May 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-824

 

અધ્યાય-૧૬૯-પાંડવોના રથીઓ અને અતિરથીઓ 


II भीष्म उवाच II एते रथास्तवाख्यातास्तथैवातिरथा नृप I ये चाप्यर्द्वरथा राजन पांडवानामतः शृणु II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,તારા રથીઓ,અતિરથીઓ ને અર્ધરથીઓ મેં તને કહ્યા હવે તું પાંડવોના રથી વગેરેને સાંભળ.

યુધિષ્ઠિર ઉત્તમ રથી છે ને સંગ્રામમાં અગ્નિની જેમ ફરી વળશે,એમાં સંદેહ નથી.ભીમસેન આઠગણો રથી છે,ગદાયુદ્ધ અને બાણયુદ્ધમાં તેના સમાન કોઈ નથી.તે દશ હજાર હાથીનું બળ ધરાવે છે.બંને માદ્રીપુત્રો રથી છે.પૂર્વનાં દુઃખો સંભારીને તે પાંડવો રુદ્રની જેમ સંહાર કરતા રણમાં ઘૂમશે તેમાં મને સંદેહ લાગતો નથી.

May 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-823

 

અધ્યાય-૧૬૮-અતિરથીની ગણનામાં ભીષ્મ ને કર્ણનો વિવાદ 


II भीष्म उवाच II अचलो वृषकश्वैव सहितौ भ्रात्ररावुभौ I रथौ तव दुराधार्षौ शत्रुन्विध्वंसयिश्यतः II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,મહાપરાક્રમી અને ગાંધારોમાં મુખ્ય અચલ તથા વૃષક નામના બે જોડીદાર ભાઈઓ રથીઓ છે.

હવે તારો મિત્ર,મંત્રી,ને વહાલો સૂર્યપુત્ર કર્ણ,કઠોર,આત્મશ્લાઘી,અત્યંત ચઢાઉ,રણમાં નિત્ય તીક્ષ્ણ,અભિમાની અને નીચ છે અને તને પાંડવોની સાથે નિત્ય વૈર કરવામાં ઉત્તેજન આપ્યા કરે છે,તે કર્ણ રથી કે અતિરથી નથી,કેમ કે નિત્ય નિંદક તથા મૂર્ખ તે જન્મસિદ્ધ કવચ ને કુંડળોથી રહિત થયો છે.પરશુરામના શાપને લીધે અને કવચ-કુંડળ રહિત થવાને લીધે હું તેને અર્ધરથી માનું છું.અર્જુનની સામે રણમાં જતા તે પાછો જીવતો છૂટશે નહિ.(7)

May 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-822

 

અધ્યાય-૧૬૬-રથી-અતિરથીની ગણના 


II भीष्म उवाच II सुदक्षिणस्तु काम्बोजो रथ एकगुणो मतः I तवार्थसिध्धिमाकांक्ष्न्योत्स्यते समरे परैः II १ II

ભીષ્મે કહ્યું-કામ્બોજરાજ સુદક્ષિણ એકગણો રથી મનાય છે,માહિષ્મતીવાસી નીલરાજા રથી છે,કે જેને સહદેવની સાથે વૈર થયેલું છે,એ તારે માટે સતત યુદ્ધ કરશે.અવંતીરાજ વિંદ અને અતિવિન્દ રથીઓમાં શ્રેષ્ઠ ગણાય છે.ત્રિગર્ત દેશના અધિપતિ પાંચ બંધુઓ ઉત્તમ રથીઓ છે.તારો પુત્ર લક્ષ્મણ અને દુઃશાસનનો પુત્ર એ બંને ઉત્તમ રથીઓ  છે.કે જેઓ મહાન કર્મ કરશે.

May 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-821

 

રથાતિરથ સંખ્યાન પર્વ 

અધ્યાય-૧૬૫-ભીષ્મે દુર્યોધનને ધીરજ આપી 


II धृतराष्ट्र उवाच II प्रतिज्ञाते फ़ाल्गुनेन वधे भीष्मस्य संयुगे I किमकुर्वत मे मंदाः पुत्रा दुर्योधनादयः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-અર્જુને સંગ્રામમાં ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા કરી,પછી મારા દુર્યોધન આદિ મૂર્ખ પુત્રોએ શું કર્યું? હું તો વાસુદેવની સહાયતાવાળા અર્જુને,સંગ્રામમાં ભીષ્મને મારી નાખ્યા હોય તેમ જ જોઉં છું.ભીષ્મે અર્જુનનું ભાષણ સાંભળીને શું કહ્યું?અને સેનાપતિપદ ગ્રહણ કર્યા પછી ભીષ્મે શું કર્યું?તે સર્વ મને કહે.

