Dec 6, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૬

શ્રીરામ અગણિત ગુણોના ભંડાર છે. શ્રીરામના દિવ્ય સદગુણો જે જીવનમાં ઉતારી શકે એ જ રામના દરબારમાં પ્રવેશ પામી શકે છે.નહિ તો હનુમાનજી દ્વારે ગદા લઈને બેઠા જ છે ! હનુમાનજી હાથમાં ગદા રાખે છે તે તેમને કોઈની બીક લાગે છે તે માટે રાખતા નથી,પણ,પાપીને સજા કરવા માટે રાખે છે.જે બહુ ભણે છે ને વિદ્વાન બની જાય છે,તે તેના જ્ઞાનના અહંકારમાં ધર્મની મર્યાદા પાળતા નથી,અને ધર્મને અવગણે છે,એમને માટે હનુમાનજી હાથમાં ગદા રાખે છે.

ભક્તિ ને ધર્મ વગરનું જ્ઞાન નિરર્થક છે,બોજા-રૂપ છે,ચંદનના લાકડામાં સુગંધ ના હોય તો તેનામાં ને બીજા લાકડામાં કોઈ ફરક નથી.તેમ જ્ઞાન સાથે ભક્તિની સુગંધ ના હોય તો જ્ઞાન નિર્માલ્ય (નકામું) છે.
જટાયુના મરણથી શ્રીરામને ખૂબ જ લાગી આવે છે,તેઓ કહે છે કે-મને એટલો પરિતાપ થાય છે કે-
હુ એ પરિતાપને સમાવવા સમુદ્રમાં પડું તો સમુદ્ર સુકાઈ જાય.

જટાયુનું મરણ સુધારીને શ્રીરામ આગળ વધે છે,રસ્તામાં એમને કબંધ નામના રાક્ષસનો ભેટો થઇ ગયો.
કબંધનો શરીરનો ઘાટ એવો બેડોળ હતો કે-એનું માથું ધડમાં ઉતરી પડેલું હતું,માથાનો આકાર દેખાતો નહોતો, એનું લલાટ છાતી પર હતું,અને લલાટની વચ્ચે અંગારા જેવી માત્ર એક જ આંખ હતી.
એના હાથ માનવામાં ના આવે તેટલા લાંબા હતા,એ હાથ વડે તે પ્રાણીઓનો શિકાર કરતો.
કબંધનું બળ તેના હાથમાં હતું.એટલે શ્રીરામે તેના બંને હાથ મૂળમાંથી કાપી નાખ્યા,હાથ કપાતાં 
કબંધ ધરતી પર ઢળી પડ્યો.મરતાં મરતાં એણે કહ્યું કે-હું અગાઉ ગંધર્વ હતો,અને મારા રૂપનું મને અભિમાન હતું,પણ એકવાર અષ્ટાવક્રના વિકૃત અંગો જોઈને મેં એમની મશ્કરી કરી તેથી તેમણે મને શાપ દીધો,
ને હું વિકૃત અંગ-વાળો રાક્ષસ થઈને પડ્યો,પણ આપની કૃપાથી હવે હું શાપ-મુક્ત થાઉં છું.

રૂપનું અભિમાન અનર્થ કરનારું છે.રૂપ,ધન,વૈભવ,સતા –આ બધું ઈશ્વરની કૃપાથી મળેલું છે,એમ સમજી
મનમાં વિનમ્રતા-વિવેક ધારણ કરવા જોઈએ.ચામડીનું સૌન્દર્ય એ સાચું સૌન્દર્ય નથી,ચામડી પર તેજાબના 
છાંટા પડે તો તે ચામડી વિકૃત થઇ જાય છે,ચામડી પર જેની નજર જાય તે ચમાર છે.
જે આકારને જુએ છે તેનામાં વિકાર જન્મે છે.અને વિકાર માનવીને પાપ પ્રતિ દોરે છે.

અષ્ટાવક્રના અંગો જોઈને રૂપવાન-અહંકારી ગંધર્વ હસ્યો,એ રાક્ષસી કૃત્ય હતું,
એણે ઋષિની બાહ્ય આકૃતિ જોઈ પણ અંદરની દિવ્ય કૃતિ ના જોઈ.તેથી તે રાક્ષસ યોનિને પામ્યો.
છેવટે રામજીના હાથે એનો ઉદ્ધાર થયો.રામજી સિવાય આવાનો બીજો કોઈ ઉદ્ધાર કરી શકે નહિ.

કબંધ નો ઉદ્ધાર કરીને શ્રીરામ આગળ વધીને પંપા સરોવર પાસે આવ્યા.
કહેવાય છે કે-પૃથ્વી પર પાંચ પવિત્ર સરોવરો છે,ગુજરાતમાં બિંદુસરોવર,કચ્છમાં નારાયણસરોવર,
હિમાલયમાં માનસસરોવર,દક્ષિણમાં પંપાસરોવર,અને વૃંદાવનમાં પ્રેમસરોવર.
પંપાસરોવરની પાસે શબરીનો આશ્રમ હતો.શ્રીરામ ત્યાં પધાર્યા.
બીજા ઋષિઓએ શ્રીરામને પોતાના ત્યાં પધારવા આગ્રહથી આમંત્રણ આપ્યું હતું,પણ,
શબરીના આશ્રમમાં શ્રીરામ વગર આમંત્રણે પધારે છે.
શબરીના જીવનની અને તેના પૂર્વજન્મની કથા સમજવા જેવી છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE