Nov 3, 2022

Pasaydan-with Gujarati translation-By Sant Gnaneshvar-પસાયદાન-ગુજરાતી અનુવાદ સાથે

 સંત જ્ઞાનેશ્વરજી રચિત 

પસાયદાન 

(મરાઠી ભાષાનો શબ્દ છે-કે જેનો સીધો અર્થ કૃપા પ્રસાદ (ભિક્ષા)  કે પ્રસાદ પણ કરી શકાય)

('પસા' એટલે બે હાથ પાસે પાસે રાખીને કરેલ ખોબો,અને દાન એટલે ભિક્ષા કે પ્રસાદ)


સંત જ્ઞાનેશ્વરજી કે જેમને વારકરી સંપ્રદાયવાળા 'મૌલી' (મા) પણ કહે છે,

તેમણે જે જ્ઞાનેશ્વરી ગીતા (કે ભાવાર્થ દીપિકા) કહેલી છે,

તેના છેલ્લા અઢારમા અધ્યાયની 1794 થી 1802 ઓવીઓને પસાયદાન કહે છે.

કે જે મહારાષ્ટ્રમાં વધુ પ્રચલિત છે.


જ્ઞાનેશ્વરી ગીતા (ભાવાર્થ દીપિકા) ના અંતમાં જ્ઞાનેશ્વર,પોતાના ગુરુદેવ નિવૃતિનાથને વિનંતી કરે છે કે-

(અહીં,ગુરુ ઈશ્વર-રૂપ છે,દેવ-રૂપ છે,એટલે ગુરુને ઈશ્વર માની,તે  ઈશ્વરની પાસેથી કૃપાપ્રસાદની કામના કરે છે)


आतां विश्वात्मके देवे, येणे वाग्यज्ञे तोषावे, तोषोनि मज द्यावे, पसायदान हे ॥१॥


હે,વિશ્વના આત્મ-સ્વરૂપ દેવ (ગુરુદેવ કે પરમેશ્વર),આ મારી વાણીથી થયેલ યજ્ઞ (જ્ઞાનેશ્વરી રૂપ વાક-યજ્ઞ)થી,

સંતુષ્ટ (ને પ્રસન્ન) થાઓ,ને પ્રસન્ન થઈને મને એવો કૃપાપ્રસાદ (પસાયદાન કે આશીર્વાદ કે ભિક્ષા) આપો-કે-


जे खळांची व्यंकटी सांडो | तया सत्कर्मी रति वाढो | भूतां परस्परें पड़ो | मैत्र जीवाचे || २ ||


દુષ્ટોની દુષ્ટતા ને કુટિલતા નષ્ટ થઈને,તેઓ સત્કર્મમાં પ્રવૃત્ત (સત્કર્મ-પ્રેમી) બને,

સર્વ પ્રાણીઓ (જીવો) ની આપસમાં મિત્રતા (પ્રેમભાવ) વધ્યા કરે (ને આ મૈત્રી કે પ્રેમ ભાવ કાયમ રહે)


दुरितांचे तिमिर जावो | विश्व स्वधर्मसूर्ये पाहो | जो जे वांछिल तो तें लाहो | प्राणिजात || ३ ||


વિશ્વમાંનો (અજ્ઞાન કે પાપ-રૂપી) અંધકાર નષ્ટ થઈને,આ વિશ્વ (સંસાર)માં સ્વ-ધર્મરૂપી-સૂર્યનો પ્રકાશ 

વિસ્તાર પામે,ને જીવમાત્ર,જે કામનાઓ (શુભ ઈચ્છાઓ) કરે,તેની તે સર્વ શુભેચ્છાઓ પૂર્ણ થાય,


वर्षत सकळ मंगळी | ईश्वर निष्ठांची मांदियाळी | अनवरत भूमंडळी | भेटतु भूतां || ४ ||


સંસારના જીવોને,સકળ મંગળની વૃષ્ટિ કરનારા,ઈશ્વરનિષ્ઠ-ભક્તજનો(સજ્જનો) નાં મંડળ મળતાં રહે.

(તે ભક્તજનો કેવા છે? તે વિષે આગળ ઓવી -5-6-7 માં કહે છે)


चला कल्पतरूंचे आरव | चेतना चिंतामणींचें गांव | बोलते जे अर्णव | पीयुषाचे || ५ ||


(તે ઈશ્વરનિષ્ઠ ભક્તજનો) બોલતા ચાલતા કલ્પતરુના બાગ જેવા,

જીવંત ચિંતામણિઓનાં ગામ જેવા,

અને બોલતા ચાલતા સાગર જેવા છે,

(જેમ,કલ્પવૃક્ષની નીચે જતાં કે ચિંતામણિનો સ્પર્શ કરતાં મનની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે,

તેમ,ઈશ્વરનિષ્ઠ ભક્તજનોની અમૃતતુલ્ય વાણીના સાગરથી,સંસારમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે)


चंद्रमे जे अलांछन | मार्तंड जे तापहीन | ते सर्वांही सदा सज्जन | सोयरे होतु || ६ ||


(તે ઈશ્વરનિષ્ઠ ભક્તજનો) કલંક-રહિત ચંદ્ર જેવા,તાપ-રહિત સૂર્ય જેવા છે.એવા સજ્જનો (સંતજનો)નો,

(જગતના) સર્વ લોકોને સત્સંગ મળે,તથા તેઓ જગતના સર્વ લોકોને પ્રિય થાય,


किंबहुना सर्व सुखी | पूर्ण होऊनि तिहीं लोकीं | भजिजो आदिपुरुखी, अखंडित || ७ ||


વધારે શું માગું? (વધારે શું કહું?)

સમસ્ત ત્રણે લોકો (ત્રૈલોક્ય) ના જીવો,સર્વ સુખથી સંપૂર્ણ બની,

તેઓ આદ્ય-પુરુષ (ઈશ્વર)નું અખંડ ભજન કર્યા  કરે,


आणि ग्रंथोपजीविये | विशेषीं लोकीं इये | दृष्टादृष्ट विजयें | होआवें जी || ८ ||


(અને વિશેષ-રૂપથી) જેઓ,આ ગ્રંથ (જ્ઞાનેશ્વરી ગીતા) ને  જીવનનો આધાર બનાવી,આ ગીતા-ગ્રંથનું,

પાલન કરે છે,તેમને આ લોક અને પરલોકમાં પરલોકનું સુખ (કલ્યાણ કે મુક્તિ) પ્રાપ્ત થાય.


येथ म्हणे श्रीविश्वेशराओं | हा होईल दान पसावो | येणें वरें ज्ञानदेवो । सुखिया झाला || ९ ||


(આ પ્રમાણેનું જ્ઞાનેશ્વરનું વચન સાંભળી શ્રીગુરુ નિવૃત્તિનાથે (શ્રી વિશ્વેશ્વરે) કહ્યું કે)

હા,ઠીક છે,તારી ઈચ્છા પ્રમાણે જ,આ (તે માંગેલ) સર્વ દાન-પ્રસાદ (કૃપા-પ્રસાદ કે પસાયદાન) 

તને પ્રાપ્ત થશે,કે જે સાંભળી (કૃપાપ્રસાદ કે આશીર્વાદ મેળવી) જ્ઞાનેશ્વર સુખી (આનંદમય) બન્યા.


ખુબ જ સુંદર રીતે લતા મંગેશકરના સ્વરે ગવાયેલ આ પસાયદાન સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરો.

અથવા નીચે તરફ સ્ક્રોલ કરો


https://www.youtube.com/watch?v=DQTKecWB9OM


Presentation

By

Anil Shukla

www.sivohm.com

-----------------------------------