Aug 3, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-03

બચપણથી માંડીને આપણને બાહ્ય વસ્તુઓ પર જ ધ્યાન દેતાં શીખવવામાં આવ્યું છે,પણ અંદરની બાબતો પર નહિ.અને તેથી આપણે અંદરની
"યંત્ર-રચના" નું નિરીક્ષણ કરવાની શક્તિ લગભગ ખોઈ બેઠા છીએ.
મન ને જાણે કે અંદરની તરફ વાળવું,તેને બહાર જતું અટકાવવું-અને પછી-સઘળી શક્તિઓ એકાગ્ર કરી,
તેને ખુદ "મન" પર જ લગાડવી,જેથી તે પોતાના સ્વભાવને (આત્મને) જાણી શકે,તેનું પૃથક્કરણ કરી શકે.
અને આ ઘણું કઠણ કામ છે,છતાં આ વિષયમાં -"વૈજ્ઞાનિક પ્રવેશ" જેવું જો કંઈ હોય તો-
તેનો રસ્તો "આ એક જ છે"

કોઈને એમ થાય કે આવા જ્ઞાન નો ઉપયોગ શું?
તો,પહેલું એ કે - આ "જ્ઞાન' એ પોતે જ જ્ઞાનનો સર્વોત્તમ બદલો છે.અને
બીજું-તેની ઉપયોગીતા એ છે કે-તે આપણાં સર્વ "દુઃખો" હરી લેશે.

મનુષ્ય જયારે પોતાના મનનું પૃથક્કરણ કરીને કોઈક એવી વસ્તુને (આત્માને) પ્રત્યક્ષ કરશે કે-
જેનો કદી નાશ થતો નથી,ને પોતાને સ્વભાવે તે સદાને માટે શુદ્ધ અને સંપૂર્ણ છે.
ત્યારે તેને કદી શોક કે દુઃખ નહિ થાય. કારણકે સઘળાં દુઃખ નું મૂળ છે-ભય-અતૃપ્ત વાસના.
મનુષ્યને જયારે જણાશે કે-પોતે કદી મૃત્યુ પામતો નથી,એટલે પછી તેને મૃત્યુનો ભય રહેશે નહિ.
અને તેને જયારે જ્ઞાન થશે કે-પોતે પૂર્ણ છે ત્યારે તેને વ્યર્થ વાસનાઓ નહિ સતાવે.
અને આમ દુઃખનાં બન્ને કારણો નહિ રહેવાથી દુઃખ રહે શે નહિ,અને
શરીરમાં રહેવા છતાં તેને "પૂર્ણ આનંદ" (પરમાનંદ) ની પ્રાપ્તિ થશે.

જ્ઞાન મેળવવાની આ એક-માત્ર રીત છે.જેને "એકાગ્રતા" પણ કહેવામાં આવે છે.
જેમ,ખગોળવેતા તેના મનની બધી શક્તિઓને એકાગ્ર કરી,દુરબીન દ્વારા,આકાશમાં વાળે છે,ત્યારે,
તારાઓ,સૂર્ય,ચંદ્ર -વગેરે જાણે પોતાનું રહસ્ય તેમને જણાવી  દે છે.
તેમ,જયારે કોઈ મનુષ્ય પોતાના વિચારોને એકાગ્ર કરીને બોલે કે લખી શકે ત્યારે તેના કહેવાના
તાત્પર્યને વધુમાં વધુ લોકો ગ્રહણ કરી શકે છે.

મનની શક્તિઓ ને એકાગ્ર કર્યા વગર દુનિયાનું કોઈ પણ જ્ઞાન મેળવાયું નથી.
જગતને જો ધક્કો મારતાં કોઈ શીખે,અને તેને યોગ્ય રીતે આઘાત કરતાં તેણે આવડે તો-
જગત પોતાનાં રહસ્યો ખુલ્લાં કરી દેવા માટે તૈયાર છે.
અને આ આઘાત કરવાનું બળ (શક્તિ) અને વેગ આવે છે "એકાગ્રતામાંથી"
માનવ મનની શક્તિને કોઈ સીમા નથી,જેમ જેમ એ એકાગ્ર થાય છે,તેમ તેમ-
તેની શક્તિ "એક કેન્દ્ર" પર વધુને વધુ એકાગ્ર કરી શકાય છે,અને એકાગ્રતાનું "રહસ્ય" આ જ છે.

બહારની વસ્તુઓ પર મનને એકાગ્ર કરવું સહેલું છે,મન કુદરતી રીતે જ બહાર જાય છે,પણ,
આધ્યાત્મિકતા,મનોવિજ્ઞાન કે તત્વજ્ઞાનની બાબતમાં,જ્યાં "જ્ઞાતા અને જ્ઞેય" એક જ છે -ત્યાં તેમ નથી.
ત્યાં "જ્ઞાનનો વિષય" છે આંતરિક.અને મન પોતે જ વિષય (સબ્જેક્ટ) છે.
એટલે કે મન પોતે જ પોતાનો (મનનો) અભ્યાસ કરે છે.મનની એવી શક્તિને "ચિંતન" કહેવામાં આવે છે.

આપણે જયારે વિચાર કરીએ છીએ,ત્યારે આપણા મનનો એક અંશ આપણી એક બાજુએ (સાઈડમાં)  
જાણે કે-આપણા જ એક વ્યક્તિ-રૂપે  ઉભો રહે છે,અને આપણે જે વિચાર કરીએ છે તેને જુએ છે.
આ મનની શક્તિઓ ને એકાગ્ર કરીને તેના પોતાના (મન ના) તરફ જ વાળવી જોઈએ,અને ત્યારે,
જેમ, ગાઢમાં ગાઢ અંધારી જગ્યા પણ સૂર્યના વેધક કિરણો ના પ્રકાશમાં પોતાનું રહસ્ય ખુલ્લું કરી દે છે,
તેમ,એ એકાગ્ર થયેલું મન પોતાનાં જ ઊંડામાં ઊંડાં રહસ્યોનો ભેદ ઉકેલી નાખશે.

અને આ રીતે,આપણે સઘળી "માન્યતાઓ" ના "મૂળ આધાર" પાસે,કે,સત્ય-ધર્મ સુધી પહોંચી જઈશું.
"આત્મા છે કે નહિ? જિંદગી પાંચ મિનિટ ની છે કે અનંત છે? વિશ્વમાં કોઈ ઈશ્વર છે કે નહિ?"
એ બધું આપણે પોતે જ અનુભવીશું કે એ બધાનું પ્રત્યક્ષ દર્શન થશે.
"રાજયોગ" જે શીખવવા માગે છે તે આ છે.
તેના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે,કે-મનને કેવી રીતે એકાગ્ર કરવું?
ને ત્યાર પછી આપણા પોતાના મનના ઊંડામાં ઊંડા રહસ્યો ને કેવી રીતે ખોળી કાઢવા? અને
તેના પરથી તે બધા વિષયો (સબ્જેક્ટ) પરથી સામાન્ય નિયમ તારવીને નિર્ણય કેવી રીતે બાંધવા?

"રાજયોગ" એ પ્રશ્ન કદી પૂછતો  નથી કે-કે -"તમારો ધર્મ શો છે?કે તમે આસ્તિક છો કે નાસ્તિક છો?"
એને માટે તો આપણે સર્વ "મનુષ્યો" છીએ એટલું જ બસ છે.
દરેક મનુષ્યમાં "સત્ય" (ધર્મ) ની શોધ કરવાની શક્તિ છે,અને "શા માટે?" એવું કારણ પૂછવાનો અધિકાર છે,
અને જો પોતે જરાક "ફક્ત-થોડી તસ્દી" લે તો,એ પ્રશ્નનો જવાબ પોતાની મેળે મેળવવાનો પણ અધિકાર છે.

અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે-રાજયોગની સાધનામાં કોઈ "શ્રદ્ધા-કે-માન્યતા" આવશ્યક નથી.
રાજયોગ કહે છે-કે-તમે  પોતે જ જ્યાં સુધી શોધી ના કાઢો,ત્યાં સુધી કશું જ માની લેવું નહિ.
રાજયોગ આપણને શીખવે છે કે-
જેમ આપણી જાગ્રત અવસ્થાની હકીકતને સાબિત કરવા કોઈ સ્વપ્ન કે કલ્પનાની જરૂર પડતી નથી,
તેમ,-"સત્ય" ને ખડું (ઉભું) કરવા માટે કોઈ ટેકાની જરૂર પડતી નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE