Jul 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-860

હે ભરદ્વાજમુનિ,એ "બ્રહ્માંડ-રૂપ-વિરાટ" ની અંદર,જે અર્ધ-નારીશ્વર-પરમેશ્વર" (માયા-રૂપી નારીને અર્ધ અંગમાં  ધારણ કરનાર) રહેલા છે,તે જ સર્વ પ્રાણીમાત્રના આધાર-રૂપ અને કારણ-રૂપ છે,તથા
તે જ આ બ્રહ્માંડમાં જગતનાં ખાન-પાન-આદિ જીવનના ઉપાય માટે વ્યવસ્થા બાંધી,
આહુતિ દ્વારા (દ્રષ્ટિ-આદિથી) સર્વને પોષણ આપનાર યજ્ઞ-સૃષ્ટિ-રૂપ પણ થઇ રહેલા છે.


પંચીકૃત અને અપંચીકૃત -પંચમહાભૂતો,ચારે તરફ વ્યાપી રહેલાં છે.તેનાથી આ જગત વીંટાયેલું છે.
એટલે,પૃથ્વી (તત્વ)નો જળ (તત્વ)માં,જળનો અગ્નિમાં,અગ્નિનો વાયુમાં અને વાયુનો આકાશમાં લય કરવો.
અને તે આકાશનો સર્વની ઉત્પત્તિના કારણ-રૂપ "મહાકાશ"માં લય કરી,અભિમાની એવા
"સમષ્ટિના લિંગ-શરીર" ને (જેને-વાસના,ભૂતસૂક્ષ્મ,કર્મ,અવિદ્યા,દશ ઇન્દ્રિય,મન-બુદ્ધિ રૂપ કહેલું છે)
"આત્મ-બુદ્ધિ-રૂપે" ક્ષણ-માત્ર ધારણ કરી રાખી,

પછી (આત્મ-પણાના અભિમાનના ત્યાગ દ્વારા) "સ્થૂળ-ઉપાધિ"નો લય થઇ જવાથી,બ્રહ્માંડથી બહાર
નીકળી જઈ,"હું સર્વના આત્મા-રૂપ,અધિષ્ટાતા-રૂપ,હિરણ્યગર્ભ (બ્રહ્મા) છું" એવું ચિંતન કરવું.
(નોંધ-ભૂત-સૂક્ષ્મમાં "અભિમાન-પણા"થી રહેલા,એ "હિરણ્યગર્ભ" જ સહુ પ્રથમ,ઈશ્વર-ભોગને માટે,
કમળમાંથી ઉત્પન્ન થયેલા દેહને "કલ્પી" લઇ,"બ્રહ્મા-રૂપે" થઇ રહ્યા હતા-આમ અહીં-હિરણ્યગર્ભ=બ્રહ્મા)

પછી,એ (સમષ્ટિ-લિંગ-દેહના અભિમાની) હિરણ્યગર્ભનો,
તેના કરતાં પણ સૂક્ષ્મ,અવ્યકત,અવિકારી એવા અંતર્યામી (ઈશ્વર) માં લય કરી દેવો.
(હિરણ્ય-ગર્ભના જડ ભાગનો માયામાં અને ચેતન ભાગનો ચૈતન્યમાં લય કરી દેવો-એમ પણ કહી શકાય)

નામ-રૂપ વગરનું આ જગત જેમાં રહે છે-તેને સાંખ્ય-મત-વાળા "પ્રકૃતિ" કહે છે,
તો વેદાંત-મત-વાળા તેને  "માયા" કહે છે.ન્યાય-શાસ્ત્રકારો તેને"અણુ-રૂપ" કહે છે.
ગમે તે કહો,પણ પ્રલય-કાળમાં સર્વ તેમાં લય પામી જઈ,અવ્યકત-રૂપે રહે છે-
અને ફરી પાછા સૃષ્ટિ-કાળમાં તેમાંથી. જ સર્વ ઉત્પન્ન થાય છે.
સૃષ્ટિ થવાને અનુકૂળ આકાશ-વગેરેના ક્રમથી "સૃષ્ટિની ઉત્પત્તિ" માનેલી છે,
અને તેના વિપરીત ક્રમથી "લય" માનવામાં આવે છે.

માટે,છેવટે, સ્થૂળ,સૂક્ષ્મ,ને કારણ-શરીર-રૂપે રહેલ,વિરાટ,હિરણ્યગર્ભ અને અવ્યાકૃત (માયાવી)
એવા નામથી કહેવાતી,સમષ્ટિની જાગ્રત-સ્વપ્ન,સુષુપ્ત એ ત્રણેય અવસ્થાઓનો ત્યાગ કરી,
નાશ-રહિત તુરીય-પદ કે જે સર્વના અધિષ્ઠાન-રૂપ ચૈતન્ય-માત્ર છે,તેનું "ધ્યાન" કરવું.
અને લિંગ-શરીરનો પણ સમાધિ દ્વારા લય કરી દઈ,પરમપદ (તુરીય અવસ્થામાં) પ્રવેશ કરવો.

આ રીતે,સ્થૂળ-સૂક્ષ્મ ભૂતો,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,વાસના,કર્મ,પ્રાણ-આદિ વાયુઓ અને અજ્ઞાન-
એ સર્વને રહેવાનું સ્થાન "લિંગ-શરીર" છે.
અને લિંગ-શરીરનો લય થઇ જતાં,એ સર્વનો લય થઇ જાય છે અને એક શુદ્ધ ચૈતન્ય અવશેષ રહે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE