Jan 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-722

 

અધ્યાય-૫૬-સંજયનું ભાષણ-પાંડવોના રથાદિનું વર્ણન 


 II दुर्योधन उवाच II अक्षौहिणीः सप्तलब्ध्वा राजाभिः सह संजय I किंस्विदिच्छति कौन्तेयो युध्दःप्रेप्सुर्युधिष्ठिरः II १ II

દુર્યોધને પૂછ્યું-હે સંજય,યુદ્ધની ઈચ્છાવાળા યુધિષ્ઠિર,રાજાઓની સાથે સાત અક્ષૌહિણી સેના મેળવી શું ઈચ્છા રાખે છે?

સંજય બોલ્યો-હે રાજા,યુદ્ધની ઈચ્છાવાળા યુધિષ્ઠિર અતિશય આનંદમાં રહે છે.અર્જુન,ભીમ,નકુળ તથા સહદેવ પણ નિર્ભય જણાય છે.અર્જુને અસ્ત્રના મંત્રોની અસર જાણવાની ઈચ્છાથી સર્વ દિશાઓને પ્રકાશિત કરનારો પોતાનો રથ જોડ્યો હતો.કવચ પહેરીને તૈયાર થયેલા અર્જુને સર્વ તરફનો વિચાર કરીને આનંદ પામતાં મને કહ્યું કે-'હે સંજય,તું અમારું આ પ્રાથમિક ચિહ્નન જો,અમે યુદ્ધમાં જીતીશું'

દુર્યોધન બૉંલ્યો-હે સંજય,તું માત્ર,પાસાઓથી હારી ગયેલા પાંડવોની પ્રસંશા કરે છે ને તેમને અભિનંદન આપે છે,

પણ કહે કે અર્જુને,રથને કેવા ઘોડાઓ જોડ્યા છે અને તેના ધ્વજો કેવા છે?(6)

Jan 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-721

 હે રાજન,હું તો તે ભીમને હાથમાં ગદા લઈને ઉભેલો જોવાની ઈચ્છા કરું છું.રણભૂમિમાં હું તેના પર એક જ ગદાપ્રહાર કરીશ કે તે પ્રાણ વિનાનો થઈને પૃથ્વી પર પડશે.મારી ગદાના એક પ્રહારથી તો હિમાલયના પણ અનેક ટુકડા થઇ જાય,એ વાત તો ભીમ,અર્જુન ને કૃષ્ણ પણ જાણે  છે.માટે આ યુદ્ધમાં ભીમ સંબંધી તમારો જે ભય હોય તે દૂર કરો,હું ભીમને અવશ્ય મારીશ,તમે મનમાં ખેદ કરો નહિ.હું ભીમને મારીશ એટલે અર્જુનને,તેનાથી અધિક એવા અનેક રથીઓ મારી નાખશે.

Jan 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-720


અધ્યાય-૫૫-દુર્યોધનનું ભાષણ 

II दुर्योधन उवाच II न भेतव्यं महाराज न शोच्या भवता भयम् I समर्थाः स्म परान्जेतु बलिनः समरे विभो II १ II

દુર્યોધન બોલ્યો-હે મહારાજ,તમારે ડરવું નહિ તથા અમારે માટે શોક કરવો નહિ કારણકે હે વિભો,અમે યુદ્ધમાં બળવાન શત્રુઓને જીતવા સમર્થ છીએ.જે વખતે વનમાં કાઢી મુકેલા પાંડવોને મળવા માટે,ઈંદ્રપ્રસ્થથી થોડે છેટે,પ્રચંડ સેનાઓ લઈને શ્રીકૃષ્ણ,કેકયો,ધૃષ્ટકેતુ,ધૃષ્ટદ્યુમ્ન આદિ અનેક લોકો પાંડવોની પાસે આવ્યા હતા ને સર્વ એકઠા થઈને તમારી નિંદા અને યુધિષ્ઠિરનું સન્માન કરવા લાગ્યા હતા.પછી,તેઓ ઠરાવ પર આવ્યા હતા કે 'પરિવાર સાથે આપણો વિનાશ કરીને રાજ્ય પાછું લેવું.' એ સાંભળીને મેં ભીષ્મ,દ્રોણ અને કૃપને કહ્યું હતું કે-'પાંડવો પોતાના કરાર પ્રમાણે ચાલશે,પરંતુ શ્રીકૃષ્ણ આપણા સર્વનો વિનાશ કરવા ઈચ્છે છે.એક વિદુર ને ધૃતરાષ્ટ્ર સિવાય,આપણા સર્વનો સંપૂર્ણ વિનાશ કરીને શ્રીકૃષ્ણ સર્વ રાજ્ય યુધિષ્ઠિરને આપવા ઈચ્છે છે.માટે આવા પ્રસંગમાં શું સંધિને માટે તેમને નમન કરવું,નાસી જવું કે પ્રાણોની દરકાર રાખ્યા વિના તેમની સામે યુદ્ધ કરવું? નમી પડવામાં મને મારા પિતાનો શોક થાય છે કેમ કે તેમને મારે લીધે જ નમાવવા મને કષ્ટદાયક લાગે છે.'(16)