May 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-820

 

અધ્યાય-૧૬૪-સેનાપતિની યોજના 


II संजय उवाच II उलूकस्य वचः श्रुत्वा कुन्तीपुत्रो युधिष्ठिरः I सेनां निर्यापमासाय धृष्टध्युम्नपुरोगमाम II १ II

સંજયે કહ્યું-ઉલૂકનું કહેવું સાંભળ્યા પછી,કુંતીપુત્ર યુધિષ્ઠિરે,ધૃષ્ટદ્યુમ્નની આગેવાની હેઠળ,હાથી,ઘોડા,રથ અને પાળાવાળી ચતુરંગિણી,ભયંકર અને પૃથ્વીના જેવી અકંપ્ય સેનાને રણભૂમિ તરફ રવાના કરી.અર્જુન સહિત ભીમસેન વગેરે તે સેનાનું રક્ષણ કરતા હતા.તે સેના,નિશ્ચળ સમુદ્રના જેવી ગંભીર દેખાતી હતી.ધૃષ્ટદ્યુમ્ન આગળ રહીને તે સેનાને દોરતો હતો.તેણે પોતાના રથીઓનાં બળાબળનો તથા યુદ્ધોત્સાહનો વિચાર કરીને,તેઓની દ્વંદ્વ યુદ્ધમાં યોજના કરતાં કહ્યું કે-

May 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-819

 

અધ્યાય-૧૬૩-ઉલૂક દુર્યોધન પાસે આવ્યો 


II संजय उवाच II दुर्योधनस्य तद्वाक्यं निशम्य भरतर्षंम I नेत्राभ्यामति ताम्राभ्यां कैतव्यं समुदैक्षत  II १ II

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ ધૃતરાષ્ટ્ર,અર્જુન,દુર્યોધનનાં વચન સાંભળીને અત્યંત લાલ નેત્રથી ઉલૂક તરફ જોવા લાગ્યો અને પછી,કેશવ તરફ દ્રષ્ટિ કરી,પોતાનો વિશાલ બહુ ઊંચો કરીને ઉલૂકને કહેવા લાગ્યો કે-જે મનુષ્ય,પોતાના બળનો આશ્રય કરીને શત્રુને યુદ્ધ માટે બોલાવે હે અને નિર્ભય થઈને શત્રુ સાથે યુદ્ધ કરે છે તે જ પુરુષ કહેવાય છે.હે દુર્યોધન,તું પારકાના બળ વડે પોતાને બળવાન માને છે અને પોતે કાયર હોવા છતાં બીજાઓને ધિક્કારવા ઈચ્છે છે.સર્વ રાજાઓમાં વૃદ્ધ,બુદ્ધિમાન,જિતેન્દ્રિય અને મહાજ્ઞાની ભીષ્મને મરણની દીક્ષા આપીને,તું મિથ્યા બડાઈ શા માટે મારે છે?


ઓ કુળને કલંક લગાડનારા દુર્બુદ્ધિમાન,અમે તારો અભિપ્રાય સમજી ગયા છીએ.પાંડવો દયાને લીધે ભીષ્મને મારશે નહિ,એમ સમજીને તું જેમના બળ પર આધાર રાખે છે,તે ભીષ્મને હું સર્વ ધનુર્ધારીઓના દેખતાં જ પ્રથમ મારીશ.આવતી કાલે સવારે સંગ્રામ શરુ થશે.ભીષ્મના,'અમારી સેનાના સંહારના' વચન પરથી તું માને છે કે 'મને સંપૂર્ણ રાજ્ય મળ્યું છે ને પાંડવો આપત્તિમાં છે' પણ તું પોતાના પર ઝઝૂમી રહેલા અનર્થને જોતો નથી,હું ભીષ્મનો તારા દેખતાં જ વધ કરીશ.માટે તેમનું રક્ષણ કરજો.

ભીમે કરેલી પ્રતિજ્ઞાને પણ તું થોડા સમયમાં જ સત્ય થયેલી જાણીશ.તારા અભિમાન અને અપરાધનું ફળ તું થોડા સમયમાં જ જોઇશ.ને તું જયારે ભાઈઓ,પુત્રો સાથે,ભીમસેનની ગદાથી હણાઈ પડીશ,ત્યારે જ તું તારા દુષ્કૃત્યોને સંભારીશ.(23)


પછી,યુધિષ્ઠિરે કહ્યું-હે ઉલૂક,તેને કહેજે કે-તારે પોતાના આચરણ ઉપરથી મારા આચરણનો ન્યાય કરવો યોગ્ય નથી,હું સત્ય અને અસત્ય એ બંનેના અંતરને જાણું છું.હું કીડીઓનું પણ અનિષ્ટ ન ઈચ્છું તો સંબંધીઓના વધની ઈચ્છા કેમ કરું?મારે તારું પ્રાણસંકટ જોવું ન પડે તે ઈચ્છાથી જ મેં તારી પાસે પાંચ ગામોની માગણી કરી હતી.પણ તારું અંતઃકરણ કામનાઓથી ભરેલું છે,તેથી તું કેશવનાં વચનોને પણ ગ્રહણ કરતો  નથી.તારું કહેવું અમે સાંભળ્યું,તારા મત પ્રમાણે ભલે થાઓ.


ભીમસેને કહ્યું-'હે ઉલૂક ,તે પાપીને કહેજે કે-હવે કાં તો હસ્તિનાપુરમાં વાસ કરવો કે મરીને ગીધના પેટમાં વાસ કરવો-એજ નિર્ણય છે.સભામાં મેં જે પ્રતિજ્ઞા કરી હતી,તેને હું સત્ય કરીશ.દુઃશાસનનું રુધિર પીશ ને તારી સાથળો ભાગી નાખી તારા બંધુઓને મારીશ.હું ધૃતરાષ્ટ્ર પુત્રોનો કાળ છું ને અભિમન્યુ સર્વ રાજપુત્રોનો કાળ છે એમાં સંદેહ નથી.'

નકુલે કહ્યું-હે ઉલૂક,તેને કહેજે કે તેં જે પ્રમાણે મને ઉપદેશ કર્યો છે તે પ્રમાણે જ હું કરીશ'

સહદેવે કહ્યું-તેને કહેજે કે-તારી જે માન્યતા છે તે છેવટે નિષ્ફળ થશે,તારે પુત્ર,સંબંધીઓ ને બાંધવો માટે શોક કરવો પડશે'


વિરાટે અને દ્રુપદે કહ્યું-અમે સત્પુરુષોના દાસ થઈએ એવી અમારી નિત્ય બુદ્ધિ છે.

અમે દાસ છીએ કે પ્રભુ છીએ અને તારો પુરુષાર્થ કેવો છે તે અમે કાલે સવારે જોઈશું.

શિખંડીએ કહ્યું-તેને કહેજે કે-તું સંગ્રામમાં મને દારુણ કર્મ કરતો જોઇશ.ભીષ્મને હું રથમાંથી ઉથલાવી પાડીશ.

વિધાતાએ મને ભીષ્મના વધ માટે જ ઉત્પન્ન કર્યો છે,માટે હું સર્વના દેખતાં તે ભીષ્મનો નાશ કરીશ.

ધૃષ્ટદ્યુમ્ને કહ્યું-તેને કહેજે કે-હું સેનાગણ અને બાંધવોની સાથે દ્રોણને મારીશ.રણમાં મારા જેવું કર્મ બીજો કોઈ કરશે નહિ.


છેવટે,યુધિષ્ઠિરે કહ્યું કે-'તેને કહેજે કે-હું કોઈ પણ રીતે જ્ઞાતિવધની ઈચ્છા રાખતો નથી પણ,આ સર્વ તારા દોષને લીધે જ થાય છે.હે ઉલૂક,હવે તારી ઈચ્છા હોય તો તું સત્વરે અહીંથી ચાલ્યો જા કે અહીં રહે.અમે પણ તારા બાંધવો છીએ.'

તે પછી,ઉલૂક યુધિષ્ઠિરની આજ્ઞા લઈને દુર્યોધન પાસે ગયો અને તેને સર્વ લોકોએ કહેલા સંદેશ કહ્યા.ત્યારે દુર્યોધને કર્ણ,શકુનિ અને દુઃશાસનને કહ્યું કે-'તમે રાજાઓના સૈન્યને આજ્ઞા કરો કે-કાલે સૂર્યોદય થતાં પહેલાં,પોતપોતાનાં સૈન્યોસહિત રણભૂમિ પર સજ્જ થઈને ઉભા રહે.' તે પછી,તેની આજ્ઞાથી દૂતો ઘોડાઓ પર બેસીને આખી સેનામાં ફરી વળ્યા ને સર્વ સેનાને દુર્યોધનની આજ્ઞા કહી કે-કાલે સૂર્યોદય પહેલાં યુદ્ધ માટે સજ્જ થઈને રણભૂમિ પર ઉભા રહેવું' (57)

અધ્યાય-163-સમાપ્ત