Aug 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-892

જ્ઞાનના બળથી દીપનારા,એ ઇન્દ્રને એક દિવસ એવી ઈચ્છા થઇ કે,
"બ્રહ્મ-તત્વ કે જે માયાના સંબંધથી શબલ-બ્રહ્મ તરીકે ઓળખાય છે,તેનું હું ધ્યાનસ્થ થઇ બરોબર અવલોકન કરું"
તે ઇન્દ્રે પછી એકાંતમાં બેસી,બહાર અને અંદર વિક્ષેપ થવાનાં સર્વ કારણોનો ત્યાગ કરીને,
બુદ્ધિને શાંત રાખીને,સમાધિ દ્વારા -તે બ્રહ્મ-તત્વનું અવલોકન કર્યું.
તે તત્વ,સર્વ શક્તિ-વાળું,સર્વ વસ્તુઓમાં રહેલું અને સર્વ-વ્યાપી હોવાથી,સર્વદા,સર્વ-પ્રકારે,સર્વ-રૂપ થઇ રહેનારું,વ્યવહાર દૃષ્ટિએ જોતાં,સર્વ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવાની શક્તિ-રૂપી
ગુણો વડે યુક્ત (ગુણો ને ભોગવનારું) -પણ-પરમાર્થ દૃષ્ટિથી જોતાં,સર્વ ઇન્દ્રિયોના ગુણોથી રહિત (નિર્ગુણ)
વળી,વ્યવહાર દૃષ્ટિએ સર્વને ધારણ કરીને રહેલું,પણ પરમાર્થ દૃષ્ટિએ અસંગ છે.

તે તત્વ,પ્રાણીમાત્રની અંદર અને બહાર ચરાચર-રૂપે રહેલું,અતિ-સૂક્ષ્મ હોવાથી તરત ના જાણી શકાય તેવું,
દૂર પણ રહેનારું અને પાસ પણ રહેનારું,સર્વત્ર અનેક સૂર્ય-ચંદ્રને ધારણ કરનારું,સર્વત્ર અનેક આકાશ,અનેક પૃથ્વી,અનેક પર્વતો-સમુદ્રોને ધારણ કરી રહેલું અને અનેક સંસારો (જન્મ-મરણ-પ્રપંચો વાળા)અને
અનેક જગતને ધારણ કરનારું છે.જે,પરમાર્થ દૃષ્ટિએ તે સર્વત્ર મોક્ષ-રૂપે અને ચૈતન્ય-રૂપે રહેલ છે,
અને વસ્તુતઃ સર્વથી રહિત છે-તેવું "બ્રહ્મ-તત્વ" સમાધિ દ્વારા તે ઇન્દ્રના જોવામાં આવ્યું.

વૃક્ષમાં,પર્વતમાં,જળમાં,પવનમાં,આકાશમાં.અગ્નિમાં અને પરમાણુના ઉપર-નીચે-મધ્ય-વગેરે સૂક્ષ્મભાગમાં પણ
ઇન્દ્રે ત્રણે લોક જોયા જે અનેક પ્રકારના આચાર-વિચાર-વાળા તથા વિવિધ પ્રકારના આવાગમન-વાળા હતા.
(આવાગમન=સ્વર્ગ-નરક-વગેરેમાં જઈને ત્યાંથી પાછા આવવું-ને જન્મ-મરણમાં ફસાવું)
જેમ,મરીની અંદર તીખાશ છે,તેમ,ચૈતન્યમય આત્મા કે જે જગત પ્રગટ કરવાના કાળ-રૂપે છે અને
જગતનો લય કરવાના કાળ-રૂપે પણ રહેલ છે-તેમાં આ ત્રણે લોક (પાતાળ-પૃથ્વી-સ્વર્ગ-લોક) રહેલા છે.

જીવભાવથી રહિત થયેલી પોતાની શુદ્ધ બુદ્ધિ વડે શોભતો એ ઇન્દ્ર,તેના તે જ ક્રમથી,પોતાના તે જ દેહ વડે,
તેવે જ પ્રકારે ધ્યાનસ્થ થઈને રહ્યો.ઘણા કાળ સુધી ધ્યાન વડે,સર્વને એક શબલબ્રહ્મ (ઈશ્વર) માં જ દેખનારા,
ઉદાર અને મહાબુદ્ધિશાળી ઇન્દ્રે ત્રણે લોકમાં ફરી,છેવટે સ્વર્ગલોકમાં જતાં તેમાં ઇન્દ્રનાં (પોતાનાં) દર્શન થતાં,
એ ઇન્દ્રમાં અહંકાર બંધાવાના સંસ્કારો જાગવાથી,તથા પહેલાં કરેલા અશ્વમેઘયજ્ઞોનું કાંઇક પણ અદ્રશ્ય ફળ
અવશ્ય મળવાનું હોવાથી તે આ સૃષ્ટિના ઇન્દ્ર-પણાને (ફરીથી) પ્રાપ્ત થઇ ગયો.અને રાજ્ય કરવા લાગ્યો.

હે વિદ્યાધર ત્રસરેણુની અંદર રહેલા,ઇન્દ્રના કુળમાં ઉત્પન્ન થયેલ,એ ઇન્દ્ર,આજપણ,આ બ્રહ્માંડમાં ઇન્દ્ર-પદ પર
રહેલો છે-તેમ તમે સમજો.ત્યાં,અહી અને બીજે ઠેકાણે આવી જ જાતના વ્યવહાર-વાળા સેંકડો ઇન્દ્રો,
આ અનંત આકાશમાં થઇ ગયા છે અને હાલ પણ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE