અધ્યાય-૧૮૬-પંદરમો દિવસ-વિરાટ,દ્રુપદ વગેરેનું મરણ
II संजय उवाच II त्रिभागमात्रशेषायां रात्र्यां युध्धमववर्तत I कुरूणां पांडवानां संह्रष्टानां विशापते II १ II
સંજય બોલ્યો-હે પૃથ્વીપતિ,જયારે માત્ર ત્રણ મુહૂર્ત જેટલી રાત્રિ બાકી રહી હતી,ત્યારે પુનઃ હર્ષમાં આવેલા કૌરવો ને પાંડવોનું યુદ્ધ થઇ રહ્યું હતું.પછી,સૂર્ય ઉદય પામ્યો ત્યારે સર્વ કૌરવ-પાંડવ,તુરત પોતાના વાહનોનો ત્યાગ કરીને સૂર્યની સામે ઉભા રહી,હાથ જોડીને સંધ્યોપાસનપૂર્વક જપ કરવા લાગ્યા.તે પ્રાતઃકર્મની સમાપ્તિ થઇ એટલે દ્રોણાચાર્ય સૈન્યને બે ભાગમાં વહેંચી ને પોતે સોમક,પાંડવ અને પાંચાલો સામે ધસ્યા.કૌરવ સેનાને એમ બે ભાગમાં વહેંચાઈ ગયેલી જોઈને શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુન દ્રોણાચાર્યને ડાબી તરફ કરી જમણી તરફ ગયો.એ વેળા શ્રીકૃષ્ણના અભિપ્રાયને સમજીને ભીમસેન અર્જુનને કહેવા લાગ્યો કે-'હે અર્જુન,ક્ષત્રિયાણી જે માટે પુત્રને ઉત્પન્ન કરે છે તેનો આ સમય આવી પહોંચ્યો છે.આ સમયે પરાક્રમ કરીને તું આ શત્રુઓના સૈન્યને ભેદી નાખીને તેમને ડાબી તરફ કરી નાખ'





