Dec 14, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-11-Vishvrup Darshan Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-11-વિશ્વરૂપ-દર્શન-યોગ




અર્જુન કહે હે : ભગવાન ! મારા પર કૃપા કરવા આપે અધ્યાત્મ તત્વનો અતિ ગુહ્ય તથા 
ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો તેનાથી મારા સર્વ મોહનો લોપ થયો છે.(૧)


હે કમળ નયન ! આપની પાસેથી મેં ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારથી સાંભળ્યા છે 
તથા આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે.(૨)


હે પરમેશ્વર ! આપના સ્વરૂપનું જેવું આપે વર્ણન કર્યું છે તે યથાર્થ જ છે.
પરંતુ હે પુરુષોત્તમ !હું આપનું ઈશ્વરી રૂપ જોવા ઈચ્છું છું.(૩)


હે પ્રભો ! તે સ્વરૂપ મારાથી જોઈ શકાય તેમ હોય, એમ આપ માનતા હો તો 
હે યોગેશ્વર ! તે અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો.(૪) 


શ્રી ભગવાન બોલ્યા : હે પાર્થ ! અનેક પ્રકારનાં, અનેક વર્ણ અને અનેક આકાર નાં 
મારા સેંકડો અને હજારો નાના પ્રકાર નાં દિવ્ય રૂપોને નિહાળ.(૫) 


હે ભારત ! આદિત્યોને, વસુઓને, રુદ્રોને, અશ્વિનીકુમાંરોને તથા મરુતોને તું નિહાળ 
વળી પૂર્વે ન જોયેલંl એવા ઘણા આશ્વર્યોને તું જો.(૬)  


હે ગુડાકેશ ! અહી મારા દેહમાં એકજ સ્થળે રહેલા સ્થાવર-જંગમ સહિત સમગ્ર જગતને આજે તું જો.
અને બીજું જે કંઈ જોવા ઈચ્છતો હોય તે પણ જો.(૭)


પરંતુ તારાં આ ચર્મચક્ષુ વડે તું મને નિહાળી શકીશ નહિ.
તે માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપુછું ,મારા અલૈlકિક સામર્થ્યને તું જો.(૮)


સંજય કહે : હે રાજન ! મહાયોગેશ્વર નારાયણે એ પ્રમાણે અર્જુનને કહ્યું.
પછી તેને પોતાનું દિવ્ય પરમ ઐશ્વર્યરૂપ વિરાટ સ્વરૂપ બતાવ્યું.(૯)


અનેક મુખ તથા આંખોવાળું, અનેક અદભુત દર્શનવાળું, અનેક દિવ્ય આભુષણવાળું
અને અનેક ઉગામેલા દિવ્ય આયુધોવાળું એ સ્વરૂપ હતું.(૧૦)


દિવ્ય-માળા અને વસ્ત્રો ધારણ કરેલું, દિવ્ય સુગંધી દ્રવ્યોથી લેપન કરેલું,
સર્વ આશ્વર્યમય પ્રકાશરૂપ,અનંત અને સર્વ બાજુ મુખ વાળું તે સ્વરૂપ અર્જુને જોયું.(૧૧)  


આકાશમાં એક સાથે હજારો સૂર્યોનું તેજ પ્રકાશી ઊઠે તો પણ 
તે વિશ્વસ્વરૂપ પરમાત્માના તેજની તોલે કદાચ જ આવે.(૧૨) 


તે સમયે અર્જુને દેવાધિદેવ શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં અનેક વિભાગોમાં વિભક્ત થયેલું 
સર્વ જગત સ્થિત થયેલું જોયું.(૧૩)


ત્યાર પછી આશ્વર્યચકિત અને રોમાંચિત થયેલો ધનંજય ભગવાન શ્રી હરિને પ્રણામ કરી,
બે હાથ જોડી કહેવા લાગ્યો.(૧૪)  


અર્જુન બોલ્યો : હે ભગવાન ! આપના દેહમાં હું સર્વ દેવોને, ભિન્ન ભિન્ન ભૂતોના સમુદાયને, કમળ પર બિરાજમાન  સર્વના નિયંતા બ્રહ્માજીને, 
સર્વ ઋષિઓને તેમજ દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.(૧૫)  


હે વિશ્વેશ્વર ! હે વિશ્વરૂપ ! આપના અગણિત બાહુ, ઉદરો, મુખો અને નેત્રો દેખાઈ રહ્યા છે.
એથી સર્વ બાજુ હું આપને અનંત રૂપવાળા જોઉં છું, 
વળી આપનો આદિ, મધ્ય કે અંત ક્યાંય દેખાતો નથી.(૧૬)  


હે પરમેશ્વર ! મુકુટ યુક્ત, હસ્તમાં ગદા અને ચક્ર ધારણ કરેલા, તેજ ના સમૂહ રૂપ સર્વ બાજુથી
પ્રકાશિત, મુશ્કેલીથી નિહાળી શકાય તેવા, પ્રજ્જવલિત અગ્નિ તથા સૂર્યની ક્રાંતિ સમાન, નિશ્વિત કરવાને અશક્ય એવા આપને હું સર્વ તરફથી નિહાળી રહ્યો છું.(૧૭)     


હે પરમેશ્વર ! આપ જાણવા યોગ્ય પરમ અક્ષર છો, આપ આ વિશ્વના પરમ આશ્રય છો. 
આપ અવિનાશી છો.આપ સનાતન ધર્મ ના રક્ષક છો. આપ પુરાણપુરુષ છો એમ હું માનું છું.(૧૮)


હે વિભુ ! આપનો આદિ, મધ્ય કે અંત નથી, આપ અનંત શક્તિવાળા, અનંત બાહુ વાળા,
ચંદ્રસૂર્યરૂપી નેત્રોવાળા, મુખમાં પ્રજ્જવલિત અગ્નિવાળા, 
પોતાના પરમ તેજથી વિશ્વને તપાવનારા આપને હું જોઈ રહ્યો છું.(૧૯)        


હે મહાત્મન ! આપ એકલા એ  જ આકાશ અને પૃથ્વીનું સઘળું અંતર વ્યાપ્ત કર્યું છે. 
તથા સર્વ દિશાઓ  આપનાથી વ્યાપ્ત દેખાય છે. આપના અદભુત અને 
અતિ ઉગ્રરૂપને જોઇને ત્રણેલોક  અત્યંત ભયભીત બની ગયંl   છે.(૨૦)


આ દેવોનો સમૂહ આપનામાં જ પ્રવેશે છે.કેટલાક ભયભીત થઈને બે હાથ જોડી 
આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ્ધોનો સમૂહ ” કલ્યાણ થાઓ ” એમ બોલીને પરિપૂર્ણ અર્થ બોધ કરનારા સ્તુતિ વચનો વડે આપની સ્તુતિ કરે છે.(૨૧)


હે વિભુ ! રુદ્ર, આદિત્યો, વસુઓ, સાધ્ય દેવો, વિશ્વદેવો, અશ્વિનીકુમારો,મરુતો, પિતૃઓ, 
ગંધર્વ, યક્ષ, અસુર,સિદ્ધોનો સમૂહ વગેરે સર્વ વિસ્મ્સ્ય થયેલા આપને જોઈ રહ્યા છે.(૨૨)


હે મહાબાહો ! બહુ મુખ તથા નેત્રવાળા, ઘણા હાથ -પગવાળા, ઘણા ઉદર વાળા, 
ઘણી વિકરાળ દાઢોવાળા આપના આ વિશાળ રૂપને જોઇને લોકો ભય પામી રહ્યા છે 
તેમજ હું પણ વ્યથિત થઇ રહ્યો છું.(૨૩)   


હે વિષ્ણુ ! આકાશને સ્પર્શ કરતા, પ્રજ્જવલિત અનેક વર્ણવાળા, ઉઘાડા મુખવાળા, વિશાળ 
તેજસ્વી આંખોવાળા આપને નિહાળી ને નિશ્વય થી મારો અંતરાત્મા વ્યાકુળ થઇ રહ્યો છે. 
આથી મારું મન  ધીરજ ન ધરવા થી હું શાંતિ ને પામી શકતો નથી.(૨૪)     