Jan 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-719

 

અધ્યાય-૫૪-ધૃતરાષ્ટ્રને ઠપકો 


II संजय उवाच II एवमेतन्महाराज यथा वदति भारत I युद्धे विनाशः क्षत्रस्य गाण्डीवेन प्रद्र्श्यते II १ II

સંજય બોલ્યો-હે ભારત,મહારાજ,તમે જેમ કહો છો તે તેમ જ છે.યુદ્ધમાં ગાંડીવ ધનુષ્ય વડે ક્ષત્રિયોનો વિનાશ પ્રત્યક્ષ દેખાય છે,પરંતુ તમે ધીર છો ને અર્જુનનાં તત્વને જાણો છો છતાં નિત્ય પુત્રને અધીન રહો છો એમાં મને સમજણ પડતી નથી.તમે શાંતિ કરવા બોલો છો,પરંતુ તમારી એ બુદ્ધિ સ્થિર રહેશે નહિ કારણકે પાંડવોનો અપરાધ કરવાની તમને ટેવ પડી ગઈ છે.તમે જ પ્રથમ પાંડવોની સાથે ખરાબ રીતે વર્ત્યા છો.દ્રોહ કરનારો વડીલ ગણાતો નથી.દ્યુત સમયે તમે બાળકની જેમ હરખાતા હતા ને તમારા પુત્રો પાંડવોને કઠોર વચનો કહેતા હતા ત્યારે તમે તેની દરકાર કરી નહોતી.વળી 'મારા પુત્રો આખું રાજ્ય જીતી લે છે'એમ માનીને તમે વિનાશ તરફ તો દ્રષ્ટિ જ કરતા નહોતા.(6)

Jan 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-718

 

અધ્યાય-૫૩-ધૃતરાષ્ટ્રનો વિલાપ 

II धृतराष्ट्र उवाच II यथैव पांडवा: सर्वे पराक्रांता जिगीषव: I तथैवामिसरास्तेषां त्यत्कात्मानो जयेधृताः II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-સર્વ પાંડવો જે પ્રમાણે પરાક્રમી ને વિજયની ઈચ્છાવાળા છે,તે પ્રમાણે તેમના અગ્રેસરો પણ પ્રાણ આપવા તૈયાર ને વિજયને

માટે નિશ્ચયવાળા છે.પંચાલ,કેકય,મત્સ્ય,માગધ તથા વત્સદેશી પરાક્રમી રાજાઓના જે નામ તેં કહ્યાં હતાં તે અને ઈચ્છા કરતાં જ

ઇન્દ્રસહિત સર્વલોકોને વશ કરે તેવા જગતના સ્ત્રષ્ટા કૃષ્ણ,પાંડવોના જયનો નિશ્ચય કરીને બેઠા છે.

શિનીનો પુત્ર સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન પણ પરાક્રમથી યુદ્ધ કરશે.હે તાત,મને યુધિષ્ઠિરના ક્રોધથી,અર્જુનના પરાક્રમથી ને ભીમ,નકુળ ને

સહદેવથી ભય થાય છે.પાંડવો રણભૂમિમાં અમાનુષ શસ્ત્રજાળ પાથરશે,તેથી હું વિલાપ કરું છું (7)

Jan 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-717

 

અધ્યાય-૫૨-અર્જુન તરફના ભયનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II यस्य वै नानृतावाच: कदचिद्नुशुश्रुम I त्रैलोक्यमपि तस्य स्याध्योद्वा यस्य धनंजयः II १ II

ધૃતરાષ્ટ બોલ્યા-અમે જેની વાણી કોઈ પણ દિવસ મિથ્યા સાંભળી નથી અને જેનો અર્જુન યોદ્ધો છે,તે યુધિષ્ઠિરને ત્રણે લોકનું રાજ્ય મળે તેમ છે.હું વિચાર કરું છું કે એવો કોઈ જ પુરુષ નથી કે જે અર્જુનની સામે અડવા જાય.કર્ણી અને નાલીક જાતનાં,હૃદયને ચીરી નાખનારા બાણો છોડનારા તે ગાંડીવધારી અર્જુનની સામે જનારો તેનો બરોબરીઓ મને કોઈ જ દેખાતો નથી.દ્રોણ અને કર્ણ જો અર્જુનની સામે યુદ્ધ કરવા જાય તો જય કોનો થશે?એ સંબંધી લોકોમાં મોટો સંદેહ ઉત્પન્ન થાય,પરંતુ મારા પક્ષનો તો વિજય થવાનો જ નથી કારણકે કર્ણ દયાળુ ને પ્રમાદી છે અને દ્રોણાચાર્ય વૃદ્ધ અને તેઓના પણ ગુરુ છે.બીજી તરફ અર્જુન,સમર્થ,બળવાન,દૃઢ ધનુષ્યવાળો ને શ્રમરહિત છે.(6)