Apr 8, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૫

જે,ઉપર દર્શાવ્યા મુજબ પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) ને 
–તથા-પ્રકૃતિને (ગુણ સહિત) જાણે છે-તે- 
સર્વ રીતે કર્મો કરવા છતાં પણ–મુક્ત થાય છે.(પુનર્જન્મ પામતો નથી).(૨૪)
કોઈ સાંખ્ય (જ્ઞાન)માર્ગ (સાંખ્ય યોગ)થી,કોઈ કર્મમાર્ગ (કર્મયોગ)થી કે
કોઈ ભક્તિમાર્ગ (ભક્તિયોગ)થી, શુદ્ધ થયેલા મનથી –પોતામાં રહેલા 
આત્માને જુએ છે,અને અંતરમાં તેનો(આત્માનો) સાક્ષાત્કાર કરે છે.(૨૫)

પરંતુ –ઉપર પ્રમાણે-જેમને આત્મજ્ઞાનને લાધ્યું નથી, એવા કેટલાંક લોકો,
સદગુરૂના મુખથી આત્મજ્ઞાન નું શ્રવણ કરી (સાંભળી) આત્મજ્ઞાનની ઉપાસના કરે છે,
અને પરમાત્માનો સાક્ષાત્કાર કરી,જન્મ મૃત્યુને તરી જાય છે,(મોક્ષ પામે છે).(૨૬)

ક્ષેત્રજ્ઞ તરીકે પુરુષ (બ્રહ્મ-આત્મા-પરમાત્મા) અને ક્ષેત્ર તરીકે પ્રકૃતિ –
એટલે કે પુરુષ અને પ્રકૃતિના સંયોગથી જ –
સર્વ સ્થાવર,જંગમ,અને સર્વ પ્રાણી (જીવ) ઉત્પન્ન થાય છે.(૨૭)

પ્રકૃતિની આ સર્વ પેદાશ નાશવંત હોય છે,તેમ છતાં-
સર્વ જીવોમાં (પ્રાણીઓમાં) સમાન પણે –અવિનાશી પરમાત્મા (આત્મા રૂપે) વાસ કરી રહેલો છે-
અને એમ દરેક જીવમાં જે પરમાત્માને જુએ છે-તે જ સાચું જુએ છે,અને તે જ ખરો જ્ઞાની છે,
અને તે પોતાના આત્મામાં પણ પરમાત્માને જુએ છે-પરમાત્માને પામે છે-
અને ઉત્તમ ગતિ (મોક્ષ)ને પ્રાપ્ત થાય છે.(૨૮-૨૯)

જે પ્રમાણે આકાશમાં વાદળાં દોડતાં હોય છે.પણ આકાશ તો સ્થિર જ હોય છે,
તે પ્રમાણે-સર્વ કર્મો પ્રકૃતિના યોગથી થાય છે,આત્મા (પરમાત્મા) તે કર્મોનો કર્તા નથી,

એક પરમ પિતા પરમેશ્વર (પુરુષ) માંથી (પ્રકૃતિના સંયોગ થી) આ જગતનો વિસ્તાર થયો છે.
એમ જયારે મનુષ્ય જાણે છે –ત્યારે જ તે બ્રહ્મ-સંપન્ન થાય છે (બ્રહ્મ ને પામે છે).(૩૦-૩૧)

આ પરમાત્મા અનાદિ,નિર્ગુણ,નિરાકાર,નિર્વિકાર –હોવાથી અવિનાશી છે.અને એટલા માટે જ-
તે આત્મા રૂપે શરીરમાં હોવાં છતાં કશું પણ કરતો નથી અને કશાથી પણ લિપ્ત થતો નથી.

જેવી રીતે સર્વવ્યાપક “આકાશ” –તેની સૂક્ષ્મતાને લીધે કશાથી લિપ્ત નથી થતું તેમ-
સર્વ શરીરોમાં રહેલો આત્મા-શરીરના કર્મો થી લિપ્ત થતો નથી.(૩૨-૩૩)

જેમ,એક સૂર્ય –સર્વ જગતને પ્રકાશિત કરે છે-તેમ-
એક ક્ષેત્રજ્ઞ (બ્રહ્મ-પુરુષ) સર્વ ક્ષેત્રોને  (શરીરોને) પ્રકાશિત કરે છે.

આ પ્રમાણે ક્ષેત્ર (શરીર) અને ક્ષેત્રજ્ઞ  (પરમાત્મા) વચ્ચેના ભેદને જે જાણે છે,તથા-
સર્વ જીવોની પ્રકૃતિના બંધનમાંથી કેવી રીતે મુક્તિ થાય છે-તે પણ જે જાણે છે-
તેઓ-બ્રહ્મને (પરમાત્માને) પ્રાપ્ત થાય છે.(૩૪-૩૫)

અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-સમાપ્ત