Oct 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-948

તત્વજ્ઞાનનો એવો સહજ સ્વભાવ છે કે-જયારે શાસ્ત્ર દ્વારા પોતાનું તાત્વિક-આત્મ-સ્વ-રૂપ સમજાય છે,એટલે અસત્ય અહંકાર પોતાના આત્મામાં જ શમી (લીન થઇ) જાય છે.
ખરો મોક્ષ પણ તે જ છે કે-જેમાં દૃષ્ટા-દર્શન-અને દ્રશ્ય નો ક્ષય થઇ જાય.
મુક્ત અવસ્થામાં દૃશ્ય (જગત) વગેરે રહેતું નથી.અને, જ્યાં સુધી દૃશ્ય  વગેરે રહે ત્યાં સુધી મોક્ષનો અનુભવ થઇ શકતો નથી.
છાયા અને તડકાને જેમ આ બંને (મોક્ષ અને દૃશ્ય) એક ઠેકાણે સંભવતાં  નથી.

મોક્ષ અને દૃશ્ય(જગત) એ બંને જો ભેગાં  રહી શકે,તો એક-બીજાથી નાશ થતાં-એ બંને અસત્ય ઠરે.
અને જો એ બંને અસત્ય ઠરે-તો,મોક્ષની પણ અસત્યતા જ સિદ્ધ થાય,પરંતુ,મોક્ષ એ તો જરા-મરણ-દુઃખ-આદિ વિકારથી રહિત છે,અને જીવનમુકતોના અનુભવ વડે સિદ્ધ છે,માટે તેની અસત્યતા કહી શકાતી નથી.

છીપની અંદર  દેખાતા રૂપાની જેમ,જે દ્રશ્ય ભ્રાંતિ વડે જ માત્ર દેખાય છે અને સૂક્ષ્મ-દૃષ્ટિ વડે જોવા જતાં,
તે (દ્રશ્ય) દેખાતું નથી.આમ જે  વસ્તુતઃ છે જ નહિ તો -તેનો નિષેધ કરવાથી પણ શું છે?
એ દૃશ્ય-જાળ નું અસ્તિત્વ માનવાથી મોટું દુઃખ થાય છે અને અભાવ માનવાથી મોટું સુખ થાય છે.
યુક્તિ-પૂર્વક મનન સહિત નિદિધ્યાસન કરવાથી,એ દ્રશ્યનો અભાવ દ્રઢતાને પ્રાપ્ત થાય છે.

હે અધમ પુરુષો,આત્મા અનાદિ સિદ્ધ છે,અને તે વધવું-ઘટવું-વગેરે વિકાર-માત્રથી રહિત છે,
તે પોતાના સ્વયં પ્રકાશથી અને શાસ્ત્રો-ગુરુ-આદિના ઉપદેશથી સપષ્ટ રીતે અનુભવમાં આવે છે,
છતાં તમે તે તરફ દ્રષ્ટિ જ કેમ કરતા નથી? તમે પોતાના આત્માને બંધનમાં નાખવા જ શું એ દ્રશ્ય-જાળને
પકડી રાખેલી છે? અને તેથી જ શું તમે દ્રશ્ય-વિષયોની આસક્તિને નથી છોડતા?

જો કાર્યભાવ-કારણભાવ વગેરે જો બ્રહ્મ-રૂપ જ છે-તો દેહ-આદિ મર્યાદાઓ રહેતી નથી
અને વિસ્તારને પ્રાપ્ત થઇ ગયેલા ચિન્માત્ર પ્રત્યગાત્મામાં (જીવમાં) પણ બ્રહ્મ-પણું સિદ્ધ થાય છે.
આમ,સર્વના આત્મા-રૂપ એક પરમ-તત્વ,સર્વત્ર પૂર્ણ-પણે વ્યાપી રહેલ છે,છતાં તેમાં દ્રષ્ટા-દ્રશ્ય-આદિ ભાવને વાસ્તવ-રૂપે સ્વીકારી લઇ,જેઓ બ્રહ્મ-જ્ઞાનને માટે સાધનોને શોધે છે,તેવા વાદી-રૂપી-પશુઓનું (વાદ-વાળાઓનું) કે તેવા તાર્કિક-શિષ્ય-રૂપી-પશુઓનું (તર્ક કરનારાઓનું) અમારે કશું પ્રયોજન નથી.
એક બ્રહ્મ-તત્વ સર્વત્ર ભરપૂર છે,તો તેમાં કાર્ય-કારણ-ભાવ ના બોધનો ક્યાં અવકાશ છે?

પવનની ચંચળતા માં,જળના પ્રવાહપણામાં ને આકાશની શૂન્યતામાં,જે કંઈ સ્વભાવ જેવો અનિર્વચનીય હેતુ છે,
તે જ ચિદાત્માના સૃષ્ટિ-રૂપે (સ્વભાવ) થઇ જવામાં (અનિર્વચનીય) હેતુ-રૂપ છે એમ જ સમજો.
હે રામચંદ્રજી,જો કાર્ય-કારણ-ભાવ-આદિ સર્વ બ્રહ્મ-રૂપ છે,તો પછી બ્રહ્મની અંદર જગતને કાર્ય-રૂપ કહી,
વળી પાછું બ્રહ્મનું "કારણ-પણું" સિદ્ધ કરવાની તે વાદીઓની વાત,તેમની નિર્લજ્જતા બતાવનાર છે.
ચૈતન્ય સિવાય બીજું કશું છે જ નહિ તો તો પછી ઈચ્છાઓનો ઉદય જ ક્યાંથી થાય?
બ્રહ્મના એક વિવર્ત-રૂપ-એવા-જગત (અને અહંકાર-દ્રશ્ય) માં બ્રહ્મ સિવાય બીજું કાંઈ  પણ નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE