Aug 1, 2020

ભાગવત રહસ્ય -૩૪૯

શ્રીકૃષ્ણ હાથમાં કેમ આવતા નથી ? શ્રીધર સ્વામી કહે છે કે-અહીં યશોદાજીની થોડીક ભૂલ છે.કનૈયા ની પાછળ દોડતી વખતે યશોદાજીની દૃષ્ટિ (નજર) લાલાની પીઠ તરફ છે, તેમની નજર લાલાના ચરણ કે મુખારવિંદ તરફ નથી. તેથી લાલો હાથમાં આવતો નથી.કારણ કે લાલાની પીઠમાં (પાછળ)થી અધર્મ ઉત્પન્ન થયો છે એમ કહેવાય છે.
ભક્તિ –જો-અધર્મના સન્મુખ દોડે તો ભગવાન હાથમાં આવે નહિ.પણ ભગવાનને પકડવા હોય તો,તેના (લાલાના) સન્મુખ દોડો તો તે પકડાય.લાલાને પકડવો હોય તો તેના ચરણમાં કે મુખારવિંદ તરફ નજર રાખવી જોઈએ.

Jul 31, 2020

ભાગવત રહસ્ય -૩૪૮

શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે-શ્રીકૃષ્ણની સેવા લૌકિક ભાવથી ન કરો.
ઈશ્વરની અલૌકિક સેવા છોડી તમારું લૌકિક કામ સુધારવા જશો તો તમારું લૌકિક કામ પણ વધારે બગડશે.તમારા લૌકિક અને અલૌકિક બધા કામની ચિંતા તમારા કરતાં પ્રભુને વધારે છે.“હું સમર્થનો (ઈશ્વરનો) છું અને મારો ધણી સમર્થ છે”,તેમ માની નિશ્ચિત બની તેનું ચિંતન કરો.મનુષ્ય ફોગટની ચિંતા કરીને હૈયું બાળે છે.ભગવત સ્મરણ કરતાં ઘરમાં કોઈ નુકશાન થાય તો થવા દેવું,તન ઠાકોરજીની સેવા કરતુ હોય અને મન રસોડામાં હોય તે સેવા નથી.

Jul 30, 2020

ભાગવત રહસ્ય -૩૪૭

દશમ સ્કંધમાં ભાગવતના ટીકાકારો પાગલ બન્યા છે.જેમ જેમ ઊંડાણમાં વિચારે તેમ તેમ નવા નવા અર્થો સામે આવે છે.ટીકાકાર કહે છે કે-યશોદાજીને કનૈયા કરતાં દૂધ વધુ વહાલું નહોતું,તેઓ દૂધ ઉભરાઈ જાય અને નુકસાન થઇ જાય તેના માટે દોડેલા નહોતા પણ ચૂલા પર જે દૂધ મુકેલું હતું તે ગંગી ગાયનું દૂધ હતું,એટલે યશોદાજીએ વિચાર કર્યો કે –લાલો ગંગી ગાયનું જ દૂધ પીએ છે,ગંગી ગાય સિવાય બીજું કોઈ દૂધ લાલાને ભાવતું જ નથી,તેથી જો દૂધ ઉભરાઈ જાય અને લાલો દૂધ માગે તો શું આપીશ? એમ વિચારી ને લાલાને માટે જ યશોદાજી દોડેલા.