Nov 4, 2013

ઉદ્ધવ ગીતા-3


દત્તાત્રેય તેમના ગુરુઓ વિષે આગળ કહે છે.કે-
(૧૩) હાથી-પાસેથી સ્પર્શ-સુખ (વિષય) ની લાલચ થી પોતાનો કેવી રીતે નાશ થાય છે તેનો બોધ.
હાથી ને પકડનારા એક મોટો ખાડો ખોદીને તે ખાડો ડાળી-પાંદડાં વડે ઢાંકે છે ને ઉપર એક સજીવ લાગે તેવી લાકડાની હાથણી રાખે છે.હાથી આ લાકડાની હાથણી ને સાચી સમજી તેને સ્પર્શ કરવા આવે છે અને ખાડામાં પડે છે.અને પકડાઈ જાય છે.આથી જ -શાસ્ત્રોમાં સાધક-કે સંન્યાસીએ લાકડાની ની બનાવેલી સ્ત્રીની પૂતળી ને પગ થી પણ સ્પર્શ ના કરવો તેવી આજ્ઞા આપી છે.
(૧૪) પારધી-પાસેથી –જેમ પારધી મધમાખીઓનું એકઠું કરેલ મધ લઇ જાય છે-તેમ યોગી ઉદ્યમ વગર જ
ભોગ મેળવી શકે અને ધન નો સંગ્રહ ના કરતાં તેનું દાન દેવું.તેવો બોધ લીધો.
(૧૫) હરણ-પાસેથી –શ્રવણસુખ (વિષય) ની લાલચ થી પોતાનો નાશ થાય છે તેવો બોધ.
શિકારી ના સંગીત થી મોહિત થઇ હરણ તેના તરફ દોડે છે અને જાળ માં પડી બંધાઈ જાય છે.
(૧૬) માછલી –પાસેથી-રસ-સુખ (જીભ-વિષય) ની લાલચ થી પોતાનો નાશ થાય છે તેવો બોધ લીધો.
જીભ ના સ્વાદ ની લાલચે માછલી લોઢા ના આંકડામાં રાખેલ માંસ નો ટુકડો ખાવા દોડે છે ને આંકડામાં ફસાઈ ને મૃત્યુ પામે છે. આ લૂલી (જીભ) મનુષ્યો ને બેહાલ કરે છે.

ઉપર પ્રમાણે ટૂંકમાં પાંચ વિષયો ની કથા કહી છે તેમ પણ કહી શકાય.
--આંખ નો વિષય છે-રૂપ. રૂપ (અગ્નિ) ના સુખ ની ઈચ્છા થી પતંગિયા નો નાશ થાય છે.
--નાક નો વિષય છે –ગંધ, ગંધ (કમળ ની સુગંધ) ની ઈચ્છા થી ભ્રમર નો નાશ થાય છે.
--ચામડી નો વિષય છે-સ્પર્શ. સ્પર્શ ની ઈચ્છા થી હાથી નો નાશ થાય છે.
--કાન નો વિષય છે શ્રવણ. શ્રવણ ની ઈચ્છા થી હરણ નો નાશ થાય છે.
--જીભ નો વિષય છે રસ. રસ ની ઈચ્છા થી માછલી નો નાશ થાય છે.

આ પ્રમાણે ઉપરનાં પ્રાણીઓ માત્ર એક જ વિષય ને ભોગવવા જાય છે અને તેમનો નાશ થાય છે તો-
મનુષ્ય માં તો પાંચે વિષયો ભોગવવાની શક્તિ છે.અને જો તે પાંચે ય વિષયોને ભોગવે તો-
તેના શું હાલ થાય તે વિષે કાંઇક પણ કહેવાની જરૂર નથી.

દત્તાત્રેય કહે છે કે-રાજા તને વધુ શું કહું?મેં તો વેશ્યા ને પણ મારી ગુરૂ બનાવી છે.
રાજા કહે છે કે-વેશ્યા પણ તમારી ગુરૂ? તે કેવી રીતે સંભવે? તેની કથા કહો.
(૧૭) વેશ્યા-પાસે થી કામસુખમાં શાંતિ નથી અને કામસુખ ભોગવવાની ઈચ્છા તે મોટામાં મોટું દુઃખ છે તે બોધ લીધો.
પિંગલા નામે એક વેશ્યા હતી.કોઈ એક ધનવાન હજુ આવી ચડે તો મને પૈસા મળે –તેવી આશા થી તે જાગરણ કરે છે.તેવા માં તેના મન માં વિચાર આવે છે કે-કામી મનુષ્યની આશા રાખી હું જાગું છું તેના કરતાં પ્રભુ માટે હું જાગી હોત-તેમની આશા રાખી હોત  તો મને પ્રભુ મળત,મારો બેડો પાર થાત.
હવે તુચ્છ પુરુષો ને રીઝવવાનો નહિ પણ પરમાત્મા ને રીઝવવાનો પ્રયત્ન કરીશ. કાળ રૂપી સર્પ નો કોળિયો બનેલા આ જીવ નું રક્ષણ કરનાર પરમાત્મા સિવાય બીજો કોઈ સમર્થ નથી.
તે રાત્રિ એ જાર પુરુષો ની આશા ત્યજી ને તે પિંગલા શાંતિ થી સૂઈ ગઈ.
આ દુનિયા માં આશા એ પરમ દુઃખ છે અને કોઈ સુખ ની આશા  ના રાખવી (નિર-આશા) તે પરમ સુખ છે.

આ આશા ની બેડી મનુષ્ય ને કેટલી હદ સુધી જકડાવી રાખે છે તેનું વર્ણન કરતાં શંકરાચાર્ય કહે છે-કે-

શરીર ગળી ગયું છે,માથે પળિયાં આવ્યા છે,મોઢું દાંત વગરનું થઇ ગયું છે,વૃદ્ધાવસ્થા ને કારણે લાકડી લઇ ચાલવું પડે છે,તેમ છતાં ડોસો આશા નો લોચો છોડતો નથી.
આ ડોસાની  જેમ,ના કરતાં સર્વ છોડી ને શ્રી ગોવિંદ ને ભજવા લાગી જજો.(ભજ ગોવિન્દમ-સ્તોત્ર)


 1
 2
4
5
  6
  7
 Next