Jun 18, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-195


“જે છે અને જેની શોધ થાય છે” તેમાં બોધ (જ્ઞાન) જ ફળવાન છે (ફળ આપવાવાળું છે)
જેમ,આકાશમાં ઝાડ હોવું એ સત્ય નથી,એટલે આકાશમાં ઝાડ શોધવાનો આગ્રહ એ વ્યર્થ છે,
તેમ,દેહ અને અવિદ્યા (માયા) એ સત્ય નથી તો પછી તેને શોધવાનો આગ્રહ પણ વ્યર્થ જ છે.
માટે જે મનુષ્ય પોતાના અજ્ઞાનને લીધે,જે પદાર્થ છે જ નહિ,તેનો ઉપદેશ કરે તેને “નર-પશુ” જ સમજવા.
અહલ્યા ને ઇન્દ્ર-દેવતા પર તેમની વાત સાંભળીને આસક્તિ થઇ,ત્યારે પોતાના મનથી જ પોતાના નગરમાં રહેલા ઇન્દ્ર-બ્રાહ્મણ પર તે ઇન્દ્ર-દેવતા છે-તેવો નિશ્ચય થયો.
આ જ પ્રમાણે જે મનુષ્ય પોતાના મનથી જેવી ભાવના કરે છે,તેવો તેને દૃઢ નિશ્ચય થાય છે.અને
ચિત્ત જેનો જેનો જે પ્રકારે સંકલ્પ કરે છે,તે તે દેહ-આદિ પદાર્થો તેને તે તે પ્રકારે જણાય છે.
પરંતુ,ખરું જોતાં દેહ પણ નથી,તથા પ્રત્યક્ષ જાણતો અહંકાર પણ નથી.
જે છે તે “વિજ્ઞાન-સ્વ-રૂપ” જ છે એમ સમજીને તમે “ઈચ્છા” નો ત્યાગ કરો.
જેવી રીતે,બાળક ને અમુક જગ્યાએ ભૂત છે,એવી કલ્પનાથી ભય થાય છે અને યુક્તિથી ભૂતનું ભાન મટ્યા પછી,તે ભય દૂર થાય છે,તેવી રીતે-આત્મા પોતાની કલ્પનાના સ્વભાવથી આ દેહ છે અને દેહને ભોગવવા યોગ્ય-આ પ્રપંચ (માયા-કે જગત) છે-તેવો અનુભવ કરે છે,અને તેથીજ અનેક પ્રકારના સુખ-દુઃખ તેને થાય છે,પણ દેહ-પણા નો નાશ થયા પછી-સર્વ નો નાશ થાય છે.
(૯૨) મન ની અચિંત્ય શક્તિ

વશિષ્ઠ,શ્રી રામ ને કહે છે કે-કમળમાંથી પ્રગટેલા ભગવાન બ્રહ્મા-દેવે મને જયારે-આ પ્રમાણે કહ્યું-ત્યારે,
મારી શંકાનું નિવારણ કરવા તેમને મેં પૂછ્યું કે-હે,ભગવન, “શાપ અને મંત્ર ની શક્તિ અમોઘ છે”
એમ તમે કહ્યું છે,અને વળી પાછા તે શક્તિ નિષ્ફળ છે –એમ કેમ કહો છો?
શાપ અને મંત્ર ના પરાક્રમથી મન-બુદ્ધિ અને ઇન્દ્રિયો પણ મૂઢ થઇ જાય છે,એમ સર્વ પ્રાણીમાં જોવામાં આવે છે,પણ ભરત-મુનિનો શાપ દેહનો પરાભવ કરવા છતાં,મન નો પરાભવ કરી શક્યો નહિ,એમ તમે કહ્યું.
પણ,જેમ પવન અને પવન નું સ્ફુરણ અને તલ અને તેલ –એ જુદાં નથી,તેમ મન અને દેહ એ બે જુદાં નથી.
મન છે તે જ દેહ-રૂપે જોવામાં આવે છે,તો એક નો (દેહનો) નાશ થતા,બે નો નાશ થવો જ જોઈએ,
માટે હે,પ્રભુ,શાપ વગેરેના દોષથી મન નો કેવી રીતે પરાભવ નથી થતો
અને કેવી રીતે પરાભવ થાય છે તે તમે મને કહો.
બ્રહ્મા કહે છે કે- આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી,કે જે શુભ કર્મ ને અનુસરનારા શુદ્ધ પ્રયત્ન થી ના મળે.
આ જગતમાં બ્રહ્મ-લોક થી માંડીને ઘાસના તણખલા સુધી સર્વે ને બે શરીર હોય છે.
તેમાંનું એક શરીર મન-રૂપી શરીર છે,અને તે તરત કામ કરનાર અને ચંચળ હોય છે.
બીજું,માંસ-નિર્મિત શરીર હોય છે,અને તે કંઈ પણ કરી શકે તેમ નથી.

માંસ-રૂપી શરીરનો પરાભવ-શસ્ત્ર ના પ્રહાર-શાપ-વગેરે થી થઇ શકે છે.આ શરીર,અશકત.દીન અને
ક્ષણ-વારમાં નાશ પામે તેવું છે.કમળ ના પણ પરના પાણીના પેઠે ચંચળ,અને દૈવ વગેરે થી પરવશ છે.
જયારે,ત્રણે ભુવનમાં દેહધારી મનુષ્યને બીજું જે મન-રૂપી શરીર છે-તે-સ્વાધીન છે છતાં અસ્વાધીન છે,
જો કોઈ મનુષ્ય પોતાના મનથી ધીરજ રાખી પુરુષાર્થ કરે તો,તો તે આનંદિત મનુષ્ય નો દુઃખ થી પરાભવ
થતો નથી.અને જે જે પ્રમાણે યત્ન કરે,તે તે પ્રમાણે ફળ-સિદ્ધિ થાય છે.
મન સર્વદા પવિત્ર અનુસંધાન નું સ્મરણ કરે તો-જેમ,પર્વત પર છોડેલાં બાણ નિષ્ફળ જાય છે,
તેમ,શાપ વગેરે સર્વ ક્રિયાઓ તેના પર નિષ્ફળ થાય છે.
સર્વ દેહ-આદિનો ભાવ જતો રહે,તો પણ મન વડે કરેલો પુરુષાર્થ નિર્વિઘ્ન ફળ આપે છે.
કારણ કે પુરુષાર્થ એ મન નો જ ભેદ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE