Dec 10, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૦

પ્રભુ બતાવે છે કે-સહુથી ઉંચી પ્રેમ-સગાઇ (પ્રેમ-સંબંધ) છે.
એ જ પ્રેમ વશ તેમણે અર્જુનનો રથ હાંક્યો,એ જ પ્રેમથી વિદુરની ભાજી ખાધી ને શબરીનાં બોર ખાધાં.પ્રેમને વશ તેમની ઠકુરાઈ કે ઐશ્વર્યતા ભૂલી ગયા છે,અને સામાન્ય માનવીની જેમ અર્જુનનો રથ હાંકે છે,દુર્યોધનના મેવા છોડીને વિદુરની ભાજી ખાધી છે.અને મોટા સંતોને ઘેર ના જતાં શબરીને ઘેર ગયા છે.જાતિ –પાંતિના ભેદ છોડીને,એઠું-જુઠું છોડીને,શબરીના બોર ખાય છે.

શ્રીરામને પોતાના હાથે જ બોર આરોગાવી ને,શબરી તેમને આશ્રમ બતાવવા લઇ જાય છે.
આશ્રમનાં અસંખ્ય વૃક્ષો શબરીએ જાતે વાવેલાં અને ઉછેરેલાં-તે રામજીને બતાવે છે.
આશ્રમની યજ્ઞવેદી બતાવીને શબરી કહે છે કે-અહીં સ્વયં-પ્રજ્વલિત હોમાગ્નિ છે,મારા ગુરુદેવના તપના પ્રતાપે આ વેદી હજી પણ પોતાના તેજ વડે દિશાઓને પ્રકાશિત કરે છે.મારા ગુરુદેવે સ્નાન કરીને આ ભીનાં વલ્કલ વસ્ત્રો અહીં ઝાડ પર નાખેલાં છે તે હજુ પણ તેમના પ્રભાવે ભીનાં છે.અને અહીં દેવતાઓને અર્પણ કરેલાં પુષ્પો હજી પણ કરમાયા વગરનાં છે. આ જોઈ ને રામજી કહે છે કે-અહો,તપથી શું નથી થતું?

શબરીની કથા સાંભળીને જો વિચારવામાં આવે તો ઘણું બધું વિચારી શકાય તેમ છે.
પરમાત્મા તો જગતને જમાડે છે,તે શું પોતે ભૂખ્યા થતા હશે? પરમાત્મા કદી જમતા નથી,પણ તે તો 
પ્રેમના ભૂખ્યા છે.પ્રેમ પામીને તે ધરાય છે,લાખ ટકાનો થાળ ધરો પણ તેમાં ધરનારનો જો પ્રેમ નહિ હોય તો –ભગવાન તેનો સ્વીકાર નહિ કરે.એ થાળથી ભગવાન ધરાશે નહિ.
પ્રેમથી ધરાવેલાં શબરીનાં બોરથી કે વિદુરની ભાજીથી,ભગવાનને ભૂખ લાગે છે,ને તે ધરાઈ પણ જાય છે.

પરમાત્મા સર્વત્ર અને સ્વતંત્ર –હોવા છતાં,પ્રેમ-પરતંત્ર છે.
માત્ર શુદ્ધ પ્રેમ પરમાત્માને પરતંત્ર બનાવે છે.પરમાત્માને પરતંત્ર બનાવવા માટે બહુ પૈસાની કે ધનની 
જરૂર નથી,બહુ જ્ઞાનની કે ભણવાની પણ જરૂર નથી.મનુષ્ય બહુ ભણેલો હોય,તો તે ભણતર તેને શંકાશીલ 
કરી નાખે છે,પરમાત્મા છે,તેની તેને સાબિતી જોઈશે,પ્રભુ કોઈ ચમત્કાર બતાવે તો તે પ્રભુને માનશે ને 
નમસ્કાર કરશે,એવું તે કહેતો ફરશે.

તે પ્રભુને માને કે ના માને તેની પ્રભુને ક્યાં પડી છે?તેના વગર પ્રભુજીનું કંઈ અટકી પડ્યું નથી.
પહેલાં ચમત્કાર પછી નમસ્કાર એ કદાચ વ્યવહારનો (પેલા ભણેલા ભાઈનો) કાયદો હશે,પણ,
ઈશ્વરનો કાયદો જુદો છે,તે તો કહે છે કે-પહેલાં નમસ્કાર પછી ચમત્કાર.
એટલે ચમત્કાર વગર નમસ્કાર કરે તે માનવતા છે,અને ચમત્કાર પછી નમસ્કાર એ અભિમાન છે.

પ્રભુને નમસ્કાર કરતા રહેવામાં આવે તો અંતરમાં ચમત્કાર થતા રહે,એ ચમત્કાર કંઈ બહાર નથી થતો.
અને બહાર તો આખું જગત જ શું એક ચમત્કાર નથી? બી માંથી વૃક્ષ બને અને વૃક્ષમાંથી બી બને,
આ પહાડો,નદીઓ.સમુદ્ર –અરે ભલે એ ભણ્યો હોય,પણ (ખુદ) એ માનવી યે શું ચમત્કાર નથી?
જિંદગીમાં પણ વારંવાર ચમત્કારો બને છે,પણ આપણને તે સમજવાની ફુરસદ ક્યાં છે?

ચમત્કારો તે લોકો બતાવે છે જેને પ્રતિષ્ઠાનો મોહ છે,સાચા સંતો ચમત્કાર બતાવતા નથી.
જેમ,ચમત્કાર માગવો એ અભિમાન છે,એમ ચમત્કાર કરવો એ પણ અભિમાન છે.
ચમત્કારથી જે નમી પડે તે બુદ્ધિમાન નથી.જાદુ જોઈને અજ્ઞાની ભોળવાઈ પડશે,પણ જે જાણે છે 
અને 'તે જાદુ છે'- એમ જે સમજે છે- તે તો તે જાદુને ચાલાકી જ સમજશે,ને એનાથી ભોળવાઈ નહિ જાય.

ભણેલા અને કહેવાતા જ્ઞાનીઓ કહે છે કે-ભગવાન ખાતા નથી,પીતા નથી તો તેમને ભોગ ધરવાની શી જરૂર? અને જો ધરાવેલો ભોગ જો પ્રભુ જમતા હોય તો તે કેમ ઓછો થતો નથી? 
પ્રભુને ચડાવેલો ભોગ ઓછો થતો નથી એ વાત સાચી છે,પણ ઠાકોરજી જો ભોગ આરોગી જાય તો આ 
જમાનામાં કોઈ ભોગ ધરાવશે પણ નહિ!!!!

ભલે ભોગ ઓછો થતો નથી-એ સાચું છે,પણ એમ છતાં યે પ્રભુ આરોગે છે તે પણ સાચું છે.
ભગવાન આરોગે છે “સુગંધ-રૂપે, રસ-રૂપે” સુગંધનું કોઈ વજન નથી.
જેમ,ગુલાબના ફૂલનું તેની સુગંધ લેતાં પહેલા વજન કરવામાં આવે અને સુગંધ લીધા પછી 
વજન કરવામાં આવે તો તેના વજનમાં કોઈ ફરક પડશે નહિ.
તેમ,ભગવાન ભોગની વસ્તુઓમાંથી તેની સુગંધ લે છે અને તેમાંથી તેનો રસ લે છે,
ભગવાન રસ-ભોક્તા છે,અને પોતે સ્વયં “રસ-રૂપ” છે.અને રસ-રૂપે આરોગે છે.
અને એટલે જ ભોગ ઓછો થતો નથી,છતાં પ્રભુ ભોગ જમે જ છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE