Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૩૦

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

વ્યષ્ટિ ના અભિપ્રાય થી અજ્ઞાન અનેક-રૂપે ભેદ પામે છે. અને તે ગુણ થી વિલક્ષણ,અને
અનેક જાત ની અજ્ઞાન ની વૃત્તિઓ વાળું તે “વ્યષ્ટિ અજ્ઞાન” છે.
જેમ વન નાં જુદાં જુદાં વૃક્ષો,વ્યષ્ટિ ના અભિપ્રાય થી અનેક છે,અને તેમનું અનેક-પણું મનાય છે,
તેમ,વ્યષ્ટિ ના અભિપ્રાય થી અજ્ઞાન નું અનેક-પણું મનાય છે.

આ વ્યષ્ટિ-અજ્ઞાન,રજોગુણ અને તમોગુણથી વધારે મિશ્ર છે,તેમાં સત્વગુણ ના અંશો ઓછા હોય છે.
તેથી જ તે નિકૃષ્ટ એટલે હલકામાં હલકું અને અધમ છે.અને “પ્રત્યગાત્મા” ને “ઉપાધિરૂપ” છે.
આ વ્યષ્ટિ-અજ્ઞાનથી યુક્ત ચૈતન્ય –તે “પ્રત્યગાત્મા” તરીકે ઓળખાય છે.

તે બ્રહ્મના આભાસ-વાળું અને વ્યષ્ટિ-અજ્ઞાન થી ઢંકાયેલું હોય છે,વળી અજ્ઞાન ના ગુણો સાથે એકતા પામી ને પરાભવ પામે છે તેથી “જીવાત્મા” કહેવાય છે. 
અલ્પજ્ઞ-પણું,અનીશ્વર-પણું,અને સંસારી-પણું-આદિ તેના ધર્મો છે.

વ્યષ્ટિ-અજ્ઞાન તેના અહંકાર નું કારણ છે.તેથી તે જ તેનું “શરીર” છે,અને
તેમાં અભિમાન વાળા તે “આત્મા” ને વિદ્વાનો “પ્રાજ્ઞ” પણ કહે છે. (૩૧૬-૩૨૧)

આ (આત્મા) કેવળ “અજ્ઞાન” નો જ “પ્રકાશક” છે,તેથી એને “પ્રાજ્ઞ” માન્યો છે.
તેમાં વ્યષ્ટિ ની ન્યૂનતા હોવાથી,તે “અનેક અજ્ઞાન” નો “પ્રકાશક”  નથી. (૩૨૨)

આ (આત્મા) નું --“કારણ-શરીર” એ “આનંદમય-કોશ” કહેવાય છે.
જો કે તે (કારણ-શરીર) સ્વ-રૂપ ને ઢાંકી દેનાર છે,તો પણ તેનામાં આનંદ પુષ્કળ છે. (૩૨૩)

આની (શરીરની) “અવસ્થા” સુષુપ્તિ છે,જે “અવસ્થા” (સુષુપ્તિ-અવસ્થા) માં ઘણો આનંદ હોય છે.
“હું સુખે થી સૂતો હતો,અને મેં કંઈ જાણ્યું નથી,મને કશી ખબર નથી”
આ રીતે સુઈને (સુષુપ્તિમાંથી) ઉઠેલા મનુષ્યમાં એ આનંદ ની અધિકતા દેખાય છે.

જેમ વન અને વૃક્ષ-સમષ્ટિ-રૂપે અને વ્યષ્ટિ-રૂપે જુદાં છે, પરંતુ,
તેઓની જાત એક જ હોવાથી,ખરી રીતે તેઓ એક જ છે,
તેમ,ઈશ્વર અને પ્રાજ્ઞ (આત્મા) –વચ્ચે પણ અભેદ જ સમજવો,તે બનેમાં ભેદ નથી. (૩૨૪-૩૨૬)

આ બંને (આત્મા-પરમાત્મા) ની ઉપાધિ એક જ છે,અને બંને ઉપાધિ થી યુક્ત હોવાથી,
તે બંને (આત્મા-પરમાત્મા) માં ભેદ ક્યાંથી હોય?
જેમ,તરંગ અને સમુદ્ર એ બંને એક જ છે,તો તે બંને માં દેખાતાં પ્રતિબિંબો માં ભેદ કેમ હોય? (૩૨૭)

અજ્ઞાન અને તેથી યુક્ત ચિદાભાસ-એ બંને નું પણ “આધાર”,
જે “શુદ્ધ ચૈતન્ય” છે, તે તુરીય (ચોથું) કહેવાય છે. (૩૨૮)
(નોંધ-સત્વ-ગુણી,માયા-રૂપ ઉપાધિ વાળું,સમષ્ટિ અજ્ઞાન થી યુક્ત- ચૈતન્ય=પરમાત્મા,
       રજો-ગુણવાળું અને તમસ-ગુણ વાળું, વ્યષ્ટિ અજ્ઞાન થી યુક્ત-ચૈતન્ય=આત્મા)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE