અધ્યાય-૧૬૩-ઉલૂક દુર્યોધન પાસે આવ્યો
II संजय उवाच II दुर्योधनस्य तद्वाक्यं निशम्य भरतर्षंम I नेत्राभ्यामति ताम्राभ्यां कैतव्यं समुदैक्षत II १ II
સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ ધૃતરાષ્ટ્ર,અર્જુન,દુર્યોધનનાં વચન સાંભળીને અત્યંત લાલ નેત્રથી ઉલૂક તરફ જોવા લાગ્યો અને પછી,કેશવ તરફ દ્રષ્ટિ કરી,પોતાનો વિશાલ બહુ ઊંચો કરીને ઉલૂકને કહેવા લાગ્યો કે-જે મનુષ્ય,પોતાના બળનો આશ્રય કરીને શત્રુને યુદ્ધ માટે બોલાવે હે અને નિર્ભય થઈને શત્રુ સાથે યુદ્ધ કરે છે તે જ પુરુષ કહેવાય છે.હે દુર્યોધન,તું પારકાના બળ વડે પોતાને બળવાન માને છે અને પોતે કાયર હોવા છતાં બીજાઓને ધિક્કારવા ઈચ્છે છે.સર્વ રાજાઓમાં વૃદ્ધ,બુદ્ધિમાન,જિતેન્દ્રિય અને મહાજ્ઞાની ભીષ્મને મરણની દીક્ષા આપીને,તું મિથ્યા બડાઈ શા માટે મારે છે?
ઓ કુળને કલંક લગાડનારા દુર્બુદ્ધિમાન,અમે તારો અભિપ્રાય સમજી ગયા છીએ.પાંડવો દયાને લીધે ભીષ્મને મારશે નહિ,એમ સમજીને તું જેમના બળ પર આધાર રાખે છે,તે ભીષ્મને હું સર્વ ધનુર્ધારીઓના દેખતાં જ પ્રથમ મારીશ.આવતી કાલે સવારે સંગ્રામ શરુ થશે.ભીષ્મના,'અમારી સેનાના સંહારના' વચન પરથી તું માને છે કે 'મને સંપૂર્ણ રાજ્ય મળ્યું છે ને પાંડવો આપત્તિમાં છે' પણ તું પોતાના પર ઝઝૂમી રહેલા અનર્થને જોતો નથી,હું ભીષ્મનો તારા દેખતાં જ વધ કરીશ.માટે તેમનું રક્ષણ કરજો.
ભીમે કરેલી પ્રતિજ્ઞાને પણ તું થોડા સમયમાં જ સત્ય થયેલી જાણીશ.તારા અભિમાન અને અપરાધનું ફળ તું થોડા સમયમાં જ જોઇશ.ને તું જયારે ભાઈઓ,પુત્રો સાથે,ભીમસેનની ગદાથી હણાઈ પડીશ,ત્યારે જ તું તારા દુષ્કૃત્યોને સંભારીશ.(23)
પછી,યુધિષ્ઠિરે કહ્યું-હે ઉલૂક,તેને કહેજે કે-તારે પોતાના આચરણ ઉપરથી મારા આચરણનો ન્યાય કરવો યોગ્ય નથી,હું સત્ય અને અસત્ય એ બંનેના અંતરને જાણું છું.હું કીડીઓનું પણ અનિષ્ટ ન ઈચ્છું તો સંબંધીઓના વધની ઈચ્છા કેમ કરું?મારે તારું પ્રાણસંકટ જોવું ન પડે તે ઈચ્છાથી જ મેં તારી પાસે પાંચ ગામોની માગણી કરી હતી.પણ તારું અંતઃકરણ કામનાઓથી ભરેલું છે,તેથી તું કેશવનાં વચનોને પણ ગ્રહણ કરતો નથી.તારું કહેવું અમે સાંભળ્યું,તારા મત પ્રમાણે ભલે થાઓ.
ભીમસેને કહ્યું-'હે ઉલૂક ,તે પાપીને કહેજે કે-હવે કાં તો હસ્તિનાપુરમાં વાસ કરવો કે મરીને ગીધના પેટમાં વાસ કરવો-એજ નિર્ણય છે.સભામાં મેં જે પ્રતિજ્ઞા કરી હતી,તેને હું સત્ય કરીશ.દુઃશાસનનું રુધિર પીશ ને તારી સાથળો ભાગી નાખી તારા બંધુઓને મારીશ.હું ધૃતરાષ્ટ્ર પુત્રોનો કાળ છું ને અભિમન્યુ સર્વ રાજપુત્રોનો કાળ છે એમાં સંદેહ નથી.'
નકુલે કહ્યું-હે ઉલૂક,તેને કહેજે કે તેં જે પ્રમાણે મને ઉપદેશ કર્યો છે તે પ્રમાણે જ હું કરીશ'
સહદેવે કહ્યું-તેને કહેજે કે-તારી જે માન્યતા છે તે છેવટે નિષ્ફળ થશે,તારે પુત્ર,સંબંધીઓ ને બાંધવો માટે શોક કરવો પડશે'
વિરાટે અને દ્રુપદે કહ્યું-અમે સત્પુરુષોના દાસ થઈએ એવી અમારી નિત્ય બુદ્ધિ છે.
અમે દાસ છીએ કે પ્રભુ છીએ અને તારો પુરુષાર્થ કેવો છે તે અમે કાલે સવારે જોઈશું.
શિખંડીએ કહ્યું-તેને કહેજે કે-તું સંગ્રામમાં મને દારુણ કર્મ કરતો જોઇશ.ભીષ્મને હું રથમાંથી ઉથલાવી પાડીશ.
વિધાતાએ મને ભીષ્મના વધ માટે જ ઉત્પન્ન કર્યો છે,માટે હું સર્વના દેખતાં તે ભીષ્મનો નાશ કરીશ.
ધૃષ્ટદ્યુમ્ને કહ્યું-તેને કહેજે કે-હું સેનાગણ અને બાંધવોની સાથે દ્રોણને મારીશ.રણમાં મારા જેવું કર્મ બીજો કોઈ કરશે નહિ.
છેવટે,યુધિષ્ઠિરે કહ્યું કે-'તેને કહેજે કે-હું કોઈ પણ રીતે જ્ઞાતિવધની ઈચ્છા રાખતો નથી પણ,આ સર્વ તારા દોષને લીધે જ થાય છે.હે ઉલૂક,હવે તારી ઈચ્છા હોય તો તું સત્વરે અહીંથી ચાલ્યો જા કે અહીં રહે.અમે પણ તારા બાંધવો છીએ.'
તે પછી,ઉલૂક યુધિષ્ઠિરની આજ્ઞા લઈને દુર્યોધન પાસે ગયો અને તેને સર્વ લોકોએ કહેલા સંદેશ કહ્યા.ત્યારે દુર્યોધને કર્ણ,શકુનિ અને દુઃશાસનને કહ્યું કે-'તમે રાજાઓના સૈન્યને આજ્ઞા કરો કે-કાલે સૂર્યોદય થતાં પહેલાં,પોતપોતાનાં સૈન્યોસહિત રણભૂમિ પર સજ્જ થઈને ઉભા રહે.' તે પછી,તેની આજ્ઞાથી દૂતો ઘોડાઓ પર બેસીને આખી સેનામાં ફરી વળ્યા ને સર્વ સેનાને દુર્યોધનની આજ્ઞા કહી કે-કાલે સૂર્યોદય પહેલાં યુદ્ધ માટે સજ્જ થઈને રણભૂમિ પર ઉભા રહેવું' (57)
અધ્યાય-163-સમાપ્ત