Feb 3, 2012

સત્ય જ્ઞાન


ઉપનિષદ માં  શિષ્ય પ્રશ્ન કરે છે...
“એવું શું છે કે જે જાણ્યા પછી બીજું કઈ જ જાણવા જેવું બાકી રહેતું નથી? “
જવાબ માં કહે છેકે....
“સત્ય નું જ્ઞાન જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી.”
અને આ “સત્ય જ્ઞાન” જો
સમજાઈ જાય તો સમજવા માં અઘરું લાગતું “શાસ્ત્રો નું તત્વ જ્ઞાન” આપોઆપ સમજાવા લાગે છે.

પણ વળી પાછું આ ‘સત્ય જ્ઞાન’  મેળવવા માટે ‘શાસ્ત્રો નું તત્વજ્ઞાન’ જરૂરી બની રહે છે.

‘સત્ય’ પરમાત્મા છે.અને આ ‘સત્ય નું જ્ઞાન’ તે જ્ઞાન છે.

આ સીધું સાદું વાક્ય વાંચીને કે સાંભળીને આપણે બધા એક સાથે કહી ઉઠીએ છીએ કે-
“આ તો અમને ખબર છે”

પણ પરમાત્મા શું છે? તેની ખોજ અહી છૂટી જાય છે.અને સામાન્ય જીવન માં અટવાતા રહીએ છીએ.

કદીક કદીક  ઘડી ભર આ પરમાત્મા ના ખોજ ની વાત આવી પછી વિસરાઈ જાય છે.  

પરમાત્મા ની ખોજ ચલાવવી જ હોય અને ‘સત્ય જ્ઞાન’ મેળવવું જ હોય તો –
આ પરમાત્મા ના મૂળ સુધી જો પહોચી જવાય તો ઘણા બધા પ્રશ્નો નો જવાબ મળી શકે તેમ લાગે છે.

પરમાત્મા ની ખોજ વરસો જૂની છે.અનેક લોકો એ જુદી જુદી રીતે પરમાત્માની ભાળ કાઢવાનો પ્રયત્ન કર્યો છે.
ભાતભાતના ઉદાહરણો આપી ને અને ભાતભાતના ‘વાદો’ ઉભા થયેલા છે.પણ છેવટે તો બધાએ- મૂળ-બ્રહ્મ- સુધી
પહોચવાનું છે.

બીજી રીતે કહીએ તો-પરમાત્મા ના ગામ (સાધ્ય)સુધી પહોચવા  માટે જુદા જુદા- સાધનો- બનાવ્યા  છે.

ગીતા માં અધ્યાય -૧૦ માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ નું ઉદાહરણ છે.
ક્ષેત્ર એટલેકે ખેતર. અને ક્ષેત્રજ્ઞ એટલેકે ખેતર ને જાણનાર કે ખેતર નો માલિક.

ખુબ જ સીધી સાદી રીતે કહ્યું છે કે –શરીર ક્ષેત્ર છે અને તેને જાણનાર –આત્મા-પરમાત્મા -ક્ષેત્રજ્ઞ છે.

અહી બે જુદા જુદા વાદો-જેવાકે કર્મવાદીઓ અને સાંખ્યવાદી ઓ શું કહે છે તે સમજીએ,

કર્મવાદીઓ કહેછે કે-
આ સમગ્ર ખેતર(શરીર) જીવ (આત્મા) ના તાબામાં છે.પ્રાણ વ્યવસ્થાપક છે.
આ પ્રાણ ના ચાર ભાઈઓ છે,(અપાન,વ્યાન,સમાન અને ઉદાન) અને એક દેખરેખ અધિકારી (મન) છે.
દસ બળદો (પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો ) ની જોડી થી .
(વિષયો થી ભરપુર) ખેતરને આ બધા મહેનત કરી ખેડે છે.

અને બીજ ( ખોટાંખોટાં કર્મ ના આચરણો –અન્યાય) વાવે છે.
ખાતર (દુષ્કર્મો) નું નાખે છે.જેથી તેના જેવા જ પાક રૂપ જન્મ પર્યંત ના- દુઃખો- ભોગવે છે.

અને જો બીજ (સારા કર્મ ના આચરણો-સત્કર્મો) નું વાવે તો
તેના પાક રૂપ જન્મ પર્યંત –સુખ- ભોગવતો રહે છે.