હે દેવેશ ! આપની વિકરાળ દાઢોવાળા, પ્રલયકાળ ના અગ્નિ સમાન આપના મુખો જોઈને 
હું દિશાઓને પણ સમજી શકતો નથી તથા મને સુખ મળતું નથી. 
હે જગનિવાસ ! આપ મારા પર પ્રસન્ન થાઓ.(૨૫)


હે વિભો ! રાજાઓના સમૂહ સહિત ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો આપનામાં પ્રવેશ કરી રહ્યા છે.
ભીષ્મ, દ્રોણાચાર્ય, સુતપુત્ર કર્ણ, અને અમારા સંબંધરૂપ અનેક પ્રમુખ યોદ્ધાઓ.(૨૬)


વિકરાળ દાઢોવાળા આપના ભયાનક મુખોમાં વેગપૂર્વક પ્રવેશી રહ્યા છે. 
કેટલાક યોદ્ધાઓ ચૂર્ણ થયેલાં મસ્તકો સહિત આપના દાંતોની વચ્ચે વળગેલા છે.(૨૭)


જેમ નદીઓના ઘણા જળપ્રવાહો સાગર તરફ વહેતાં વહેતાં સાગરમાં સમાઈ જાય છે,
તેમ આ લોક નાયકો આપના પ્રકાશમાન મુખોમાં પ્રવેશ કરે છે.(૨૮)


જેમ પ્રજ્જવલિત અગ્નિમાં નાશ પામવા માટે પતંગિયાં વેગપૂર્વક પ્રવેશ કરી જાય છે,
તેમ આ સર્વ લોકો પણ અત્યંત વેગવાળા થઈને નાશ પામવા માટે જ 
આપના પ્રજ્જવલિત મુખમાં પ્રવેશ કરતા જાય છે.(૨૯)


હે વિષ્ણુ ! આપના પ્રજ્જવલિત મુખો વડે સમગ્ર લોકોને ગળી જવાના હો તેમ 
આપ ચારે બાજુથી ચાટી રહ્યા છો.આપનું અતિ ઉગ્ર તેજ સંપૂર્ણ જગતને સંતાપી રહ્યું છે.(૩૦)


હે દેવશ્રેષ્ઠ ! આવા અતિ ઉગ્ર સ્વરૂપવાળા આપ કોણ છો ! આપ પ્રસન્ન થાઓ. 
હું આપને નમસ્કાર કરું છું.સર્વના આદ્ય રૂપ આપને હું જાણવાની ઈચ્છા રાખું છું.
કેમકે આપની ગુઢ ચેષ્ટાઓને હું જાણતો નથી.(૩૧)


શ્રી ભગવાન બોલ્યા : લોકોનો સંહાર કરનારો, અત્યંત વૃદ્ધિ પામેલો મહાન કાળ હું છું,
હાલ આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત થયો છું, પ્રતિપક્ષીઓની સેનામાં જે યોદ્ધાઓ ઉભા છે
તે તારા વગર પણ જીવંત રહેવાના નથી.(૩૨)   


હે સર્વસાચિ  ! માટે તું યુદ્ધ કરવા ઉભો થઇ જા. શત્રુઓને જીતીને યશ મેળવ અને 
ઐશ્વર્યસંપન્ન રાજ્ય ભોગવ.
તારા આ શત્રુઓ ખરેખર તો મેં પહેલેથી જ મારી નાખ્યા છે. તું કેવળ નિમિત્તરૂપ બન.(૩૩)


દ્રોણને તથા ભીષ્મને, જયદ્રથને તથા કર્ણને અને બીજા મહારથી યોદ્ધાઓને મેં હણેલા જ છે 
તેમને તું હણ. ભયને લીધે તું વ્યથિત ન થા. 
હે પાર્થ ! તું યુદ્ધ કર.રણમાં દુશ્મનો પર તું અવશ્ય વિજય મેળવીશ.(૩૪)  


