામેલું ચિત્ત,જગતની સ્થિતિમાં કેટલાક કાળ સુધી -ચોથી (સમાધિ) અવસ્થામાં વિહાર કરીને,
તુર્યાતીત થઇ જાય છે.હે રામચંદ્રજી,જે અખંડ અને ભરપૂર બ્રહ્મ છે-તેજ અનેક ભુવનો-રૂપી-ભ્રાંતિઓના સમૂહ-રૂપે દેખાય છે.બ્રહ્મ એક છતાં પણ સર્વાત્મ-પણાથી અનેક-રૂપે દેખાય છે-માટે બ્રહ્મ વિના બીજું કંઈ હોવું સંભવતું જ નથી.આ જગતનો વાસ,છિદ્ર-વિનાના-ચૈતન્ય-બ્રહ્મમાં,અસંભવ હોવાને લીધે મુદ્દલે છે જ નહિ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE