Nov 4, 2013

ઉદ્ધવ ગીતા-6


તે પછી ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું અને ચારેય આશ્રમો ના ધર્મો સમજાવ્યા.
ઉદ્ધવજી પ્રશ્નો પૂછે છે અને શ્રીકૃષ્ણ જવાબ આપે છે.
શમ એટલે શું ? બુદ્ધિ ને પરમાત્મા માં સ્થાપવી તે શમ છે.
દમ એટલે શું? ઇન્દ્રિયો ને વશ કરવી તે દમ છે.
દાન કોને કહેવાય ? કોઈ પણ પ્રાણી નો દ્રોહ ના કરવો તે શ્રેષ્ઠ દાન છે.
આ જગતમાં જે કાંઇ દેખાય છે તે પરમાત્મા ના આધારે છે,તેવો ભાવ રાખી કોઈની સાથે દ્રોહ ના કરવો.જગતના કોઈ જીવ ને હલકો ગણવો નહિ કે તેની પ્રત્યે કુભાવ રાખવો નહિ.પ્રત્યેક ને સદભાવ અને સમભાવ થી જોવા તે મોટામાં મોટું દાન છે.
તપ કોને કહેવાય? સર્વ કામનાઓનો ત્યાગ એ તપ છે.
શૌર્ય કોને કહેવાય? વાસનાને જીતવી તે શૌર્ય છે.સ્વભાવ પર વિજય મેળવવો તે શૌર્ય છે.
સત્ય કોને કહેવાય? બ્રહ્મ નો વિચાર કરવો તે સત્ય છે.
સાચું ધન કયું? ધર્મ (સ્વ-ધર્મ) એ જ મનુષ્ય નું ઉત્તમ ધન છે.
લાભ કયો? પરમાત્મા ની ભક્તિ મળવી તે ઉત્તમ લાભ છે.
પંડિત કોણ? બંધન અને મોક્ષ નું તત્વ જાણે તે પંડિત.જ્ઞાન પ્રમાણે ક્રિયા કરે તે સાચો જ્ઞાની-પંડિત.
મૂર્ખ કોણ? શરીર ને જે આત્મા માને છે તે મૂર્ખ છે.ઇન્દ્રિય સુખ માં ફસાયેલો તે અજ્ઞાની મૂર્ખ છે.
ધનવાન કોણ? ગુણો થી સંપન્ન અને સંતોષી -તે ધનવાન.
દરિદ્ર કોણ? જે અસંતોષી છે –તે ગરીબ છે. જે મળ્યું છે તે જેને ઓછું લાગે છે ગરીબ છે.
જીવ કોણ? માયા ને આધીન થયો છે તે જીવ.સંસાર ના વિષયોમાં ફસાયેલો અને ઇન્દ્રિયો નો ગુલામ છે તે.
વીર કોણ? અંદર ના શત્રુઓ (વિષયો) ને મારે તે વીર.
સ્વર્ગ શું અને નર્ક શું?  અભિમાન મારે અને સત્વગુણ વધે,પરોપકાર ની ઈચ્છા થાય,તો સમજવું કે –
તે સ્વર્ગ માં છે.આળસ,નિંદ્રા ને ભોગ માં સમય જાય તો સમજવું કે તે નર્ક માં છે.

શ્રીકૃષ્ણ કહે છે –કે-હે ઉદ્ધવ,મનુષ્યો નું કલ્યાણ કરવાના હેતુથી મેં ત્રણ ઉપાયો (માર્ગો) કહ્યા છે.
(૧) જ્ઞાનયોગ (૨) કર્મયોગ (૩) ભક્તિયોગ
મનુષ્ય શરીર જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત કરવાનું સાધન છે.તેથી તે શ્રેષ્ઠ છે.સર્વ ફળો નું મૂળ છે.
કરોડો ઉપાયો થી પામવું અશક્ય એવું શરીર દૈવ-યોગે મળ્યું છે.
છતાં જે મનુષ્ય આ માનવ-દેહ રૂપી નૌકા પામીને પણ ભવસાગર તરવાનો પ્રયત્ન ના કરે તે
પોતે જ પોતાનો નાશ કરનારો છે.તે આત્મ-હત્યારો છે.

હે ઉદ્ધવ,આ અખિલ વિશ્વ માં હું (ઈશ્વર) સર્વવ્યાપી તરીકે રહેલો છું,એવી ભાવના કરજે અને રાખજે.
ભક્તિથી એ પ્રમાણે સર્વ ના આત્મા-રૂપ મારું દર્શન થતાં મનુષ્ય ના અહંકાર ની ગાંઠ છૂટી જાય છે.
એના સર્વ સંશયો છેદાઈ જાય છે અને સર્વ કર્મો પણ નાશ પામે છે.

તે પછી ઉદ્ધવ ને આજ્ઞા કરી છે કે-જગતમાં કોઈ વખાણ કરે તો રાજી થઇશ નહિ અને નિંદા કરે તો
નારાજ થઇશ નહિ.નિંદા ને સ્તુતિ ને સમાન ગણજે. મન ને શાંત રાખજે.
તારે પણ કોઈ ની સ્તુતિ કે નિંદા કરવી નહિ. સૂર્યનારાયણ ને આ બાબતમાં ગુરૂ કરજે.
તેઓ જાણે છે કે-સજજન કોણ છે?અને દુર્જન કોણ છે?પણ મોઢેથી કશું બોલતા નથી.
તેમ તું પણ મોઢે થી કશું બોલીશ નહિ.

પછી ઉદ્ધવ ને ભિક્ષુ-ગીતા નો ઉપદેશ કર્યો. સંસાર મનથી ઉત્પન્ન થાય છે.મન ની કલ્પના થી જ મન ને સુખ-દુઃખ થાય છે.નિંદ્રા માં જેવું મન થાય તેવું જાગૃતિ માં રહે તો –મુક્તિ છે.
ભિક્ષુ એ ગાયું-કે-
મનુષ્ય ને ધન મેળવવામાં,મેળવેલું ધન વધારવામાં,મેળવેલું ધન વાપરવામાં,ધન નું રક્ષણ કરવામાં-
વગેરેમાં પરિશ્રમ,ત્રાસ,ચિંતા વગેરે થાય છે,તેમ છતાં લોકો ધન ની પાછળ જ પડે છે,
ધન દરેક રીતે મનુષ્ય ને ત્રાસ આપે છે છતાં મનુષ્ય ને વિવેક નથી.

રાજા પુરુરવા અને ઉર્વશી ના દૃષ્ટાંત દ્વારા સ્ત્રીના સતત સંગ થી મનુષ્ય ની કેવી દશા થાય છે તે બતાવ્યું.
દુષ્ટો ની સંગતિ થી માણસ ની અધોગતિ અને સત્સંગ થી માણસ ની ઉર્ધ્વગતિ થાય છે-તે બતાવ્યું.

ઐલગીતામાં આ દેહ કોનો છે?વગેરે ચર્ચા કરી. આ દેહ માંસ,હાડકાં થી ભરેલો અને દુર્ગંધ યુક્ત છે.
આવા દેહ ના સુખમાં રચ્યો પચ્યો રહેતો મનુષ્ય કીડા કરતાં પણ હલકો છે.


 1
 2
 3
4
5
  6
  7
 Next