Jul 28, 2021

Gujarati-Ramayan-Rahasya-27-ગુજરાતી-રામાયણ-રહસ્ય-27

જપ વિના જીવન સુધરતું નથી,જીભ સુધરતી નથી,મન સુધરતું નથી.જપ વિના વાસનાઓ ટળતી નથી,જપ વિના સંયમની સાધના થતી નથી,જપ વિના પાપ છૂટતું નથી,જપ વિના બળની પ્રાપ્તિ થતી નથી,સુખશાંતિની પ્રાપ્તિ થતી નથી,”આપ”(ખુદ)ની પ્રાપ્તિ થતી નથી.
આજે આપણે ‘આપ’ ને (ખુદને) ખોઈ બેઠા છીએ.ને વાસના અને કામનાના કેદી બની તે જેમ નચાવે તેમ નાચ્યા કરીએ છીએ.સતત જપ કરવાથી જ ‘આપ’ (ખુદ) ની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય,મનુષ્ય બને છે.નહિતર જે મનનો દાસ છે તે મનુષ્ય દાનવ જેવો છે.મનનો ધણી થાય ત્યારે મનુષ્ય મનુષ્ય બને છે.

શાસ્ત્રકારોએ રોજના ૨૧૦૦૦ જપ કરવાનું કહ્યું છે,કારણકે મનુષ્ય એક દિવસમાં ૨૧૬૦૦ વાર
શ્વાસ લે છે અને છોડે છે. આ જીવ પરમાત્માથી છુટો (વિખુટો)પડ્યો છે અને
જેમ ગાયથી વાછરડું છુટું પડી જાય અને વાછરડું હંભા-હંભા કરીને ભાંભર્યા કરે છે,
તેમ જીવ પણ હર શ્વાસોશ્વાસ દ્વારા પરમાત્માને પોકારે છે.જીવ અને પરમાત્મા વચ્ચે 
માયાનો પડદો આવી ગયો છે,એટલે પરમાત્મા પાસે હોવા છતાં દૂર ભાસે છે,અને જીવ પોકાર કર્યા કરે છે.

શ્વાસથી થતા ધ્વનિને યોગીઓ “સોહમ” કહે છે.અને કહે છે કે જીવ શ્વાસે શ્વાસે સોહમનો જપ
કરતો હોય છે (અજપાજપ).એટલે જીવ એક દિવસમાં ૨૧૬૦૦ સોહમના જાપ કરતો હોય છે.
સોહમ એટલે “તે હું છું” “હું પરમાત્મા છું” (સોહમને ઉલટાવવામાં આવે તો હંસ-કે હંસા થાય છે)

જ્ઞાનેશ્વરજી કહે છે કે-જેમ મીઠું અને જળ એક બીજામાં ભળી જાય છે તેમ,જપથી જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય થાય છે.(અદ્વૈત થાય છે).જપની આવી ભાવના છે,અને જપથી એ સિદ્ધ પણ થાય છે.
વિદ્યારણ્ય સ્વામી,રામદાસ સ્વામી,એકનાથ મહારાજ જેવા અનેક સંતોએ આ કલિકાલમાં પણ એ
સિદ્ધ કરી બતાવ્યું છે.કે જે વાલ્મિકીજીએ સિદ્ધ કરી બતાવ્યું હતું.

રામાયણમાં રામજી એ ભૂતમાત્ર (પ્રાણીમાત્ર)ને ઉદ્દેશીને વચન આપ્યું છે કે-
જે કોઈ એકવાર પણ મારે શરણે આવી જાય,અને “હું તારો છું” એટલા જ શબ્દો દીનભાવે ઉચ્ચારે છે 
તેને હું અભય અર્પું છું.અને તમામ ભયોથી તેનું રક્ષણ કરું છું.આ મારું દૃઢ વ્રત છે.

જીવે માત્ર “હું તારો છું” એટલી જ તકલીફ લેવાની જરૂર છે.સોદો કરવા જેવો છે,કોઈ જ ખોટનો ધંધો નથી.
ખોવાનું માત્ર ‘હું” (અહમ) છે,પણ મેળવવાનું એટલું બધું છે કે જેનો પાર સમાય નહિ.
પણ મનુષ્ય પોતાની બુદ્ધિનો બહુ ફાંકો રાખે છે.જો કે તે ખરેખરો બુદ્ધિશાળી ત્યારે ગણાય કે,જયારે આ સોદો પાર પડે.ભારતના સંતોએ આ કરી બતાડ્યું છે,એટલે તો ભારતની ભૂમિ એ આધ્યાત્મિક ભૂમિ છે.

નોકરી શોધનારો મનુષ્ય એવી નોકરી, એવો શેઠ શોધે છે કે જે માયાળુ હોય,ઉદાર હોય,લાગણીવાળો હોય.
પણ એવા લાખો શેઠ કરતાંયે ચઢી જય એવા સર્વ સદગુણો નો ભંડાર શ્રીરામની નોકરી કોઈ સ્વીકારતું નથી.હનુમાનજીએ તે નોકરી સ્વીકારી અને અમર થઇ ગયા.
આ શેઠ (શ્રીરામ) તો એવો છે કે-જે સેવકો તેને યાદ કરે તેના કરતાં વધારે તે ખુદ સેવકોને યાદ કરે છે.

ભગવાન કહે છે કે-મારું જેઓ નિત્ય ધ્યાન કરે છે,તેમનું દિવસ અને રાત હું ધ્યાન કરું છું,મારા ભક્તો
જ્યાં ઉભા રહે,જ્યાં તેમનાં ચરણ ધુએ,તે સ્થળ ને હું મહાતીર્થ સમજુ છું.

દુનિયા માં આટઆટલી ફેક્ટરીઓ,ઓફિસોની નોકરીઓમાં સેવક (નોકરી કરનાર)ના ચરણ રજને
તીર્થ માનનારો માલિક કોઈ જડશે નહિ!!!!!!
ભાગવતમાં પણ ભગવાને કહ્યું છે કે-મારા પ્રેમમાં વિહ્વળ બનેલા ભક્તો જયારે ચાલતા હોય છે ત્યારે તેમની પાછળ પાછળ હું પણ પ્રેમ-વિહ્વળ થઇને ભમું છું,એવી આશાથી કે તેમનાં પવિત્ર ચરણોની રજ મને પાવન કરે.જેનું નામ માત્ર લેતાં જીવ પાવન થાય છે એને તો પાવન થવાનો પ્રશ્ન જ નથી!!!
પણ પરમાત્મા પોતાના ભક્તોને પોતાના અંતરમાં કેવું સ્થાન આપે છે,તે આમાં પ્રત્યક્ષ કર્યું છે.
યોગ વશિષ્ઠમાં સ્પષ્ટ કહ્યું છે કે-
જે નિત્યાનંદ-સ્વ-રૂપ છે,ચિદાત્મા છે,અને યોગીઓ જેનું નિત્ય ધ્યાન કરે છે,એ જ રામ છે,એ જ પરબ્રહ્મ છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE