Feb 14, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-420

પ્રહલાદ ચિંતવન કરે છે-કે-
આ હું જ આકાશમાં સૂર્ય-રૂપે ને વાયુ-રૂપે વિહાર કરું છું,અને શ્યામ,શંખ-ચક્ર-ગદાને ધારણ કરનારા-આ વિષ્ણુ-રૂપે હું જ જગતમાં વ્યવહાર કરું છું.કમળ-રૂપી આસન પર બેસનારા,પરમ આનંદ ને પ્રાપ્ત થયેલા બ્રહ્મા-રૂપે,હું જ એ વિષ્ણુ ની નાભિમાંથી ઉત્પન્ન થયેલો છું.અને હું જ ત્રિનેત્ર-મૂર્તિ (શિવ) છું.જેમ કાચબો પોતાના અંગોને સમેટી લે છે,તેમ હું પણ સૃષ્ટિના અંતે આ જગતના સમેટી લઉં છું.

ત્રૈલોક્ય ના આ સઘળા રાજ્ય ને હું પાળું છું.
હું સઘળા દેહો ને ધારણ કરનાર હોવાને લીધે,સ્ત્રી પણ છું,પુરુષ પણ  છું,યુવાન અને વૃદ્ધ પણ હું જ છું.
જેમ, બાળક પોતાને રમવા માટે કાદવમાંથી રમકડું બનાવે છે,
તેમ,મેં મારી લીલાને માટે (માયાથી) આ જગતના આડંબર-રૂપી રમકડું બનાવ્યું છે.

"હું" રૂપી મોટા ચૈતન્યમય અરીસામાં જે જે (જગત) પ્રતિબિમ્બિત થયું છે,તે સઘળું મારાથી જુદું છે જ નહિ.
કાંઇ પણ મારાથી જુદું હોવાનો સંભવ જ નથી.
હું સર્વ પદાર્થો ની અંદર ઉત્કૃષ્ટ "સત્તા-રૂપે" રહેલો છું અને
પોતાના "સંકલ્પ" થી શરીરો માં પ્રવેશ કરીને જુદા જુદા જીવો-રૂપે દેખાવ આપું છું.
જેમ દૂધ ની અંદર ઘી રહેલું છે,તેમ સઘળા પદાર્થો ની અંદર હું જ સત્તા-રૂપે અને સ્ફૂરણા-રૂપે રહેલો છું.
ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળનું આ જડ જગત મારા રૂપમાં જ એક (કાલ્પનિક) ભાગમાં રહેલું છે.

સઘળી દિશાઓના અવકાશોમાં ભરપૂર રહેલો,સંકોચ-રૂપી-વિભ્રમ થી રહિત,
સર્વમાં રહેલો અને સર્વનો કર્તા,હું (આત્મા) જ વ્યષ્ટિ-રૂપે તથા સમષ્ટિ-રૂપે રહેલો છું.
(પ્રહલાદ વિચારે છે) અહો,શસ્ત્રોથી દેવોનો નાશ કર્યા વિના જ,અને ઇન્દ્રને બાંધી લીધા વિના જ,
આ જગતનું અપૂર્વ અને વિસ્તીર્ણ રાજ્ય વગર માગ્યે મને મળી ચુક્યું.

આટલા કાળ સુધી,"આ દેહ હું છું" એવી ખોટી કલ્પના મને ક્યાંથી થઇ હતી?
હું જે છેડા વિનાના આકાર-વાળો છું,તેનું એ કલ્પનાથી (હું શરીર છું-તે કલ્પનાથી) સ્વલ્પ-પણું થઇ ગયું હતું.
"આ તું છે અને આ હું છું" એ તો ખોટી ભ્રાંતિ જ છે.દેહ કોણ છે? અદેહ કોણ છે? મૂઓ કોણ છે અને જીવિત કોણ છે? કશું નથી,જો દેહ અને પ્રાણ- સિદ્ધ થાય તો જ એ સઘળું સંભવિત છે.પણ તે (દેહ અને પ્રાણ) સિદ્ધ થતા જ નથી.
બિચારા મારા બાપ-દાદાઓ ક્ષુદ્ર બુદ્ધિવાળા જ હતા,કે જેઓ આ બ્રહ્મ-વિદ્યા-રૂપી ચક્રવર્તી-પણા ને ત્યજીને
સંસારની ભૂમિકામાં જ રમ્યા હતા.બ્રહ્મ-પણાથી ઉન્નત પામેલો "વિચાર" ક્યાં? અને રાજ્યના વૈભવો ક્યાં?

અનંત આનંદ નો ઉપભોગ આપનારો અને પરમ ઉપશમથી શોભનારો,
આ "શુદ્ધ ચૈતન્યમય વિચાર" એ -સઘળા વિચારો થી ઉત્કૃષ્ટ છે.
હું જ દૃશ્યો થી રહિત ચૈતન્ય-રૂપ છું,અને સઘળા જીવો ના સ્વ-રૂપ-ભૂત છું,
માટે હું મને (આત્માને) જ વારંવાર પ્રણામ કરું છું.
જેમ ખાધેલા અન્ન ને પચાવી દેવામાં આવે છે,તેમ,જેને સંસારને પચાવી દીધો છે તેવો હું જન્મ-રહિત થયો છું,સઘળા અનર્થોથી નિવૃત્તિ ને પ્રાપ્ત થયેલો છું,જે પામવાનું છે તેને પામી ચુક્યો છું,
મહાત્મા થયો છું,અને સર્વથી ઉત્તમ થયો છું.

આ બોધ-રૂપી અવિચળ અને ઉત્તમ સામ્રાજ્ય ને (સર્વ બ્રહ્માંડો ના અધિપતિપણા ને) ત્યજીને-
હવે હું,રમણીયતા વિનાની અને મહાસુખ-રૂપી રાજ્યની વિભૂતિઓમાં રમીશ નહિ.
મારો પિતા કે જે,પથ્થરના બનાવેલા કિલ્લાઓનો આશ્રય કરીને,
પૃથ્વી પર સ્વામીપણાના અભિમાનથી રોળાયા કરતો હતો,
અને તેથી જ એક નીચ દાનવ-રૂપી તુચ્છ કીડા જેવો જ રહ્યો હતો,તેને ધિક્કાર છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE