Aug 18, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૨


યોગવાશિષ્ઠ ના છ પ્રકરણો માં શું છે?


૧) વૈરાગ્ય પ્રકરણ-


જ્યાં સુધી મુમુક્ષુ માં દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી તે કદાપિ મોક્ષ નો અધિકારી થઇ શકતો નથી.
અને આ વૈરાગ્ય દૃઢ કરવા માટે, બાળપણ,યૌવન,વૃદ્ધાવસ્થા,ધન,સ્ત્રી-વગેરે પદાર્થો ની નિંદા કરી ને
કાળ (સમય) ની ગતિનું વર્ણન એવા એવા રૂપકો અને દૃષ્ટાંતો દ્વારા કરવામાં આવ્યું છે કે-તેને વાંચી ને-
સંસાર ના મોહ માં ફસાયેલો  અને સંસારમાં રચ્યો પચ્યો મનુષ્ય પણ એકવાર તો મોહરહિત થાય.


૨) મુમુક્ષુ પ્રકરણ -


વાસના નો ત્યાગ એ જ મોક્ષ છે અને સંસારના પદાર્થો માં વાસના રાખવી તે  જ બંધન છે.
આ વાસના નો ત્યાગ પુરુષાર્થ થી જ સિદ્ધ થઇ શકે છે,
પ્રારબ્ધ પર વિશ્વાસ રાખી,બેસી રહેવાથી  તે સિદ્ધ થતો નથી.
જો પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તો,આ જન્મ ની આગલા જન્મ-જન્માંતર ની સર્વ મલિન વાસનાઓ નો
ત્યાગ થઇ શકે છે,અને આત્મ-જ્ઞાન-પ્રાપ્તિ ની આડે આવતાં સર્વ વિઘ્નો ને જીતી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.


૩) ઉત્પત્તિ પ્રકરણ-


મન એ સંકલ્પ-વિકલ્પ કરે છે.
આ સંસાર,સંકલ્પ ની વૃદ્ધિ થી વૃદ્ધિ પામે છે,ને સંકલ્પ ની ક્ષીણતા થી સંસાર મરી જાય છે.
એટલે મન નું સ્ફુરણ (સંકલ્પ) જ જગત ની ઉત્પત્તિ તથા સ્થિતિ નું કારણ છે.
પણ મન પાસે કોઈ સત્તા નથી,તેની સત્તા બ્રહ્મ ની (અધિષ્ઠાનની) સત્તા ને જ કારણે છે.
“હું બ્રહ્મ નથી" એવો સંકલ્પ જ્યાં સુધી મનમાં સ્થિર છે,ત્યાં સુધી બંધન છે.પણ જયારે,
“આ સર્વ દ્રશ્ય બ્રહ્મ છે,અને હું પણ બ્રહ્મ છું"એવો સંકલ્પ દૃઢ થઇ જાય પછી કોઈ બંધન ક્યાંથી રહે?


૪) સ્થિતિ પ્રકરણ-


બ્રહ્મ (પરમાત્મા) અને જીવ (આત્મા) વચ્ચે નો,  સંકલ્પ ને લીધે ઉદભવતો ભાવનામય ભેદ  એ જ
ઉત્પત્તિ તેમ જ સ્થિતિ નું પણ કારણ છે.
માટે એ સંકલ્પ-મય જગત નો ત્યાગ કરી ને સ્વ-સ્વરૂપ માં વિચરવાનું કહે છે.
સર્વ પદાર્થો માં સમ-દૃષ્ટિ થવા થી મન ની પરમ (શાંત)  સ્થિતિ ઉદ્ભવે છે.
લૌકિક અહંકાર (હું દેહ છું,મારું શરીર એ “હું" છું) નો ત્યાગ કરી પરમ પદ માં સ્થિર (સ્થિત) થવાનું કહે છે.


૫) ઉપશમ પ્રકરણ -


જ્યાં સુધી મન ની સત્તા છે,ત્યાં સુધી દુઃખ છે,મનો નિગ્રહ કરી,થયેલા મનોનાશથી  (મન ના નાશથી)
દુઃખ નો પણ નાશ થઈ જાય છે.
વાસના નો નાશ,મનોનાશ અને તત્વ-સાક્ષાત્કાર થી જ પરમપદ ની પ્રાપ્તિ થાય છે.
આ ત્રણે એક બીજાના સહચારી છે.વાસના ના નાશ થી મનનો નાશ થાય છે અને મન ના નાશ થી વાસનાનો નાશ થાય છે
એટલે કે જ્યાં સુધી વાસનાનો ક્ષય ના થાય ત્યાં સુધી મન નો નાશ થતો નથી,અને
મન નો નાશ નથાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી.
અને આ બંને નો નાશ ન થાય ત્યાં સુધી સાક્ષાત્કાર થતો નથી.


સંસાર સાથે આસક્તિ જ અનર્થો નું કારણ છે.સંસાર માં રહેવા થી દુઃખ નથી પણ સંસાર ને મન માં લાવી,
તેની સાથે મન આસક્ત થાય છે ત્યારે જ દુઃખો પેદા થાય છે,માટે મન થી સંસારની આસક્તિ નો ત્યાગ
કરવા થી બંધન છૂટી જાય છે અને આસક્તિ નો ત્યાગ એ જ મોક્ષ છે.


૬) નિર્વાણ પ્રકરણ-


શાસ્ત્રાભ્યાસ કે ગુરૂ ,એ બાહ્ય સાધનો છે,તેનાથી કંઈ પરમપદ ની પ્રાપ્તિ થતી નથી.પણ
કેવળ આપણી પોતાની અંતર- શુદ્ધિ  અને શુદ્ધ બુદ્ધિ થી જ પરમપદ પામી શકાય છે.


“મારા થી ભિન્ન કોઈ વસ્તુ નથી,આ સંસાર ચક્ર જે અનાદિ કાળ થી ચાલી રહ્યું છે,તે બ્રહ્મ થી અને મારાથી
ભિન્ન  નથી.હું શિવ-સ્વરૂપ છું,દ્રષ્ટા છું"
આવું જે જ્ઞાન છે તે જ માત્ર પરમપદ છે.બીજું કોઈ પરમપદ નથી.
અને આવા જ્ઞાનના ઉદય થયા પછી,સર્વ અહમ નો ત્યાગ થઇ જાય છે.અને શરીર વિદ્યમાન (હોવા) છતાં
પણ તેવો જ્ઞાની પુરુષ વિદેહ (કૈવલ્ય) ને પ્રાપ્ત થાય છે.


    INDEX PAGE
     NEXT PAGE