ટૂંક માં અહી ‘કર્મો’ ને પ્રધાન બતાવ્યા છે.મન ને જવાબદાર ગણાવ્યું છે.જીવ દોષી નથી.

સાંખ્ય વાદીઓ (બુદ્ધિ વાદીઓ-જ્ઞાન વાદીઓ) કહે છે-
આ ખેતર પર  જીવ નો અધિકાર નથી,જીવ તો વટેમાર્ગુ છે,તે તો ખેતર માં થોડો સમય જ રહે છે.
પ્રાણ એ રખેવાળ છે.સર્વદા જાગ્રત રહી ખેતર નું રક્ષણ કરે છે.
પ્રકૃતિ (શક્તિ)ની વૃત્તિ ક્ષેત્ર માં છે.તેના વહીવટ માં આ ખેતર છે.તેના ઉદરમાંથી પેદા થયેલા ત્રણ ગુણો
પૈકી –રજોગુણ વાવણી કરે છે, સત્વગુણ સંરક્ષણ કરે છે.અને તમોગુણ સર્વ પાક એકઠો કરે છે.

ટૂંક માં અહી ‘પ્રકૃતિ’ ને પ્રધાન બતાવી છે.તેને જવાબદાર ગણાવી છે.બ્રહ્મ દોષી નથી.

મહત્ બ્રહ્મ અને મહત્ પ્રકૃતિ થી જગતની ઉત્પત્તિ થાય છે.સર્ગ થાય છે.  
એવો સાંખ્ય મત છે.સાંખ્યો (બુદ્ધિજીવીઓ,જ્ઞાનીઓ) પરમાત્મા ના મૂળ સુધી જવાનો પ્રયત્ન વધુ કરે છે.

કર્મ માં –અનાશક્તિ થી મુક્તિ કે આશક્તિ થી બંધન થાય છે.અનાશક્તિ થી વૈરાગ્ય ઉદ્ભવે છે.
ભક્તિ થી -આ સર્વ કઈ પરમાત્મા નું છે અને ‘તે’ની શરણાગતિ થી અહમ નો વિનાશ થાય છે.
જયારે જ્ઞાન- એ સત્ય જ્ઞાન માં રૂપાંતરિત થઇ પરમાત્મા સુધી પહોચી જાય છે.

જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય –આ ત્રણે એક સાથે ભેગા થાય તો –સત્ય –દુર નથી.

કર્મ યોગ,ભક્તિ યોગ કે જ્ઞાન યોગ –આ ત્રણ મુખ્ય સાધનો
ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના ગુણો વાળા જીવો માટે બતાવ્યા છે.

ત્રણે માં થી કોઈ પણ એક સાધન થી સત્ય નજીક પહોચી શકાય છે.
અને શરૂઆત માં કોઈ પણ એક સાધન કરવું જરૂરી છે.

પણ સંપૂર્ણ મુક્ત થવા કે આત્મા અને પરમાત્મા નું ઐક્ય કરવા માટે આ ત્રણે નો સંગમ થવો જરૂરી છે.
એવો નિર્દેશ છે.

આમ પ્રકૃતિ(માયા) થી પર થવા અને બ્રહ્મ ની પ્રાપ્તિ માટે,જ્ઞાન ,ભક્તિ અને વૈરાગ્ય ખુબ જ જરૂરી છે.

અને જો એકવાર ‘એ’ નિરાકાર,નિર્ગુણ –પરમાત્મા (બ્રહ્મ-સત્ય) ને કોઈ વિરલો જાણી લે તો પછી
કશું એ બીજું જાણવાનું રહેતું નથી.

બાકી બધું આપોઆપ જણાઈ જાય છે. ના સમજાતી વસ્તુ સમજાઈ જાય છે.અને પછી
કશું એ સમજવાનું રહેતું નથી.

અહમ નીર્વીકલ્પો,નિરાકાર રૂપો,વિભુ વ્યાપ્ત સર્વત્ર,સર્વેન્દ્રીયાણામ,
સદામે સમત્વં ,ન મુક્તિ ન બંધ,ચિદાનંદ રૂપ ..શિવોહમ,શિવોહમ .........

આનંદ-આનંદ-પરમાનંદ.........