સંજય કહે : ભગવાન કેશવના આ વચનો સાંભળી, બે હાથ જોડી, સંભ્રમથી કંપતો, 
મનમાં અત્યંત ભયભીત થતો અર્જુન નમસ્કાર કરી અત્યંત નમ્ર અને ગદ્દ ગદ્દ કંઠે ફરીથી
ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો.(૩૫)  


અર્જુન કહે : હે ઋષિકેશ ! આપના શ્રવણ અને કીર્તનથી જગત હર્ષ પામે છે અને 
અનુરાગ પામે છે.રાક્ષસો ભય પામીને સર્વ દિશાઓમાં નાસે છે અને 
બધા સિદ્ધો ના સમૂહ આપને નમસ્કાર કરે છે તે યોગ્ય છે.(૩૬)


હે મહાત્મન ! હે અનંત ! હે દેવેશ ! હે જગનિવાસ  ! બ્રહ્મના પણ આપ ગુરુરૂપ છો.
આદિકર્તા તે સર્વ આપને શા માટે નમસ્કાર ન કરે ?
આપ સત્ છો, આપ અસત્ છો. આપ તેનાથી ય પર છો. અક્ષર બ્રહ્મ પણ આપ જ છો.(૩૭)


હે અનંતરૂપ ! હે આદિદેવ ! આપ જ પુરાણપુરુષ  છો.આપ આ વિશ્વના લયસ્થાન રૂપ છો.
આપ જ્ઞાતા છો, અને જ્ઞેય છો અને આપ જ પરમ ધામ છો.(૩૮)


વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, કશ્ય પાદિ પ્રજાપતિ અને બ્રહ્મદેવના જનક પણ આપ જ છો.
આપને હજારો વાર નમસ્કાર હો.અને વારંવાર નમસ્કાર હો.(૩૯)


હે સર્વરૂપ પરમેશ્વર ! આપને સામેથી, પાછળથી, સર્વ તરફથી નમસ્કાર હો.
આપના બળ અને પરાક્રમ અપાર છે. આપનાથી  આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે.
તો પછી આપ જ સર્વ સ્વરૂપ છો.(૪૦)


હે વિભુ ! આપના આ મહિમાને ન જાણનારા મેં, આપ મારા મિત્ર છો 
એમ માની ને ચિત્તની ચંચળતાથી અથવા પ્રેમવશ 
હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખા ! એ પ્રમાણે હઠપૂર્વક જે કંઈ કહ્યું હોય તે સર્વ પાપ મને ક્ષમા કરો.(૪૧)


હે અચુય્ત ! પરિહાસથી, વિહારમાં, સૂતાં, બેસતાં, ખાતાં-પીતાં, એકલા અથવા 
કદાચિત મિત્રોની સમક્ષ વિનોદાર્થે મેં આપનું જે કંઈ અપમાન કર્યું હોય 
તે બધા માટે અચિંત્ય પ્રભાવવાળા આપ મને ક્ષમા કરો.(૪૧)


હે અનુપમ પ્રભાવ વાળા ! આપ આ ચરાચર જગત ના પિતા છો, પૂજ્ય પરમગુરુ છો. 
અધિક ગૌરવ વાળા છો. ત્રણે લોકમાં આપના સમાન બીજો કોઈ નથી.
તો આપના થી અધિક તો ક્યાંથી હોય ? (૪૩)


એટલા માટે હે ભગવન્  ! હું સાષ્ટાંગ પ્રણામ કરી ને સ્તુતિ કરવા યોગ્ય અને સમર્થ એવા 
આપને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરું છું.જેમ પિતા પુત્રના અપરાધ, મિત્ર મિત્રના અપરાધ 
અને પુરુષ પોતાની પ્રિયાના અપરાધ સહન કરે છે, 
તેમ આપ મારા અપરાધ સહન કરવા યોગ્ય છો.(૪૪)   


હે દેવેશ ! હે જગ નિવાસ ! પહેલાં કદી ન જોયેલાં એવા આપના દિવ્ય વિશ્વરૂપને જોઈને 
મને હર્ષ થયો છે અને ભયથી મારું ચિત્ત અતિ વ્યાકુળ થયું છે. માટે 
હે દેવ આપ પ્રસન્ન થાઓ અને મને આપનું પહેલાં નું મનુષ્ય સ્વરૂપ દેખાડો.(૪૫)


હે હજારભુજાવાળા ! હે વિશ્વમૂર્તિ  ! આપને મુકુટધારી, હાથમાં ગદા- ચક્ર  ધારણ કરેલા જોવાની 
મારી ઈચ્છા છે.  માટે આપ પહેલાં ની જેમ ચતુર્ભુજ સ્વરૂપ વાળા થવાની કૃપા કરો.(૪૬)


શ્રી ભગવાન કહે : હે અર્જુન ! તારા  પર  પ્રસન્ન થઈને  મેં મારા આત્મયોગના સામર્થ્ય થી તને 
મારું આ પરમ તેજોમય, સમસ્ત, વિશ્વરૂપ , અનંત, અનાદિ એવું આ શ્રેષ્ઠરૂપ દેખાડ્યું છે.
મારું આ રૂપ પહેલાં કોઈએ નિહાળ્યું નથી .(૪૭)


હે કુરુશ્રેષ્ઠ ! વેદોના તથા યજ્ઞોના પ્રભાવથી, દાન વડે, ક્રિયા કર્મ વડે  અથવા ઉગ્ર તપસ્યા વડે 
મારું આ વિશ્વરૂપ આ મનુષ્યલોકમાં કોઈને મેં કદી પણ દેખાડ્યું નથી.
કેવળ તું જ આ સ્વરૂપ જોઈ શક્યો.(૪૮)


મારા આ પ્રકારના આ ધોર સ્વરૂપને જોઈને તું વ્યથિત ન થા.અને વ્યાકુળ પણ ન થા.
તું ફરી ભય રહિત અને પ્રસન્ન ચિત્તવાળો થઈને મારું પહેલાંનું જ ચતુર્ભુજ સ્વરૂપ નીહાળ.(૪૯)


સંજય કહે : આમ વાસુદેવ પોતાના પરમ ભક્ત અર્જુનને આ પ્રમાણે કહીને
ફરી પોતાનું પૂર્વે હતું તે શરીર ધારણ કરી બતાવ્યું.
આમ સૌમ્ય દેહવાળા ભગવાને પોતાના ભય પામેલા ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું.(૫૦)


અર્જુન કહે : હે જનાર્દન ! આપના આ સૌમ્ય મનુષ્યરૂપ ને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું 
તથા મારું મન પહેલાં જેવું સ્વસ્થ બની ગયું છે.(૫૧)


શ્રી ભગવાન કહે : મારું જે  વિરાટ સ્વરૂપ તેં હમણાં જોયું તે રૂપ જોવાનું અત્યંત દુર્લભ છે. 
દેવો પણ નિરંતર આ રૂપનાં દર્શન કરવાની ઈચ્છા રાખે છે.(૫૨)


તેં જે સ્વરૂપ વાળો હમણાં મને  જોયો તે સ્વરૂપવાળો હું વેદ્શાસ્ત્રના અધ્યયનથી, 
ચન્દ્રાયણાદિ તાપથી, દાનથી અને યજ્ઞો થી પણ શક્ય નથી.(૫૩)  


હે પરંતપ ! હે અર્જુન ! મારા વિશ્વરૂપને ખરેખર જાણવાનું, જોવાનું અને તદ્રુપ થવાનું
એક માત્ર સાધન કેવળ અનન્ય ભક્તિ જ છે.(૫૪)


હે પાંડવ ! મને જે પ્રાપ્ત કરવાના ઉદેશથી કર્મ કરનાર, મને જ સર્વસ્વ માનનાર, ઉપાધિરહિત અને 
સર્વ ભૂતોમાં જે વેર રહિત છે તે જ મારો ભક્ત છે.અને તે જ મને પામે છે.(૫૫)  

અધ્યાય-૧૧-વિશ્વરૂપ-દર્શન-યોગ-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE