Aug 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-897

જેમ,રત્નોના ખજાનામાં પેઠેલી (ધનના સંબંધ વિનાની) ઉંદરડીઓ,રત્નોને બહુ ના માનતાં,
પોતાના હાથમાં સમાઈ શકે એટલું ધાન્ય (દૈવ-યોગે) મળી જતાં,તેને બહુ માને છે,
તેમ,હલકા મન-વાળો-અજ્ઞાની,થોડી વસ્તુને પણ મોટી માની લે છે.એટલે,
અજ્ઞાનના આવરણ-વાળા-જીવને,જ આ જગત-રૂપી ભ્રમ જોવામાં આવે છે,જો કે તેનું સ્વરૂપ વસ્તુતઃ જોવામાં આવે- તો તે મિથ્યા જ છે,કારણકે તે મન (ચિત્ત)ની એક જાતની 'સંકલ્પ-રૂપી ભાવના' જ છે.

ગમે તેવો સર્વજ્ઞ હોય,તો પણ "પ્રારબ્ધનો નાશ થાય ત્યાં સુધી વ્યવહાર ચલાવાવવા માટે,અમુક 'હેય'
(ત્યાગ કરવા યોગ્ય) અને અમુક 'ઉપાદેય' (ગ્રહણ કરવા યોગ્ય)છે" -એવું અજ્ઞાન,જ્યાં સુધી,સૂક્ષ્મ-રૂપથી
પણ અંદર હોય,ત્યાં સુધી થોડીઘણી પણ "જગત-રૂપ ભ્રાંતિની ભાવના થવા-રૂપી-મૂઢતા" પણ તેની અંદર
રહેલી હોય છે.જેમ,ચેતન હાથ-પગ-આદિ 'અવયવો-વાળો' પુરુષ (વ્યષ્ટિ જીવ)
હાથ-પગને પોતાના "અવયવ-રૂપ" સમજે છે,તેમ,સમષ્ટિ-જીવ (હિરણ્ય-ગર્ભ) પણ
પોતાની અંદર જ વ્યાપી રહેલા આ 'ત્રણે લોક'ને (સૃષ્ટિને) પોતાના 'અવયવ-રૂપ' સમજે છે.

હે રામચંદ્રજી,માયા-રૂપી ઉપાધિ-વાળા ઈશ્વર,તો વાસ્તવમાં જ્ઞાન-સ્વ-રૂપ,અનંત,નિર્વિકાર અને અસંગ છે,
છતાં,તે ઈશ્વરને,મનુષ્યો,માયાના સંબંધથી,અવયવ-રૂપે કલ્પાયેલા (સૃષ્ટિ-કે દેવો રૂપે) તરીકે સમજે છે,
અને ઈશ્વર પણ તેજ રીતે મનુષ્યોને,પણ,,માયાના સંબંધથી અવયવ-રૂપે કલ્પાયેલા સમજે છે,
અને પછી પ્રલય-કાળમાં તે જ્ઞાની પરમેશ્વર,
આ ત્રણ-લોક-રૂપી ભ્રમને પોતાની અંદર જ સૂક્ષ્મ-રૂપે (ભાવિ-તરીકે) રહેલ છે એમ સમજે છે.

ઈશ્વર કે જે પોતે,વસ્તુતઃ માયા-રૂપ-ઉપાધિ વિનાના જ છે,અને બ્રહ્મ-રૂપ જ છે,તે ઈશ્વર,આ ત્રણ લોકને,
પોતાની અંદર,ઉપાધિના યોગે કલ્પીને,નામ-રૂપ-વાળા છતાં,નામ-રૂપથી રહિત-પણે રહેલા જ દેખે છે.
જેમ,અરીસો,અધિષ્ઠાન દૃષ્ટિએ જોતાં ચેતન અને આરોપિત-દૃષ્ટિએ જોતાં,જડ-રૂપ છે,તે પોતાની અંદર પ્રતિબિંબ-રૂપે રહેલ નગરને જાણે,કે પછી (ખરી રીતે તે પ્રતિબિંબ આભાસ-માત્ર હોવાથી) તેને ન જાણે,
તેમ,ઈશ્વર કે જે બ્રહ્મ-રૂપ જ છે,તે માયા-અવિદ્યાની "ઉપાધિ-વાળી-દૃષ્ટિએ",આ ત્રણે લોકને પોતાની અંદર વિવર્ત-રૂપે રહેલા સમજે છે અને "ઉપાધિ-રહિત-શુદ્ધ-દૃષ્ટિ વડે",તે ત્રણે લોક નથી જ-એમ માને છે.

શ્રુતિ (ઉપનિષદો) માં 'ઉપમાનો' (જેની ઉપમા આપવામાં આવે છે-તે -માટીનો પિંડ-વગેરે-દૃષ્ટાંતો) થી,
જે 'ઉપમેય' નો (જેના માટે કે જેને ઉપમા આપેલી છે-તે બ્રહ્મ-વગેરે) ઉપદેશ કરવામાં આવે છે,
તેમાં તે ઉપમાનો (દૃષ્ટાંતો) ના "એક ભાગ" સાથે જ "ઉપમેય" મળતું આવે છે તેમ સમજવાનું છે.

જે કંઈ આ જડ-ચેતન-સ્વરૂપ,જગત દેખાય છે,તે સર્વ,"બ્રહ્મભાવે પોતાની અતિ-સૂક્ષ્મતાને નહિ છોડનાર"
જીવ-ચૈતન્યનું "વિવર્ત-રૂપે" દેખાતું એક જાતનું 'સ્થૂળ સ્વરૂપ' છે.
અધિષ્ઠાન દૃષ્ટિથી,વિવર્ત-રૂપે દેખાતા,જીવ-જગત-આદિ સર્વનો (કે તે સર્વના સંકલ્પ-માત્રનો) ત્યાગ થતાં,
શુદ્ધ આત્મ-પ્રકાશનો અનુભવ કરાવનારા પરમપદમાં નિઃસંગ અને (પથ્થરના અંદરના ભાગની જેમ) ઘટ
થઇ રહેલા જીવ-કે-જગતનો અને પરમપદનો એવો કશો પણ ભેદ રહેતો નથી.(બંને જુદા રહેતા નથી)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE