Mar 24, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૩

અનંત મુખ,અનંત નેત્ર,અનંત અલંકાર,અનંત આયુધોવાળા અને સુગંધિત પુષ્પો,
વસ્ત્રોથી અને શરીર પર સુગંધિત દ્રવ્યો લગાડેલ શ્રીકૃષ્ણને વિરાટ સ્વરૂપે,અર્જુન જુએ છે.(૧૦-૧૧) હજારો સૂર્યો એક સાથે ઉદય પામ્યા હોય,તો પણ તેની તુલના જે પ્રકાશ સાથે ના થઇ શકે તેવું,અત્યંત પ્રકાશમય સ્વરૂપ દેખાણું,વિરાટ સ્વરૂપમાં સર્વ જગત એક જ જગ્યાએ સ્થિર થયેલું દેખાણું(૧૨-૧૩)

આ વિરાટ (વિશ્વરૂપ) જોઈને અર્જુન આશ્ચર્યચકિત થયો,તેના અંગ પર રોમાંચ ખડાં થઇ ગયાં.
પછી બંને હાથ જોડી ને શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે.(૧૪)

હે દેવ,તમારા દેહમાં હું સર્વ દેવોને,સર્વ પ્રાણીઓને,બ્રહ્મદેવને અને સર્વ ઋષિઓને પણ જોઉં છું,
આપના અનેક હાથ,અનંત મુખો, અનંત નેત્રો અને અનંત રૂપો છે,
કોઈ પણ બાજુએ આપ વિનાની એક પરમાણુ જેટલી જગ્યા પણ બાકી રહેલી જોવા મળતી નથી,
આપ સર્વ જગ્યાએ વ્યાપેલા દેખાઓ છે.(૧૫-૧૬)

તેજ ના સમૂહરૂપ,સર્વ દિશામાં દેદીપ્યમાન, તથા દિવ્ય-ચક્ષુ સિવાય જોવા અશક્ય એવા આપને હું
સર્વ બાજુએ જોઉં છું.હે પ્રભુ,આપ જ જાણવા યોગ્ય-અક્ષર (પરબ્રહ્મ-પરમાત્મા) છો,
આપ જ વિશ્વના આધારભૂત છો,અને આપ જ અવિનાશી  છો, (૧૭-૧૮)

હે પ્રભુ, જેને આદિ,મધ્ય કે અંત નથી,જેની શક્તિનો અંત નથી,જેને અનંત હાથ છે,સૂર્ય-ચંદ્ર જેની આંખો છે,અગ્નિ જેનું મુખ છે, અને જે પોતાના તેજથી વિશ્વને તપ્ત કરે છે,એવા આપને હું જોઉં છું.
આપનું આ અદભૂત ઉગ્ર રૂપ જોઈ ને સર્વ બ્રહ્માંડ ભયભીત થઇ ગયું છે,અને હાથ  જોડી સર્વ લોકો
આપની સ્તુતિ કરી આપની પ્રશંસા કરતા દેખાય છે,અને સર્વ આપને જ જોઈ રહ્યા છે, (૨૦-૨૧-૨૨)

હું પણ આપના આ રૂપને જોઈ ભયભીત થયો છું,મારી ધીરજ જાણે ખૂટી ગઈ છે,અને મારું મન અશાંત થયું છે. પ્રલયકાળના અગ્નિ જેવી પ્રદીપ્ત –અતિ વિકરાળ દાઢોવાળું મુખ જોઈને હું હવે તો દિશાઓને પણ
ઓળખી શકતો નથી,અને મારા મનને સુખ ભાસતું નથી.

આપના આ વિકરાળ મુખમાં –મને-સર્વ યોદ્ધાઓનો ચુરેચુરો થતો દેખાય છે,અને
જેવી રીતે પ્રજ્વળેલા અગ્નિમાં નાશ પામવા માટે જ પતંગિયાં -અતિવેગથી પ્રવેશ કરતાં હોય છે-
તેમ સર્વ લોકો –આપના મુખમાં નાશ પામવા માટે જ મહાવેગથી પ્રવેશ કર્યા કરે છે,(૨૩ થી ૩૦)

અર્જુન કહે છે-કે- હે પ્રભુ,મારા મનના સમાધાન માટે મેં આપને “આપનું વિશ્વરૂપ બતાઓ” એમ કહ્યું
હતું, પણ આપે તો એકદમ આખા બ્રહ્માંડને ગળી જવાના હોવ,તેવું મહાભયંકર રૂપ ધારણ કર્યું છે.
કહો,કે આપ કોણ છો? અને આવું મહા ભયંકર રૂપ કેમ ધારણ કર્યું ?
આપને હવે હું “તત્વ” થી જાણવા ઈચ્છું છું,કેમ કે આપની આ બધી પ્રવૃત્તિઓને હું જાણતો નથી (૩૧)

ત્યારે શ્રીકૃષ્ણ કહે છે-કે-લોકોનો સંહાર કરનાર હું મહાકાળ છું,અત્યારે આ લોકોનો સંહાર કરવાને માટે
હું અહીં પ્રવૃત્ત થયો છું. અહીં જે યોદ્ધા ઓ ઉભા છે-તેને તુ નહિ મારે અથવા તો તુ યુદ્ધ નહિ કરે-તો પણ તે જીવંત રહેવાના નથી,આ લોકો ને તો મેં પૂર્વથી મારી જ નાંખેલા છે.
માટે હે અર્જુન,તુ માત્ર નિમિત્તરૂપે આગળ થા,ઉઠ,અને શત્રુને જીતીને યશ મેળવ. (૩૨-૩૩)

દ્રોણ,ભીષ્મ,જયદ્રથ,કર્ણ અને બીજા પરાક્રમી યોદ્ધાઓને તો મેં પ્રથમથી મારેલા જ છે,એટલે 
તું,હવે માત્ર નિમિત્ત થઈને તેમને માર. ખિન્ન થયા વિના યુદ્ધ કર,તારો વિજય નિશ્ચિત્ત છે.(૩૪)

અર્જુનને હવે શ્રીકૃષ્ણના પરમાત્મ સ્વરૂપનું ભાન થવાથી,
હવે પછી ના ૩૫ થી ૪૪ સુધીના શ્લોકમાં –અર્જુન શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે,
સાથે સાથે મિત્ર હોવાને નાતે –ભૂતકાળમાં અણસમજથી કરેલી પોતાની ભૂલોની ક્ષમા માગે છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE    
         NEXT PAGE 
          INDEX PAGE