Dec 1, 2012

રામાયણ-૩૪

      PREVIOUS PAGE
     NEXT PAGE

ગીતાજી માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-કે-અર્જુન તારો શત્રુ બહાર નથી પણ તારો શત્રુ તારી અંદર છે.

કામ એ હિત-શત્રુ છે.તે આપણને એમ મનાવે છે-કે-“હું તમને સુખ આપું છું” પણ તે સુખ સાચું નહિ કાચું છે.
કામ=”ક” એટલે સુખ અને “આમ” એટલે કાચું. કામ એટલે કાચું સુખ.
કામ નું સુખ તે સાચું સુખ નથી પણ કાચું સુખ છે-વિનાશ વાળું છે.
કામ ને હૃદયમાંથી કાઢી –ત્યાં પરમાત્મા શ્રીકૃષ્ણ ને  ને પધરાવવા જોઈએ.

ભરત નો ત્યાગ ઉત્તમ છે.અષ્ટસિદ્ધિઓ દાસી થઈને ઉભી છે,પરંતુ ભરત કોઈની સામું જોતાં નથી.
વૈરાગ્ય વગર ભક્તિ રડે છે,વૈરાગ્ય ના હોય તો ભક્તિ ની કોઈ કિંમત નથી.
ભરત ને એક જ ઈચ્છા છે-અને તે રામ ના દર્શન કરવાની. “મોહે લાગી લગન તેરે દર્શંનકી”
એક વાર -આવી ઈશ્વરની લગન લાગી જાય –તો બાકીનું બધું આપોઆપ આવી જાય છે.
જગતના સર્વ ભોગ પદાર્થોમાં –ભલે તે સામે આવે પણ મન તેમાં જતું નથી. અને તે જ સાચો ભક્ત છે.

રામકૃષ્ણ પરમહંસ ને તેમનો શિષ્ય હંમેશાં પૂછતો કે પરમાત્મા ક્યારે મળે ?
એક દિવસ તે શિષ્ય ગંગામાં જોડે નહાતો હતો તે વખતે,રામકૃષ્ણ પરમહંસે તેના વાળ પકડી અને તેનું માથું
ગંગાના પાણીમાં એક મિનિટ ડૂબાડી રાખ્યું. જેવું તેનું માથું બહાર કાઢ્યું-કે તે શિષ્ય ચિલ્લાઈ ઉઠયો કે-
આવું તો થતું હશે ? મને તો એમ થયું કે આજે મારો પ્રાણ નીકળી જશે.મારો જીવ પાણી માં મુંઝાતો હતો.
ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું-કે- બસ ઈશ્વરને મળવાની આવી જ ઉત્કંઠા જાગે-કે તેના વગર હવે મારો
પ્રાણ નીકળી જશે-ત્યારે-જ ઈશ્વર મળે છે.પરમાત્મા વગર જીવ મુંઝાય તો પરમાત્મા મળે.

ભરતજી એ ત્રિવેણી ગંગા પાસે ભીખ માગી છે-કે-
“મારી બીજી કોઈ ઈચ્છા નથી,હું મોક્ષ માગતો નથી,મને રામ દર્શન કરાવી આપો.”

“ભુક્તિ,મુક્તિ માંગું નહિ,ભક્તિદાન દેહુ મોહી,ઔર કોઈ યાચું નહિ,નિસદિન યાચું તોહી.”
જ્ઞાની-ભક્ત-વૈરાગી પુરુષો ને મુક્તિ ની ઈચ્છા નથી,જે ભક્તિરસ માં તરબોળ થયો છે,તેને મોક્ષ નો આનંદ તુચ્છ લાગે છે.
વેદાંત કહે છે-કે-આત્મા તો સદા મુક્ત જ છે,તેને વળી મુક્તિ શાની ?
ભગવાન મુક્તિ આપે છે-(આપેલી જ છે) પણ ભક્તિ જલ્દી આપતા નથી.(વૈરાગ્ય થી ભક્તિ આવે છે)

સાધુ ઓ ભરત ના વખાણ કરે છે,અમારા વૈરાગ્ય કરતાં પણ ભરત નો વૈરાગ્ય શ્રેષ્ઠ છે.
ભરતજી ત્યાંથી આગળ ચાલ્યા છે, (દશમે દિવસે રામ-ભરત નું મિલન થયું છે.)
આજે તો ચિત્રકૂટ ના દૂર થી દર્શન થતાં.લોકોએ દુરથી  સાષ્ટાંગ પ્રણામ કર્યા છે, સૂર્યનારાયણ અસ્ત થયા છે,અને લોકોએ તળેટી માં મુકામ કર્યો છે.

આ બાજુ સીતાજી ને સ્વપ્ન આવ્યું છે-કે-ભરતજી આપણ ને મળવા આવ્યા છે,સાથે અયોધ્યાની પ્રજા છે,
સાસુજી નો વેશ અમંગળ હતો.
રામજી કહે છે-કે-આ સ્વપ્ન બહુ સારું નથી,કોઈ દુઃખ ની વાત સાંભળવી પડશે.

રામ,લક્ષ્મણ જાનકી પર્ણકુટી ના ઓટલે બેઠા છે,અનેક ઋષિઓ ત્યાં આવ્યા છે,જ્ઞાન ની વાતો કરે છે.
ત્યાં ભીલ લોકો દોડતા રામજી પાસે આવ્યા અને કહે છે-કે-કોઈ ભરત નામનો રાજા મોટી સેના સાથે
તળેટીમાં આવ્યો છે,તેથી આ પશુઓ પણ ગભરાટ માં દોડે છે.
રામજી વિચારમાં પડ્યા. પણ  લક્ષ્મણ ના મનમાં પણ –ગુહક ના જેવો જ કુભાવ આવ્યો.
“ભરત ને સેના સાથે આવવાની શી જરૂર હશે ? હું જાણું છું કે ભરત સાધુ છે,પણ રાજ્ય મળ્યા પછી તેની બુદ્ધિ કદાચ બગડી હશે,અને પોતાના રાજ્ય ને નિષ્કંટક કરવા સેના લઈને આવ્યો હોય, સત્તા મળે એટલે મનુષ્ય પાગલ બની જાય છે” લક્ષ્મણ જી ને ક્રોધ આવ્યો છે ધનુષ્ય પર હાથ મૂકી ઉભા થઇ ગયા છે.

રામજી એ લક્ષ્મણ નો હાથ પકડી બેસાડ્યા અને કહે છે-કે-
લક્ષ્મણ,ભરતને જો-સ્વર્ગનું પણ રાજ્ય મળે તો પણ તેને અભિમાન થાય તેવું નથી, આ જગતમાં ભરત જેવો ભાઈ થયો નથી અને થવાનો નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE