Aug 2, 2021

Gujarati-Ramayan-Rahasya-31-ગુજરાતી-રામાયણ-રહસ્ય-31

અરણ્યકાંડ પછી આવે છે કિષ્કિંધાકાંડ.અરણ્યકાંડમાં વાસનાનો વિનાશ કર્યો.પછી કિષ્કિંધાકાંડમાં સુગ્રીવ-રામની મૈત્રી થાય છે.કામની દોસ્તી જ્યાં સુધી મનુષ્ય છોડે નહિ ત્યાં સુધી રામની દોસ્તી થતી નથી.સુગ્રીવ અને રામની મૈત્રીની (જીવ અને ઈશ્વરના મિલનની) કથા આ કાંડમાં છે.સુગ્રીવ એ જીવાત્મા અને રામજી એ પરમાત્મા. જીવ અને ઈશ્વરનું મિલન ત્યારે થાય કે હનુમાનજી (બ્રહ્મચર્ય) મધ્યસ્થી બને.હનુમાનજી ટેકો કરે.
હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતિક છે.સુગ્રીવ એટલે કે જેનો કંઠ (ગ્રીવા) સારો છે તે. કંઠની શોભા આભૂષણોથી નથી,પણ,બ્રહ્મચર્યથી અને રામનામથી છે.

જીવ- શિવ (ઈશ્વર)ની મૈત્રી તો જાણે પછીની વાત છે,પણ વાસનાઓનો ક્ષય ના થાય ત્યાં સુધી
ચિત્તમાં હનુમાનજી (બ્રહ્મચર્ય) પણ આવતા નથી.અને જો એકવાર હનુમાનજી પધારે તો
રામજી (ઈશ્વર) પધારે,હનુમાનજી ના આવે ત્યાં સુધી જીવનમાં પ્રભુ પધારતા નથી.
(પ્રભુની મૈત્રી શક્ય થતી નથી-એવો કહેવાનો આશય છે.)

કિષ્કિંધાકાંડ પછી આવે છે સુંદરકાંડ.જીવ અને શિવની મૈત્રી થતા જીવન સુંદર બને છે.

સુંદરકાંડની સુંદરતા એ જીવનની સુંદરતા છે.તેમાં રામભક્ત હનુમાનની કથા આવે છે.
ભાગવતમાં જેમ દશમ સ્કંધ છે તેમ રામાયણમાં સુંદર કાંડ છે.
સુંદરકાંડમાં હનુમાનજીને સીતાજીનાં દર્શન થાય છે.સીતાજી એ પરાભક્તિ છે.
જેનું જીવન સુંદર હોય તેને જ પરાભક્તિનાં દર્શન થાય છે.

વચ્ચે અફાટ સમુદ્ર છે,એ પાર કરવાનો છે,બ્રહ્મચર્ય અને રામ-નામ ના પ્રતાપથી હનુમાનજીમાં
શક્તિ આવી છે અને તેના પ્રતાપે તે દરિયો ઓળંગી શકે છે અને પરાભક્તિના દર્શન કરી શકે છે.
સંસાર-રૂપી સમુદ્ર ઓળંગતા ને પરાભક્તિના દર્શન કરવા જતાં રસ્તામાં સુરસા રાક્ષસી ત્રાસ આપે છે.
સુરસા એટલે સારા સારા રસો. રોજ નવા નવા રસો લેનારી જીભ એ સુરસા.
સુરસા હનુમાનજીને રોકવા મથે છે.ત્યારે હનુમાનજી તેને મારે છે.
જેને સંસાર રૂપી દરિયો ઓળંગવો છે તેણે જીભને મારવી જ પડે છે,જીભને વશ કરવી જ પડે છે.

હનુમાનજી સીતાજીને અશોકવનમાં મળે છે.અશોક એટલે જ્યાં શોક નથી તે.
પરાભક્તિ જ્યાં બિરાજમાન હોય ત્યાં શોક રહી શકે નહિ.બ્રહ્મ-દૃષ્ટિ થયા પછી શોક રહેતો નથી.
પરાભક્તિથી ઈશ્વર જીવને અપનાવી લે પછી શોક કેવો?

જીવન ભક્તિમય થાય ત્યારે સુંદર બને છે.હનુમાનજી સીતાજીના દર્શન કરે છે,તે પછી લંકાને બાળે છે.
જીવન ભક્તિમય થાય,પરાશક્તિનાં (ભક્તિ મહારાણી નાં) દર્શન થાય એટલે જીવન સુંદર બને,અને
પછી રાવણની લંકા બાળવાની તાકાત (શક્તિ) આવે છે.
લંકાને ઉલટાવવામાં આવે “કાલમ” એટલેકે કાળ થાય છે.કામ ને મારી શકે તે કાળને મારી શકે.
એટલે હનુમાનજી લંકા ને બાળે છે,કાળને મારે છે,
કાળ સર્વને મારે પણ હનુમાનજી આગળ તેનું કશું ચાલતું નથી,હનુમાનજી તેને (કાળને) મારે છે.
હનુમાનજી ને પરાશક્તિનો આશ્રય છે,પરાશક્તિના દર્શન નું તે ફળ છે.


સીતાજીના સમાચાર લઇ આવી ને રામજીનું મોટું કામ હનુમાનજીએ કર્યું અને રામજીને ઋણી બનાવ્યા છે.
અને રામજી "સન્મુખ ના હો શકત મન મોરા"કહે છે.
જગતના માલિની નજર નીચી બને છે,અને "પ્રતિ ઉપકાર કરું કા તોરા" કહે છે,
તે સુંદરકાંડની ઉત્કૃષ્ટતા છે.(ક્લાઇમેક્ષ) છે.


સુંદરકાંડ પછી આવે છે લંકાકાંડ.
સુંદરકાંડમાં જીવન સુંદર બન્યું,હવે રાક્ષસોને હણવાના છે.
કામ,ક્રોધ,લોભ.મદ મત્સર-આ બધા રાક્ષસો છે.જે જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરવા રાતદિવસ પ્રયત્ન કરે છે.
એ સર્વેને હણવાના છે,જીવનમાં મનુષ્યે કરવાનો આ સહુથી મોટો પુરુષાર્થ છે,પળેપળે લડાઈ છે અને
પળેપળે તેના પર વિજય કરવાનો છે.

કુંભકર્ણ એ “પ્રમાદ” નું રૂપ છે,ઇન્દ્રજીત એ “મોહ” નું રૂપ છે,અને રાવણ “કામ” નું રૂપ છે.
જીવન માં સહુ પ્રથમ પ્રમાદ (કુંભકર્ણ)ને હણવાનો છે પછી મોહ (ઇન્દ્રજીત)ને હણવાનો છે,
મોહ હણાયા પછી જ કામ (રાવણ) હણાય છે અને પછી ભક્તિનું રૂપ પ્રગટ થાય છે.

લંકાકાંડ પછી આવે છે ઉત્તરકાંડ.
પૂર્વાર્ધ માં (યૌવન માં) કામ (રાવણ) ને મારે તેનો ઉત્તરકાંડ (ઉત્તરાવસ્થા) સુંદર બને.અને તે
અયોધ્યાનો અધિપતિ થાય. માટે જીવન સુધારવાનો પ્રયત્ન યુવાવસ્થામાં જ કરવો જોઈએ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE